Abtak Media Google News

રોડ અકસ્માતોની સંખ્યા ઘટાડવા કેન્દ્ર સરકાર ૧૪,૦૦૦ કરોડ રૂાના ખર્ચે યોજના બનાવી હોવાની રાજયસભામાં માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વિગતો આપી

દેશમા થતા રોડ અકસ્માતોનાં બનાવોમાં મોટાભાગના કિસ્સાઓમાં વાહનોના ટાયરો ફાટવાના કારણે થતા હોવાનું જોવા મળ્યું છે. જેથી કેન્દ્રની મોદી સરકારે ટાયર ફાટવાના કારણો પર ધ્યાન કેન્દ્રિત કરીને હવેથી વાહનોમાં ‘નાઈટ્રોજન એર’ ભરવાનો તથા ટાયરોમાં રબ્બરની સાથે સિલીકોન મેળવીને તેની ગુણવત્તા વધારવાનો નિર્ણય કર્યો છે. ગઈકાલે કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ રાજયસભામાં એક પ્રશ્નના જવાબમાં આ અંગેની માહિતી આપી હતી. ગઈકાલે નોઈડા-આગ્રા યમુના એકસપ્રેસ હાઈવે પર થયેલા બસ અકસ્માતમાં ટાયર ફાટવાના કારણે બસ ખાબકીને પૂલ નીચે પડી ગઈ હતી. આ અકસ્માતમાં અનેક મુસાફરોના મૃત્યુ થયા હતા આ અંગે ગઈકાલે રાજયસભામાં પ્રશ્નોતરી કાળમાં પ્રશ્ન પુછાયો હતો જેના જવાબમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું હતુ કે આ અકસ્માતનાં કારણે જાણવા ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા એક સમિતિની રચના કરી છે. આ યમુના એકસપ્રેસ છે ઉત્તર પ્રદેશ સરકારે બનાવેલો હોય તેમાં કેન્દ્ર સરકારની કોઈ પણ જવાબદારી બનતી નથી.

Advertisement

રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા દેશમાં નેશનલ હાઈવે બનાવવા તથા તેને જાળવવાનું કાર્ય કરે છે. યમુના એકસપ્રેસ વે નેશનલ હાઈવે નથી જેથી તેને બનાવવાનું કે જાળવણી કરવાનું કાર્ય નેશનલ હાઈવે ઓથોરીટીએ કરી નથી તેમ જણાવીને ગડકરીએ ઉમેર્યું હતુ કે, તેમ છતા કેન્દ્ર સરકાર ઉત્તર પ્રદેશ સરકારે આ બનાવની તપાસ કરવા માટે રચેલી તપાસ સમિતિની ભલામણોને અમલમાં મૂકવા તથા મુસાફરોના થયેલા મૃત્યુ માટે જવાબદાર લોકો સામે સખત પગલા લેવા તાકીદ કરશે.

સિમેન્ટ કોક્રીટથી બનેલા હાઈવે પર વર્ષ ૨૦૧૬માં ૧૩૩ના જયારે ૨૦૧૦માં ૧૪૬ના અને ૨૦૧૮માં ૧૧ના મૃત્યુ થયા હતા. તેમ જણાવીને ગડકરીએ ઉમેર્યું હતુ કે અમે ટાયર ઉત્પાદકો માટે ટાયર બનાવવામાં રબરની સાથે સિલીકોનને મિશ્રિત કરવા તથા ટાયરમાં સામાન્ય હવા ભરવાના બદલે નાઈટ્રોજન એર ભરવાનું ફરજીયાત બનાવવાનું વિચારી રહ્યાનું ઉમેર્યું હતુ આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ ટાયર બનાવવામાં રબરની સાથે સિલિકોન મિશ્રિત કરવામાં આવે તો ભારે ગરમી છતા ટાયર ફાટવાની શકયતા ઓછી થઈ જાય છે. જયારે નાઈટ્રોજન એર ભરવાથી ટાયર ગરમ થતા નથી તેમ ગડકરીએ વધુમાં જણાવ્યું હતુ.

કેન્દ્ર સરકારે રોડ અકસ્માતો અટકાવવા ૧૪૦૦૦ કરોડ રૂા.ના ખર્ચે એક યોજના તૈયાર કરી છે. જે કિંમતી જીંદગી બચાવવામાં મદદરૂપ થશે તમિલનાડુમાં રોડ અકસ્માતોમાં ઘટાડો થયો છે. જયારે ઉત્તર પ્રદેશ આ યાદીમાં ટોચ પર છે તેમ જણાવીને ગડકરીએ ઉમેર્યું હતુ કે માર્ગ અકસ્માતોને રોકવા મોટરકારોની ટેકનોલોજીમાં પણ ફેરફાર કરવા વિચારણા કરી રહ્યા છે. તેમણે રોડ સેફટી અંગેનો ખરડો છેલ્લા એક વર્ષથી સંસદમાં પડતર છે. તેને જલ્દીથી પસાર કરવા તમામ પક્ષના સાંસદોને વિનંતી કરી હતી.

દેશમાં રહેલા ૩૦ ટકા બોગસ લાયસન્સોને રદ કરવા તથા ૨૫ લાખ પ્રશિક્ષીત ડ્રાઈવરોની તંગીને નિવારવા રોડ સેફટી બિલ સંસદમાં પસાર થવો જરૂરી હોવાનું ગડકરીએ જણાવ્યું હતુ કે નેશનલ રોડ સેફટી પોલીસી દ્વારા માર્ગ સલામતી માહિતીના ડેટાબેઝને સ્થાપિત કરવા બુધ્ધિમાન પરિવહનની અરજી સહિત સલામત રસ્તાના આંતર માળખાનો ઉતેજન આપવા, સલામતી કાયદાના અમલીકરણ જેવા વિવિધ નીતિના પગલાની રૂપરેખા ઘડી કાયદામાં આવી છે. તેમ ગડકરીએ અંતમાં જણાવ્યું હતુ.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.