Abtak Media Google News

આવ રે વરસાદ… ઢેબરીયો વરસાદ ઉની ઉની રોટલીને કારેલાનું શાક… ચોમાસુ બેસતાં મેઘ મલ્હારની સૌ કોઈ રાહ જોતા હોય છે. એમાં પણ જગનો તાત ગણાતા એવા ધરતીપુત્રો વરસાદની આતુરતાથી વાંટ જુએ છે. ચાલુ વર્ષે100 ટકા વરસાદ વરસશે તેવા અનુમાન વચ્ચે હાલ સૌરાષ્ટ્રના ઠેક ઠેકાણે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જુલાઈ માસ અંતમાં હોવા છતાં સરેરાશ વરસાદ હજુ પડ્યો નથી. મેઘરાજા માત્ર હાઉકલી કરી ચાલ્યા જાય છે. મેઘરાજાની આ હાઉકલીએ ઘણા લોકોને મૂંઝવણમાં મૂકી દીધા છે. ધરતીપુત્રો પર તો કાળી ચિંતાના ઘેરા વાદળો મંડરાયા છે.

મેઘ ‘મલ્હાર’ લાપસીના ‘આંધણ’ લ્યાવે છે… !!

વરસાદની ખેંચ માત્ર ધરતીપુત્રો માટે જ નહીં પણ દરેક વર્ગ માટે એક કાળી ચિંતા સમાન

વરસાદની હાઉકલી માત્ર ખેડૂતોને જ નહીં પરંતુ દરેક વર્ગ અને તમામ લોકો પર અસર કરે છે. સારો વરસાદ જ સારા વર્ષનું માધ્યમ છે. પણ જો વરસાદ જ સારો ન પડે તો ખેડૂતોની તો માઠી દશા થાય છે પણ આ સાથે તમામ વર્ગને પણ અસર કરે છે. વરસાદની ખેંચ પ્રત્યક્ષ કે પરોક્ષ પણે સીધી અર્થતંત્રને પણ મોટી અસર કરે છે. લોકોની ખરીદ શક્તિ ઘટી છે. વરસાદની ખેંચ ઊભી થતા લોકો અત્યારથી જ પૈસા ખર્ચવા પર કાંપ મૂકી રહ્યા છે. એમાં પણ હવે આગામી દિવસોમાં તહેવારો નજીક હોવાથી ખરીદ શક્તિ અને પૈસાના ખર્ચ પર લોકો કાબૂ મેળવી રહ્યા છે.

એક તરફ મેઘરાજાની હાઉકલી અને એમાં પણ તહેવારો નજીક આવતા ખર્ચા કાઢવાનું સામાન્ય જન માટે જટિલ

વરસાદની ઘટને અર્થતંત્ર સાથે સીધો સંબંધ: વર્ષ નબળુ જવાના અણસારે લોકોની ખરીદ શકિત ઘટી

બચત અને સાત પેઢીનું સાજું કરવામાં માનનારા ભારતીય લોકોની વિશેષતા જ આગવું આયોજન છે. હવે આગામી દિવસોમાં વરસાદ નહીં વરસે તો આખું વરસ કાઢવુ કઈ રીતે..?? વરસાદ ખેચાતા કૃષિ પેદાશો સહિતની ચીજવસ્તુઓના ભાવ પણ વધશે. મોંઘવારીના માર વચ્ચે અને એમાં પણ તહેવારો આવતા ખર્ચો કાઢવો કઈ રીતે..?? એ મધ્યમ વર્ગ માટે એક મોટો પ્રશ્ન બની રહે છે.

વરસાદની ઘટ માત્ર કૃષિ નહીં પરંતુ દરેક ક્ષેત્ર પર અસર પહોંચાડે છે. ઉદ્યોગથી માંડી દરેક ક્ષેત્ર માટે કૃષિ એક કાચા માલ તરીકે અગત્યનું કામ કરે છે. પરંતુ મેઘરાજાની હાઉકલીથી કૃષિક્ષેત્ર જ મંદ પડે તો અન્ય ક્ષેત્ર પણ મંદ પડે તે સ્વાભાવિક જ છે. તાજેતરમાં સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમિક દ્વારા એક અહેવાલ પ્રસારીત કરાયો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે 27 જૂનથી છેલ્લા ત્રણ સપ્તાહમાં લોકોની બચત પ્રત્યેની માનસવૃત્તિ 12.2% વધી છે.

આંકડા દર્શાવે છે કે ગ્રામીણ ભારતમાં છેલ્લા ત્રણ સપ્તાહ દરમિયાન ઉપભોક્તાના માનસપટમાં  17 ટકાનો સુધારો થયો છે જ્યારે આ સમયગાળા દરમિયાન શહેરી વિસ્તારમાં આ વધારો સાધારણ 1.7 ટકા રહ્યો છે. સીએમઆઈઇએ તેના સાપ્તાહિક બજાર વિશ્લેષણમાં જણાવ્યું છે કે, ગ્રાહકની માન્સવૃત્તિમાં તાજેતરનો સુધારો એ સંપૂર્ણપણે વરસાદની ઘટનું પરિણામ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.