Abtak Media Google News

દેશમાં ૭૬ લાખ હેકટરમાં સિંચાઈના લાભ આપવા વિવિધ ૯૯ જેટલા પ્રોજેકટ માટે સરકારની તૈયારી

વડાપ્રધાન મોદી દેશના તમામ ખેડૂતોની આવક બમણી કરવાની ઈચ્છા ધરાવે છે. જેના અનુસંધાને સરકારે અનેકવિધ યોજનાઓની જાહેરાત કરી છે. ખેડૂતોના ખાતામાં પૈસા પણ જમા થઈ રહ્યાં છે. ત્યારે હવે ખેતીની આવક વધે તે માટે સરકાર લાંબાગાળાની સિંચાઈ યોજનાઓ પાછળ ફંડ વાપરવાની તૈયારી કરી રહી છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ પ્રોગ્રામ હેઠળ ૭૬ લાખ હેકટર જમીનને સિંચાઈ કરવાની તૈયારી થઈ છે. આ પ્રોગ્રામ હેઠળ વિવિધ ૯૯ જેટલા પ્રોજેકટને આવરી લેવામાં આવ્યા છે.

આ મામલે નાણા પ્રધાન નિર્મલા સીતારમને ગઈકાલે જણાવ્યું હતું કે, ભારતમાં લાંબાગાળાની સિંચાઈ યોજનાઓ માટે ફંડ ફાળવવામાં આવ્યું હતું. હવે આ યોજનાઓ પાછળ ફંડ વાપરવા માટે ઉચ્ચ કક્ષાની મોનીટરી કમીટીનું ગઠન કરવામાં આવશે. સિંચાઈની લાંબાગાળાની યોજનાઓ પાછળ સરકાર અત્યાર સુધીમાં કરોડો રૂપિયા વાપરી ચૂકી છે. ૩૧ માર્ચ ૨૦૧૯ સુધીના આંકડા મુજબ કેન્દ્ર સરકારે સિંચાઈ યોજના પાછળ રૂ.૭૫૭૬૯ કરોડની રકમ લોનપેટે આપી હતી. જ્યારે રાજ્ય સરકારે પોતાનો ભાગ રૂ.૩૪૨૪૮ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી.

7537D2F3 8

ભારતમાં તમામ સેકટર કૃષિ સેકટરને આધારીત જોવા મળે છે. આ વાત તમામ સરકારો જાણે છે ત્યારે ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ સારી બની તે માટે કેટલાક પ્રોત્સાહનો મોદી સરકારે જાહેર કર્યા હતા. ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી થાય તે માટે સરકારે વિવિધ યોજના ચલાવી છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તેનું ધ્યાન પણ મોદી સરકાર દ્વારા રાખવામાં આવ્યું છે. આ સો જ દુષ્કાળ કે અતિવૃષ્ટીના સંજોગોમાં ખેડૂતોને તત્કાલ રાહત મળે તે માટે પણ સરકાર સમયાંતરે ભંડોળની જાહેરાત કરે છે.

કૃષિ ક્ષેત્રને સિંચાઈના લાભ સારી રીતે મળે તે માટે સરકાર વિવિધ યોજનાઓ હેઠળ ભંડોળની ફાળવણી કરે છે. ટૂંકાગાળા અને લાંબાગાળા એમ બે પ્રકારની યોજનાઓમાં સરકાર ભંડોળ ફાળવતી હોય છે. હવે મોદી સરકારે માત્ર ટૂંકાગાળા જ નહીં પરંતુ લાંબાગાળાની સિંચાઈ યોજનાઓ પાછળ પણ પુરતા પ્રમાણમાં ફંડ વાપરવાની તૈયારી બતાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.