Abtak Media Google News

આપણા રામ આવ્યા છે….

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતુ કે , ’સિયાવર રામચંદ્ર કી જય… આજે આપણા રામ આવી ગયા છે. 22 જાન્યુઆરી 2024 નો આ સૂર્ય નવી આભા લઈને આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમના ભાષણની શરૂઆતમાં તેમણે કહ્યું કે આજે આપણા રામ આવ્યા છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે 22 જાન્યુઆરી એ કેલેન્ડરમાં લખેલી તારીખ નથી. આ નવા કાળચક્રની શરૂઆત છે.તેમણે કહ્યું કે આ ક્ષણ અલૌકિક અને પવિત્ર છે. સદીઓની તપસ્યા પછી રામ પાછા ફર્યા છે. હું ભગવાન રામની પણ માફી માંગુ છું. આજથી હજાર વર્ષ પછી પણ લોકો આ તારીખ, આ ક્ષણ વિશે વાત કરશે. ભગવાન રામની કૃપા છે કે આપણે બધા આ ક્ષણ જીવી રહ્યા છીએ અને તેને સાક્ષાત બનતા જોઇ રહ્યા છીએ.હું આજે પ્રભુ રામ પાસે ક્ષમાયાચના માગું છું. અમારા ત્યાગ, તપસ્યામાં કાંઈક તો કમી રહી હશે કે આટલા સમય સુધી અમે આ કાર્ય કરી શક્યા નહીં. મને વિશ્વાસ છે કે પ્રભુ રામ અવશ્ય ક્ષમા કરશે. ત્રેતામાં રામ આગમન પર સંત તુસલીદાસે લખ્યું છે- પ્રભુનું આગમન જોઈને જ અયોધ્યાવાસી, દેશવાસી લાંબા વિયોગથી આપત્તિ ભોગવતા હતા તે દૂર થયાં. એ વિયોગ 14 વર્ષનો હતો. આ યુગમાં અયોધ્યા અને દેશવાસીઓએ સેંકડો વર્ષોનો વિયોગ સહ્યો ચે. આપણી કેટલીય પેઢીઓએ વિયોગ સહ્યો છે. ભારતના સંવિધાનમાં પહેલી પ્રતિમાં ભગવાન રામ બિરાજમાન છે.

Advertisement

સંવિધાનના અસ્તિત્વમાં આવ્યા પછી પ્રભુના રામના અસ્તિત્વને લઈને લડાઈ ચાલી. ન્યાયના પર્યાય પ્રભુ રામનું મંદિર ન્યાયબદ્ધ રીતે બન્યું. આજે ઘરે ઘરે દિવડા પ્રગટશે. દેશમાં ફરી દિવાળી ઉજવાશે.એ સમયે જે કાળચક્ર બદલાયું તે રીતે જ કાળચક્ર બદલાશે એવું મને ધનુષકોડીમાં લાગ્યું. નાસિકનું પંચવટીધામ, લેપાક્ષી, શ્રીરંગમ મંદિર, રામેશ્વરમ બધે ગયો. 11 દિવસના ઉપવાસ દરમિયાન મેં સાગરથી સરયૂ સુધીની યાત્રા કરી. દરેક જગ્યાએ રામ નામનો ઉત્સાહ છવાયેલો છે. રામ ભારતવાસીઓના અંતર્મનમાં બિરાજેલા છે. ભારતમાં ક્યાંય પણ કોઈની અંતરાત્માને સ્પર્શ કરીશું તો એક્તવની ભાવના થશે. આનાથી ઉત્કૃષ્ટ સૂત્ર નહીં મળે.મને દેશના ખૂણે-ખૂણે અલગ અલગ ભાષાઓમાં રામાયણ સાંભળવાનો અવસર મળ્યો. રામને પરિભાષિત કરતાં ઋષિઓએ કહ્યું, રમન્તે યસ્મિન ઈતિ રામ… રામ પર્વથી લઈને પરંપરામાં સમાયેલા છે. લોકોએ રામને જીવ્યા છે. રામ રસ જીવન પ્રવાહની જેમ વહ્યો છે. રામકથા અસીમ છે. રામાયણ પણ અનંત છે. બધે રામના મૂલ્યો સરખા છે.આજે દેશ એ વાતનો સાક્ષી છે કે, અગણીત રામ ભક્તો, કારસેવકો અને સંત મહાત્માના ઋણી છીએ. આજની ક્ષણ ઉત્સવની તો છે પણ ભારતીય સમાજની પરિપક્વતાની બોધની ક્ષણ છે. આ અવસર વિજયનો નહીં, વિનયનો પણ છે. ઘણા રાષ્ટ્ર પોતાના ઈતિહાસમાં ઉલઝાઈ જાય છે. તેમાંથી બહાર નીકળવામાં કષ્ટ પડ્યું પણ આપણા દેશે જે ગંભીરતા અને ભાવુકતા સાથે ખોલી છે તે બતાવે છે કે આપણું ભવિષ્ય ભૂતકાળ કરતાં વધારે સરસ બનવા જઈ રહ્યું છે. ઘણા કહે છે, રામ મંદિર બનશે તો આગ લાગી જશે. એ લોકો નિર્માણ પાછળનો હેતુ નથી સમજતા. આ મંદિર સમભાવનું પ્રતીક છે. આ મંદિર કોઈ આગને નહીં, ઊર્જાને જન્મ આપે છે. રામ વિવાદ નહીં, રામ સમાધાન છે. રામ આપણા નથી. રામ તો બધાના છે.

તે વર્તમાની નહીં, અનંતકાળના છે.આ માત્ર રામના વિગ્રહરૂપની પ્રતિષ્ઠા નથી, રામ પ્રત્યેના અતૂટ વિશ્વાસની પ્રતિષ્ઠા છે. આ મૂલ્યોની, આદર્શોની પ્રતિષ્ઠા છે. રામ મંદિર દેવ મંદિર નથી, એ ભારતની દ્રષ્ટિનું મંદિર છે. રામના રૂપમાં રાષ્ટ્રચેતનાનું મંદિર છે. રામ ભારતનો આધાર છે. રામ ભારતની ચેતના છે. રામ ભારતનું ચિંતન છે. રામ પ્રવાહ છે. રામ નેતી પણ છે નીતિ પણ છે. રામ વ્યાપક છે. રામ વિશ્વાત્મા છે. એટલે જો રામની પ્રતિષ્ઠા થાય છે તો વર્ષો સુધી નહીં, હજારો વર્ષો સુધી થાય છે. રામ રાજ્યની સ્થાપના થઈ છે. રામની ભૂમિ કેટલાક સવાલ કરે છે. મંદિર તો બંધાયું પણ હવે આગળ શું?આજના અવસરે દેવ દેવીઓના આશીર્વાદ આપે છે તેને આમ જ વિદાય કરીશું. પવિત્ર મનથી મહેસુસ કરું છું કે કાળચક્ર બદલાઈ રહ્યું છે. આપણી પેઢીને કાળ શિલ્પના રૂપમાં પસંદ કરી છે. આ યહી સમય હૈ, સહી સમય હૈ… આજથી આ પવિત્ર સમયથી એક હજાર વર્ષ સુધીના ભારતનો પાયો નાંખવો છે. દેશવાસીઓ સમર્થ, સક્ષમ, ભવ્ય, દિવ્ય ભારતના નિર્માણની સોગંદ લઈએ છીએ. રામના વિચાર જનમાનસમાં પણ હોય તે રાષ્ટ્રનિર્માણની સીડી છે. આપણી ચેતનાનો વિસ્તાર રામથી રાષ્ટ્ર સુધીનો હોવો જોઈએ.દૂર કુટિયામાં જીવન વિતાવનારી મા શબરી તો કહેતી કે, રામ આયેંગે… પ્રત્યેક ભારતીયમાં જન્મેલો વિશ્વાસ પ્રત્યેક ભારતીયોનો આધાર બને છે. નિષાદરાજની મિત્રતા દરેક બંધનોથી ઉપર છે. દેવ સે દેશ, રામ સે રાષ્ટ્રની ચેતનાનો વિસ્તાર કરવાનો છે.

કોઈ એમ વિચારતો હોય કે હું નાનો છું તો ખિલકોલીને યાદ કરવી જોઈએ. લંકાપતિ રાવણ પ્રકાંડ જ્ઞાની હતા પણ જટાયુની મૂલ્યનિષ્ઠા જુઓ, તેને ખબર હતી કે રાવણ સામે ટકી નહીં શકે તો પણ રાવણને પડકાર આપ્યો. આપણે સંકલ્પ લઈએ રાષ્ટ્ર નિર્માણ માટે પળપળ આપી દઈએ. રામ સમર્પણને રાષ્ટ્ર સમર્પણ સાથે જોડી દઈએ. આ પૂજા અહમથી ઉપર સ્વયં માટે હોવી જોઈએ. આપણે નિત્ય પરાક્રમ, પુરુષાર્થનો પ્રસાદ પ્રભુ રામને ચડાવવો પડશે. આ ભારતના વિકાસનો અમૃતકાળ છે. યુવાઓની ઊર્જાથી દેશ ભરપૂર છે. હવે ચૂકવાનું નથી, બેસવાનું નથી. યુવાનોને કહીશ કે, તમારી સામે હજારો વર્ષોની પ્રેરણા છે.આવનારો સમય સફળતાનો છે. સિદ્ધિનો છે. ભવ્ય રામ મંદિર સાક્ષી બનશે ભવ્ય ભારતના ઉદયનું, વિકસિત ભારતનું. આ ભારતનો સમય છે અને હવે ભારત આગળ વધશે. આપણે બધાએ આ કાળખંડની રાહ જોઈ છે. હવે આપણે રોકાશું નહીં, આગળ વધતા રહેશું.

આજના આંનદને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી: મોહન ભાગવત

સંઘના વડા મોહન ભાગવતે કહ્યું કે, આજનો આનંદ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. અયોધ્યમાં રામલલ્લા સાથે ભારતનો સ્વ પાછો આવ્યો છે. વિશ્વને ત્રાસદીમાંથી મુક્ત કરાવનારું ભારત આજે ઉભરી આવ્યું છે. દેશભરમાં રામમય વાતાવરણ છે. મોદીએ 11 દિવસનું કઠોર તપ કર્યું. એ તપસ્વી છે. અયોધ્યામાં રામલલ્લા આવ્યા પણ તે અયોધ્યાની બહાર કેમ ગયા, કારણ કે અયોધ્યામાં કલહ થયો. અયોધ્યા એ નગરી છે જ્યાં કલહ નથી હોતો. આજે રામલલ્લા પાછા આવ્યા છે. આજે એ લોકોના ત્યાગને યાદ કરવો પડે. આ યુગમાં પાછા આવવાનો ઈતિહાસ જે જે શ્રવણ કરશે તે રાષ્ટ્ર માટે સમર્પિત રહેશે. આપણા માટે કર્તવ્યનો આદેશ છે. મોદીજીએ તપ કર્યું, હવે આપણે તપ કરવાનું છે.આપણે તમામ કલહને દૂર કરવા પડશે. અયોધ્યામાં નિર્દંભ નાગરિકો હતા. અધ્યાત્મિક હતા. ગાંધીજી કહેતા હતા કે, સંયમમાં રહેવું, અનુશાસનનું પાલન કરવું, કુટુંબમાં અનુશાસનનું પાલન કરવું. આ જ દેશભક્તિનું રૂપ છે. આનાથી જ જીવનમાં તપસ્યા આવે છે. વ્યક્તિગત તપ તો કરીશું પણ સામૂહિક તપ કરવાની જરૂર છે. તપથી દેશને વિશ્વગુરૂ બનાવીશું. રામલલ્લા આપણને પ્રેરણા આપવા આવ્યા છે. આપણે અત્યારથી વ્રતનું પાલન કરીશું તો રામ મંદિર બનશે ત્યાં સુધીમાં ભારત વિશ્વગુરૂ બનશે.

મંદિર ત્યાં જ બનાવાવમાં આવ્યું, જ્યાં સંકલ્પ લેવામાં આવ્યો હતો: યોગી આદિત્યનાથ

યોગી આદિત્યનાથે કહ્યું કે, મન લાગણીશીલ છે અને આ ક્ષણનું વર્ણન કરવા માટે શબ્દો શોધી શકતા નથી. રામનું નામ દરેકના મનમાં છે. દરેક માર્ગ અયોધ્યા તરફ આવી રહ્યો છે. દરેક જીભ રામ રામનો જપ કરી રહી છે. રામ રોમમાં છે. એવું લાગે છે કે આપણે ત્રેતાયુગમાં પ્રવેશ કર્યો છે. આજે દરેક રામ ભક્તમાં ગર્વ અને સંતોષની લાગણી છે. આ દિવસની રાહ જોતા પાંચસો વર્ષ વીતી ગયા. આ અધૂરી ઈચ્છાને લઈને ડઝનેક પેઢીઓ ધરા ધામથી સાકેત ધામમાં ગઈ છે. આ પ્રકારનો આ પહેલો કિસ્સો હશે જેમાં દેશના બહુમતી સમુદાયે પોતાના દેશમાં પોતાના પૂજારીઓ માટે મંદિર બનાવવા માટે આટલા વર્ષો સુધી લડત ચલાવી હોય. સમાજના દરેક વર્ગે જાતિ, વિચારધારા અને ફિલસૂફીથી ઉપર ઉઠીને રામના કાર્યમાં પોતાને સમર્પિત કરી દીધા. આખરે એ તક આવી. આજે આત્મા ખુશ છે કે મંદિર જ્યાં બાંધવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો ત્યાં જ બાંધવામાં આવ્યું છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.