Abtak Media Google News

પાકિસ્તાન સાથેના કાશ્મીર સહિતના મુદ્દાના દ્વિપક્ષીય મંત્રણાઓથી ઉકેલ લાવવાનો ભારતનો સ્પષ્ટ જવાબ

દાયકાઓથી સળગતી કાશ્મીર સમસ્યાના નિરાકરણ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થા કરવા માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે તૈયારી દર્શાવી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથેની મુલાકાત દરમ્યાન ટ્રમ્પે આ તૈયારી દર્શાવી હતી તેમણે એવો પણ દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે તાજેતરમાં થયેલી મુલાકાત દરમ્યાન મોદીએ આ મુદે મધ્યસ્થતા કરવા વિનંતી કરી હતી. ટ્રમ્પના આવા દોઢડહાપણ ભર્યા નિવેદનથી દેશના રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે. વિપક્ષો દ્વારા આ મુદે કરવામાં આવી રહેલા પ્રહારો બાદ ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે મોદીએ ટ્રમ્પને આવી કોઈ વિનંતી કરી નથી.

Advertisement

વિદેશ મંત્રાલય દ્વારા એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે ભારત પાકિસ્તાન સાથે કાશ્મીર સહિતના વિવાદોના ઉકેલ માટે દ્વિપક્ષીય ચર્ચાથી ઉકેલવા માટેના પોતાના વલણ પર અફર છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશકુમારે બે ટવીટ દ્વારા ભારતના આ વલણને સ્પષ્ટ કર્યું છે. કે અમે અમેરિકાના પ્રમુખ દ્વારા મીડીયામાં આપવામાં આવેલા નિવેદનને જોયું છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારત અને પાકિસ્તાન બંને વિનંતી કરે તો અમેરિકા કાશ્મીર મુદે મધ્યસ્થતા કરવા તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમેરિકાના પ્રમુખને આવા પ્રકારની કોઈ જ વિનંતી કરી નથી સાથે સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી કે ભારત પાકિસ્તાન સાથે તમામ વિવાદોનો ઉકેલ દ્વિપક્ષીય મંત્રણાથી લાવવાના વલણ પર કાયમ છે.

રવિશકુમારે એ પણ સ્પષ્ટતા કરી છે કે ભારત પાકિસ્તાન સાથેના તમામ વિવાદોનું નિરાકરણ દ્વિપક્ષીય ચર્ચાઓ દ્વારા સિમલા સમજૂતી અને લાહોર ઘોષણાપત્ર દ્વારા જ કરવાનાં નિર્ણય પર ભારત સરકાર કાયમ છે. પાકિસ્તાન પહેલા સીમાપારના આતંકવાદ પર રોક લગાવે તે બાદ જે કોઈ મુદાઓ છે તેની સાથે ચર્ચા નહી. આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથેની મુલાકાત દરમ્યાન ટ્રમ્પને કાશ્મીર વિવાદને ઉકેલવા મદદ માગી હતી જેની ટ્રમ્પે આ મુદે મધ્યસ્થા કરવાની તૈયારી દર્શાવીને વડાપ્રધાન મોદીએ પણ તેમને વિનંતી કરી હોવાનું નિવેદન આપ્યું હતુ જેથી આ વિવાદ ઉભો થવા પામ્યો હતો.

ટ્રમ્પના નિવેદનથી ભારતમાં વિવાદ ઉભો થવા પામ્યો છે. ત્યારે અમેરિકામાં પણ રાજકીય વિરોધ ઉભો થવા પામ્યો છે. અમેરિકાના કોંગ્રેસમેન બ્રેડ શેરમને પણ ટ્રમ્પના નિવેદનની ટીકા કરીને તેને અપરિપકવ અને ભ્રમિત કરવાવાળુ ગણાવ્યું હતુ તેમને દાવો કર્યો હતો કે વડાપ્રધાન મોદીએ કદી પ્રમુખ ટ્રમ્પને મધ્યસ્થા કરવા આગ્રહ કર્યો નથી ભાજપે પણ ટ્રમ્પના નિવેદનની ટીકા કરી છે. પાર્ટીના વરિષ્ટ નેતા રામ માધવે ટવીટ કરીને અમેરિકાના પ્રમુખના નિવેદનને યુએસ સિસ્ટમમાં ખામી સમાન ગણાવ્યું હતુ વ્હાઈટ હાઉસમાં લીમી કર્ટેસ જેવા ભારત અને દક્ષિણ એશિયા બાબતોનાં વિશેષજ્ઞ હોવા છતાં આવું નિવેદન મૂળભૂત રીતે ખોટુ ગણી શકાય ટ્રમ્પના નિવેદન બાદ ઉઠી રહેલા વિવાદ બાદ અમેરિકાના વિદેશ મંત્રાલયે પણ સ્પષ્ટતા કરી છે કાશ્મીર મુદો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.