Abtak Media Google News
  • જર્મની રહેતા મૂળ ભારતીય માતા-પિતા બાળકીના ઉછેર માટે સક્ષમ ન હોવાનું જણાવી 7 મહિનાની બાળકીને છીનવી લેવાય હતી : છેલ્લા 20 મહિના સુધી લાંબી લડત ચલાવ્યા બાદ હવે અરીહા વતનવાપસીની આશા પ્રબળ બની
 જર્મની રહેતા મૂળ ભારતીય માતા-પિતા તેમની 7 મહિનાની બાળકી અરીહાના ઉછેર માટે સક્ષમ ન હોવાનું જણાવી ત્યાંની સરકારે બાળકીનો કબ્જો લઈ લીધો હતો અને ત્યાના એક દંપતીને તેનો કબ્જો સોંપ્યો હતો. માતા પિતાની છેલ્લા 20 મહિનાની લડતને અંતે હવે કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે અને તેને જર્મનીને આ બાળકીને ભારત સોંપવા માટે દરખાસ્ત કરી છે.
જર્મનીના બર્લિનમાં એક ભારતીય દંપતી પોતાની જ પુત્રી અરિહાને મેળવવા માટે 15 મહિનાથી કાનૂની લડત લડી રહ્યું છે. ગુજરાતી મૂળનો આ પરિવાર બર્લિનમાં રહતો હતો. અરિહાના પિતા અહીં વર્ક વિઝા પર આવ્યા હતા અને સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે. તેમની બાળકી જર્મનીમાં ચાઈલ્ડ સર્વિસની કસ્ટડીમાં છે. અહીં બાળકની માતા મુંબઈમાં જર્મન એમ્બેસીની બહાર વિરોધ પ્રદર્શન કરી રહી છે. હવે આ અંગે ભારત સરકાર તરફથી એક નિવેદન પણ સામે આવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે જર્મનીને વિનંતી કરી રહ્યા છીએ કે તે અરિહા શાહને ભારત પરત કરે. તે એક ભારતીય નાગરિક છે અને 2021માં જ્યારે તેણી 7 મહિનાની હતી ત્યારે તેને જર્મનીની યુવા કલ્યાણની કસ્ટડીમાં રાખવામાં આવી હતી. હવે તે છેલ્લા 20 મહિનાથી પાલક ઘરમાં છે.
અરીહા 20 મહિનાથી અમારાથી દુર છે : ધારા શાહ
જર્મનીમાં કેર ફેસિલિટીમાં રહેતી અરિહા શાહની માતા ધારા શાહે જણાવ્યું કે અમારી અરીહા 20 મહિનાથી અમારાથી દૂર છે. અમે તેના ડાયપરમાં લોહી જોયું તેથી અમે તેને પહેલા ડૉક્ટર પાસે લઈ ગયા તેઓએ કહ્યું કે બધું સારું છે પરંતુ જ્યારે અમે ફરીથી ગયા ત્યારે તેઓએ બાળકીને બાળ ગૃહમાં મોકલીને તેનું જાતીય શોષણ કરવાનો આરોપ લગાવ્યો. મને ભારત સરકાર પર વિશ્વાસ છે, હું વિનંતી કરું છું કે તરત જ આ મામલે પીએમ સ્તરે હસ્તક્ષેપ થવો જોઈએ.
અરીહા ભારતની નાગરિક, સંસ્કૃતિ અને ધાર્મિકતાને લઈને તેની સાથે અન્યાય ન થાય તે જરૂરી
તેમણે કહ્યું, આપણું દૂતાવાસ જર્મન સત્તાવાળાઓને વિનંતી કરી રહ્યું છે કે અરિહાને લઈને સાંસ્કૃતિક અને ધાર્મિક પૃષ્ઠભૂમિ સાથે કોઈ ચેડા ન થાય. દુતાવાસે જણાવ્યું કે અમે જર્મન સત્તાવાળાઓને વિનંતી કરીએ છીએ કે અરિહાને વહેલામાં વહેલી તકે ભારત મોકલવાના તમામ પ્રયાસો કરે, જે ભારતીય નાગરિક તરીકે તેનો અધિકાર પણ છે. અમે અરિહા શાહની ભારત પરત ફરવાની ખાતરી કરવા માટે કટિબદ્ધ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.