Abtak Media Google News

કોરોનાકાળના નિયમો દુનિયાભરમાંથી હટાવાયા

‘બિનજરૂરી’ નિયમોથી યાત્રીકોને થતી પરેશાની

દ્વારકાધીશ મંદિરમાં કોરોનાકાળ દરમ્યાન ઠાકોરજીના નિત્યક્રમના દર્શન સિવાય સોશ્યલ ડીસ્ટન્સ અને કોરોનાને ક્ધટ્રોલમાં રાખવા હેતુ નિયમો લાગૂ કરાયા હતા. તે પૈકી સવારના સાડા છ વાગ્યાની મંગળા આરતીના દર્શન બાદ આઠ વાગ્યે ઠાકોરજીનો ગ્વાલ ભોગનો પડદો આવે છે અને સવારે 9 વાગ્યાથી દ્વારકાધીશજીના દર્શન ભાવિકોને થાય છે. પરન્તુ હજારો વર્ષોની પરંપરા અનુસાર મંદિરના દ્વાર સવારે 6:30 કલાકે ખૂલ્યા બાદ બપોરે 1 વાગ્યે રાજભોગના દર્શન બાદ મંદિર બંધ કરાય છે. કોરોનાકાળમાં વહીવટકર્તાઓ દ્વારા સવારે 8 થી 9 વાગ્યા વચ્ચે મંદિરમાં ભાવિકોનો પ્રવેશ બંધ કર્યા બાદ હજુ આ નિયમ યથાવત રાખતા હાલના વેકેશનના સમયમાં ચિકકાર ભીડમાં યાત્રીકો ભારે પરેશાનીનો સામનો કરી રહયા છે. ઉપરોકત પ્રશ્ર્ને દ્વારકા શારદાપીઠ અને પૂજારી પરિવાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા પણ આ નિયમ દૂર કરવા અને સવારના 8 થી 9 વાગ્યા વચ્ચે પણ મંદિર ખૂલ્લું રાખવા માંગ ઉઠી છે.

મંદિર પરિસરના સોળ જેટલાં મંદિરોના લાભથી ભાવિકો વંચિત

અત્રે નોંધનીય છે કે દ્વારકાધીશ મંદિર પરિસરમાં ભગવાન દ્વારકાધીશજીના મંદિર સિવાય અન્ય દેવી દેવતાઓના પૌરાણિક સોળ જેટલા મંદિરોમાંના મોટા ભાગના મંદિરોમાં દર્શન ખુલ્લાં હોય છે તો આ નિયમ દૂર કરવામાં આવે તો દેશ વિદેશથી આવતાં પ્રવાસી યાત્રીકો આ મંદિરોમાં દર્શન કરી શકે. દાખલારૂપ કહી શકાય કે મંદિર પરિસરમાં ભગવાન દ્વારકાધીશના આરાધ્ય દેવ એવા કુશેશ્વર મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મંદિર, ગાયત્રી માતાજી મંદિર, અંબાજી મંદિર, પુરૂષોત્તમરાયજી મંદિર, દત્તાત્રેય ભગવાનનું મંદિર જેવા મંદિરો સવારના આઠ થી નવ વાગ્યા વચ્ચે પણ દર્શન માટે ખૂલ્લાં જ હોય છે.

આઠ થી નવ વાગ્યા દરમ્યાન વહીવટીતંત્ર દ્વારા કોરોનાકાળથી શરૂ કરાયેલ નિયમને લીધે સદીઓ જૂની પરંપરા બિનજરૂરી રીતે તૂટી રહી હોય જેના કારણે ભાવિકો દેવદર્શનથી વંચિત રહી જાય છે. આજ કારણે મંદિર પરિસરની બહારના ચોકમાં હાલમાં ઉનાળાની કાળજાળ ગરમીમાં ભાવિકોને નિયમોનો હવાલો આપી બિનજરૂરી રોકી રખાતાં દર્શનાર્થીઓને ગરમીમાં ડીહાઈડ્રેશન સહિત અનેક તકલીફો વેંઠવી પડે છે.

ત્યારે ભાવિકોની સગવડતા અને સલામતી માટે વહીવટી તંત્રએ કોરોના કાળમાં બનાવેલાં નિયમો કોરોના હળવો થયા બાદ દુનિયાભરમાંથી નિયમો નાબૂદ થયા હોવા છતાં દ્વારકાધીશ મંદિરના વહીવટી નિયમોમાં જરૂરી ફેરફાર ન થતાં સરવાળે યાત્રીકોને ભોગવવું પડી રહયુ હોય તંત્ર આ અંગે ત્વરિત ઘટિત કાર્યવાહી કરે તે અપેક્ષિત છે.

મંદિર પરંપરાના અન્ય ધર્મકાર્યો કરવામાં ભાવિકોને સરળતા થઈ શકે

અત્રે મહત્ત્વની બાબત એ પણ છે કે જો સવારે 8 થી 9 દરમ્યાન વર્ષોની પરમ્પરા અનુસાર યાત્રીકોને પ્રવેશ આપવામાં આવે તો યાત્રીકો દ્વારકાધીશ મંદિરમાંથી રોકડ ભેટ લખાવીને દ્વારકાધીશજીનો પ્રસાદ મેળવી શકે અને ખાસ કરીને પ્રસાદ કેટલા રૂપિયાનો મેળવવો તેનો અભ્યાસ કરીને યોગ્ય નિર્ણય લઈ શકે. ઉપરાંત પ્રવાસી યાત્રીકો દેશ વિદેશથી આવતાં હોય તેમને દ્વારકાધીશજીની વર્તમાન શિખર મંદિર જેમાં શિલ્પકલા તથા સ્થાપત્યની અદ્ભૂત કૃતિઓ વર્ણવેલી હોય જેને પણ બારિકતાથી નિહાળી શકે અને હજારો વર્ષ પૂરાણા મંદિરની પૌરાણિકતા અને ઈતિહાસથી વાકેફ થવા માટે મંદિર પરિસરમાં ગાઈડ તરીકે કામ કરતા ગુગળી જ્ઞાતિના પંડાઓ પાસેથી તેનો પરિચય સુવ્યવસ્થિત રીતે મેળવી શકે.

  Screenshot 6 13 જગતમંદિરમાં સાનુકૂળતાથી દર્શન યાત્રીકોની પ્રાથમિકતા: હોટલ એસો.

દ્વારકા હોટલ એસોસીએશનના પ્રમુખ નિર્મલભાઈ સામાણીએ પણ આ પ્રશ્ર્ને જણાવતાં કહયુ છે કે દ્વારકામાં આવેલી 200 જેટલી હોટલ, ધર્મશાળા, ભવન, અતિથિ ગૃહોમાં આવતાં પ્રવાસીઓ માત્ર દ્વારકાધીશ મંદિરમાં દર્શનાર્થે જ આવતાં હોય છે. જેઓને સવારના મોટા ભાગે દ્વારકાધીશના દર્શન અને મંદિરની શિલ્પકળાકૃતિઓ નિહાળવા અને મંદિરનો પ્રસાદ મેળવી વતન સુધી લઈ જવાનો આગ્રહ રહેતો હોય છે. આવા યાત્રીકોને સવારે 8 થી 9 વચ્ચે મંદિરો ખૂલ્લું રહે તો અન્ય મંદિરોના દર્શનો વ્યવસ્થિત રીતે કરી શકે અને મંદિરની વર્ષો જૂની પરમ્પરા પુન:સ્થાપિત થાય તે ખૂબ જ જરૂરી છે.

Screenshot 7 8 પૂજારી પરિવારના અધ્યક્ષ દ્વારા વહીવટદારને પૂન: રજૂઆત

દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવારના અધ્યક્ષ મુરલીભાઈ ઠાકર એ પણ દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના તેઓ સભ્ય પણ હોય જેથી તેમણે દ્વારકાધીશ મંદિરમાં

કોરોનાકાળમાં દાખલ કરવામાં આવેલા નિર્ણયો દૂર કરવામાં આવે અને સવારે 8 થી 9 વચ્ચે મંદિરમાં યાત્રીકોને સામાન્યત: પ્રવેશ આપવા રજૂઆત કરી છે.

Screenshot 8 11 વર્ષોની પરંપરા પૂન:સ્થાપિત કરાય: ગુગળી જ્ઞાતિ મંત્રી

દ્વારકાની જગતમંદિરમાં ઠાકોરજીની સેવાપૂજા સાથે સંકળાયેલ ગુગળી જ્ઞાતિ 505ના મંત્રી કપિલભાઈ વાયડાએ પણ જણાવ્યું છે દ્વારકાધીશ મંદિર પરિસરને કોરોનાના નિયમોને લઈને જે રીતે વર્તમાનમાં સવારના 8 થી 9 વાગ્યા વચ્ચે યાત્રીકોનો પ્રવેશ નિષેધ કોરોના બાદ પણ યથાવત રખાયો છે તે પ્રકારના નિયમો દુનિયાભરમાંથી દૂર થયા હોય ત્યારે વહીવટી તંત્ર દ્વારા હાલમાં આ નિયમનો અમલ ચાલુ રાખતા યાત્રીકોને મંદિરમાં આ સમયમાં પ્રવેશ મળતો ન હોય જેથી મંદિરની પૌરાણિક પ્રાચીનતા અને ગરીમા સમાન દ્વારકાધીશ મંદિરનો પરિચય મેળવવાનો યાત્રીકો પાસે પૂરતો સમય રહેતો નથી. મંદિર પરિસરમાં 8 થી 9 વાગ્યા વચ્ચે યાત્રીકોને પ્રવેશ આપવો જોઈએ તેવી અમારી પણ નમ્રતાપૂર્વકની માંગ છે. જો મંદિરમાં યાત્રીકોને પ્રવેશ મળશે તો યાત્રીકોને સુવિધાની સાથે સાથે દ્વારકા ગુગળી જ્ઞાતિના પંડાઓ જેઓ મંદિર પરિસરમાં ગાઇડ તરીકે કામ કરે છે તેમને પણ આર્થિક રીતે મદદગારી થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.