Abtak Media Google News

અત્યારસુધીમાં શેરબજારમાં રોકાણ કરનારાઓની સંખ્યા દેશમાં માંડ 8 કરોડે પહોંચી, પણ ક્રિપ્ટોમાં રોકાણ કરનારાઓની સંખ્યા જેટ ગતિએ વધીને 10.07 કરોડે પહોંચી ગઈ

અબતક, નવી દિલ્હી : ભારતમાં ક્રિપ્ટોનો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે. ક્રિપ્ટોની અસ્થિરતાને પગલે તેમાં ચડાઉ ઉતાર ખૂબ ઝડપી અને મોટા પ્રમાણમાં થતો હોય છે. ત્યારે વધુ પૈસા કમાવવાની લ્હાયમાં અનેક રોકાણકારો તેના તરફ વળ્યા છે. ત્યારે આ રોકાણકારો ધોવાય ન જાય તેના ડરે કેન્દ્ર તેના ઉપર અંકુશ મુકવા પ્રયાસ કરી રહી છે. જો કે એ વાત પણ વિચાર માંગી લ્યે તેવો છે કે ક્રિપ્ટો-ડિજિટલ કરન્સી ન હોવા છતાં રોકડનો પર્યાય બનવા તરફ છે આવું કેમ?

દેશમાં જે ઝડપથી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણનો જાણે ધોધ વહી રહ્યો છે, એને જોતાં અર્થતંત્ર ઉપરાંત અનેક મોરચે ખતરાની ઘંટડી વાગી રહી છે. ક્રિપ્ટોકરન્સી પાછળ છુપાયેલી એક હકીકત એ છે કે એ કોઈ કરન્સી, રોકાણનું માધ્યમ કે પછી એસેટ  કેટેગરીમાં અત્યારે આવતી નથી, એટલે કે ક્રિપ્ટોકરન્સીમાં જે લોકો પૈસાનું રોકાણ કરી રહ્યા છે તેમને રોકાણકાર કહી શકાય એમ નથી. આશ્ચર્યની વાત તો એ છે કે ભારતમાં ક્રિપ્ટોકરન્સીમાં નાણાં રોકનારની સંખ્યા ખૂબ જ ઓછા સમયમાં 10 કરોડથી પણ વધારે થઈ ગઈ છે અને આ આંકડો ભારતીય શેરબજાર સાથે જોડાયેલા રોકાણકારોની સંખ્યાની તુલનામાં ખૂબ જ વધારે છે, એટલે કે છેલ્લાં 100-125 વર્ષમાં દેશનાં શેરબજારોમાં રોકાણકારોનો આંકડો લગભગ 8 કરોડ નજીક પહોંચ્યો છે, તેની તુલનામાં ક્રિપ્ટોકરન્સીમાં થોડાં વર્ષોમાં જ 10.07 કરોડ રોકાણકારો આકર્ષવામાં સફળ રહ્યું છે. અમેરિકામાં આશરે 2.75 કરોડ લોકો ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરે છે. પ્રથમ નંબર અને બીજા ક્રમ પર રહેલા ભારત અને અમેરિકામાં આ આંકડા વચ્ચે ઘણું મોટું અંતર છે.

ભારતમાં સૌથી વધારે સંખ્યામાં 10.07 કરોડ લોકો ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી રહ્યા છે. અમેરિકા 2.74 કરોડ સાથે બીજા ક્રમ પર છે, જ્યારે ત્યાર પછીના ક્રમ પર રશિયામાં 1.74 કરોડ અને નાઈજીરિયામાં 1.30 કરોડ છે. વસતિની તુલનામાં ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો ભારતમાં કુલ વસતિના 7.30 ટકા લોકો ક્રિપ્ટોકરન્સી સાથે સંકળાયેલા છે અને તે પાંચમા ક્રમે છે. યુક્રેન કુલ વસતિ પૈકી ક્રિપ્ટો ધરાવનાર 12.73 ટકા સાથે પ્રથમ ક્રમ પર છે. ત્યાર બાદ રશિયા 11.91 ટકા, કેન્યા 8.52 ટકા અને અમેરિકા 8.31 ટકા છે.

ક્રિપ્ટોકરન્સીમાં પૈસા લગાવનારાઓને ઓછા સમયમાં વધારે પૈસા કમાવાની લાલચ વચ્ચે તેઓ એ પાયાની માહિતીથી સંપૂર્ણપણે અજાણ છે કે તે શું ખરીદી કરી રહ્યા છે અને શા માટે ખરીદી કરી રહ્યા છે. તેમના રોકાણ પાછળનો મૂળમંત્ર કે ઉદ્દેશ એક જ છે કે રોકાણકારો આગામી દિવસો, મહિના કે પછી વર્ષમાં ખૂબ ઊંચી કિંમતે વેચાણ કરી અઢળક કમાણી કરવી. ક્રિપ્ટોકરન્સીમાં કોઈ પ્રકારનાં સમજણ, વિચાર કે પછી સ્થિતિનું વિશ્લેષણ-સંશોધન કર્યાં વગર જ રોકાણ કરવામાં આવી રહ્યું છે.

ડિજિટલ બેંકો માટે નીતિ આયોગની કવાયત

નીતિ આયોગે બુધવારે સંપૂર્ણ ટેક્નોલોજી આધારિત ડિજિટલ બેંકની સ્થાપના કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.  દેશમાં નાણાકીય પડકારોને પહોંચી વળવા માટે આ બેંક સૈદ્ધાંતિક રીતે ઈન્ટરનેટ અને અન્ય સંબંધિત ચેનલોનો ઉપયોગ ભૌતિક શાખાને બદલે તેની સેવાઓ પ્રદાન કરવા માટે કરશે.  પીટીઆઈના સમાચાર અનુસાર, પંચે આ સંદર્ભમાં ‘ડિજિટલ બેંક્સઃ પ્રપોઝલ્સ ઓન લાઇસન્સિંગ એન્ડ રેગ્યુલેટરી સિસ્ટમ ફોર ઈન્ડિયા’ નામના ચર્ચાપત્રમાં આ પ્રસ્તાવ મૂક્યો છે.

જેમાં ડીજીટલ બેંક લાયસન્સ અને રેગ્યુલેટરી સીસ્ટમ અંગે એક માળખું રજૂ કરવામાં આવ્યું છે. આ પેપરમાં કહેવામાં આવ્યું છે કે ડિજિટલ બેંક એ જ છે જે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (BR એક્ટ) માં વ્યાખ્યાયિત કરવામાં આવી છે.  તેણે કહ્યું કે, બીજા શબ્દોમાં કહીએ તો, આ સંસ્થાઓ થાપણો મેળવશે, લોન આપશે અને બેંકિંગ રેગ્યુલેશન એક્ટમાં પૂરી પાડવામાં આવેલ તમામ સેવાઓ પ્રદાન કરશે.  જો કે, નામ સૂચવે છે તેમ, ડિજિટલ બેંક મુખ્યત્વે ભૌતિક શાખાઓને બદલે તેની સેવાઓ પ્રદાન કરવા માટે ઇન્ટરનેટ અને અન્ય સંબંધિત વિકલ્પોનો ઉપયોગ કરશે.

નાના કરતે પ્યાર તુમહી સે….

રોકાણકારોને ક્રિપ્ટોમાં વેપાર કરવાની અમુક અંશે છૂટ!!!

ભારત ક્રિપ્ટોકરન્સીને નાણાકીય સંપત્તિ તરીકે ગણવાની દરખાસ્ત પર વિચાર કરી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર 29 નવેમ્બરથી શરૂ થતા સત્રમાં સંસદમાં રજૂ કરવા માગે છે તે બિલને અંતિમ સ્વરૂપ આપવા સત્તાધિકારીઓની દોડધામ દરમિયાન આ ચર્ચાઓ આવી છે. એક તરફ ખાનગી ક્રિપ્ટો ઉપર પ્રતિબંધની વાતો આવી રહી છે. ત્યારે એવી શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે કે રોકાણકારોને ક્રિપ્ટોમાં વેપાર કરવાની અમુક અંશે છૂટ અપાશે. ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં, મોદીએ ક્રિપ્ટોકરન્સી પર એક બેઠક યોજી હતી, જેના પછી અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારત અનિયંત્રિત ક્રિપ્ટો માર્કેટને મની લોન્ડરિંગ અને ટેરર ​​ફાઇનાન્સિંગ માટેનો માર્ગ બનવા દેશે નહીં.

અંતે સરહદો વગરના ઇ કોમર્સ ઉપર ડિજિટલ સર્વિસ  ટેક્સ માટે અમેરિકા- ભારત સંમત

ભારત-યુએસ ટ્રેડ પોલિસી ફોરમની બેઠકના સમાપનના એક દિવસ પછી, બંને દેશોએ સરકાર દ્વારા લાદવામાં આવેલા ડિજિટલ સર્વિસ ટેક્સ માટે નિર્ણય કર્યો છે. યુએસએ ઑસ્ટ્રીયા, બ્રિટન, ફ્રાન્સ, ઇટલી, સ્પેન અને તુર્કી જેના દેશો સાથે જે શરતો નક્કી કરી છે. તે જ શરતો ભારત સાથે પણ નક્કી કરી છે.  આ બેઠકમાં ભારત અને યુએસ બન્ને સહમત થયા છે કે સરહદ વગરના ઇ કોમર્સ ઉપર  ડિજીટલ સર્વિસ ટેક્સ લાદવામાં આવશે. આ બેઠકમાં યુએસ પ્રતિનિધિનો અભિગમ અત્યંત હકારાત્મક રહ્યો હતો. કારણકે અમેરિકાની સેંકડો ઇ કોમર્સ કંપનીઓ માટે ભારત મોટું માર્કેટ છે.

ડેટાને સુરક્ષિત કરવા હેવી પેનલ્ટી લગાવાશે?

ડેટા પ્રોટેક્શન બિલ હેઠળ સુરક્ષાને ભંગ અને ઉલ્લંઘનના કિસ્સામાં ભારે દંડ લાદવાની ભલામણ કરવામાં આવી છે. અને આ બાબતને સરકારના હાથમાં છોડી દીધી છે.  2019ના મૂળ ડેટા પ્રોટેક્શન બિલમાં 15 કરોડ રૂપિયા અથવા વૈશ્વિક ટર્નઓવરના 4% (જે વધુ હોય તે) દંડ નક્કી કરવામાં આવ્યો હતો.  પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ પર સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી), જેનું નેતૃત્વ ભાજપના પી પી ચૌધરીએ કર્યું છે, જેઓ પૂર્વ મંત્રી પણ છે.

સરકારે કહ્યું છે કે, કંપનીઓના વૈશ્વિક ટર્નઓવર પર કામ કરવું પડકારજનક રહેશે, ખાસ કરીને જ્યારે ડિજિટલ લેન્ડસ્કેપ ઝડપથી બદલાઈ રહ્યું છે. સમિતિના મતે, આ પ્રકારનું પરિમાણ શક્ય ન હોઈ શકે કારણ કે કંપનીના ‘વર્લ્ડ-વાઈડ ટર્નઓવર’ અને તે પણ તેની ગ્રૂપ એન્ટિટીઓ સાથે માપવા માટે કોઈ સ્પષ્ટ પદ્ધતિ નથી.  ઉપરાંત, વિકસતી ડિજિટલ તકનીકોની ઝડપથી બદલાતી ગતિશીલતાને ધ્યાનમાં રાખીને, સમિતિને લાગે છે કે સરકારને દંડની માત્રા નક્કી કરવામાં સક્ષમ બનાવવું તે સમજદારીભર્યું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.