Abtak Media Google News

વિજ્ઞાન એટલું બધું અનિશ્ચિત બની ગયું છે કે આવતી સદીની વાત છોડો, પરંતુ આવતાં બે દશકામાં શું બનશે એ કહી શકવું પણ કઠિન છે. નવી નવી ટેકનોલોજી શોધાતી રહે છે પરંતુ પુરાણી થઈ ગયેલી વસ્તુઓ ક્યાં નાંખવી તેનો આપણી પાસે કોઈ જવાબ નથી!

પર-સ્વાધીનતા એટલી હદ્દે વધી જશે કે આપણે સારા-નરસાનું ભાન ભૂલી જઈશું. માણસ મશીનોનાં સહારે નાચતું પૂતળું બનીને રહી જશે!

એલ્ગોરિઘમ અને ટેક્નોલોજીની દુનિયા એક અજાણ્યા અનિશ્ચિત સમય તરફ લઈ જશે !

થોડા સમય પહેલા ધ ન્યુયોર્ક ટાઇમ્સ અને હાઉ ટુ અકેડમી દ્વારા યોજાયેલ ઇવેન્ટમાં જાણીતાં ઇઝરાયેલી લેખક અને ઇતિહાસકાર યુવલ નોઆહ હેરારીને દુનિયાનાં ભવિષ્ય પર પ્રકાશ પાડવા માટે આમંત્રણ અપાયું. આ લેખક મહાશયે બે સુપરહિટ બૂક લખી છે : સેપિયન્સ અને હોમો ડ્યુસ! જેમાં તેમણે માનવજાતની ઉદભવ-ગાથાથી માંડીને તેનાં ભવિષ્યકથન સુધીની વાત કરી છે. યુવલનાં મત મુજબ, આગામી વર્ષો માણસજાત માટે ઘણા મુશ્કેલ પુરવાર થઈ શકે એમ છે, કારણકે અલ્ગોરિધમ અને ટેકનોલોજીની દુનિયામાં આપણે ઇશ્વરને સમકક્ષ પહોંચી ગયા હોઈશું! ત્યાંથી પાછા ફરવું એ કોઈ માટે શક્ય નહીં બને!

યુવલ નોઆહ હેરારીએ માણસજાતનું ભવિષ્ય ભાખતાં સાત મુદ્દા જણાવ્યા, જે સાંભળીને મગજ ઘડીભર ચકરાવે ચડી ગયું. આખું વક્તવ્ય તો અંગ્રેજીમાં છે, પરંતુ તેનાં મહત્વનાં સાતે-સાત મુદ્દાઓને અહીં સરળ ભાષામાં જણાવી રહ્યો છું.

(1) આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ અને ઓટોમેશનનો સંયોગ: ઔદ્યોગિક ક્રાંતિએ વિશ્વમાં પુષ્કળ રોજગારીનું સર્જન કર્યુ. પરંતુ સ્વયં સંચાલિત મશીનો ઘણા નોકરિયાતોને રસ્તે રઝડતાં કરી મૂકશે! દરેક ટેકનોલોજીનાં સારા અને ખરાબ એમ બંને પાસા જોવા મળે છે. ઉદાહરણ તરીકે, ન્યુક્લિયર વોર સમગ્ર વિશ્વ માટે ખતરનાક પુરવાર થઈ શકે તેમ છે. કોઈ નથી ચાહતું કે બે દેશો વચ્ચે અણુયુધ્ધ થાય! પરંતુ સવાલ એ છે કે તેને અટકાવવું કઈ રીતે?! હાલની વિધ્વંશકારી ટેકનોલોજીને પ્રતાપે આ ખતરો વધુ હાવી બન્યો છે. આજે દરેક દેશો અણુબોમ્બ અને મિસાઈલ બનાવવા પર ઉમટી પડ્યા છે, પરંતુ તેઓ બિલકુલ નથી જાણતાં કે માનવપ્રજાતિને આનું કેવું દુષ્પરિણામ ભોગવવાનો વારો આવી શકે છે! જાત-પાતનાં ઝઘડાઓ, આપસી રાજકારણ અને હ્યુમન-રિલેશન્સમાં આવી રહેલા ગંભીર બદલાવને કારણે આપણા માથે હાલ વિનાશની તલવાર લટકી રહી છે!

(2) લોકશાહીનું અપહરણ અને પર-સ્વાધીનતા: અગર આપણે એવી કોઈ સિસ્ટમ અથવા અલ્ગોરિધમ વિકસાવ્યા, જેનાં લીધે માણસનાં મનને સમજવું સરળ થઈ જાય તો શું થશે!? દુ:ખનાં સમયમાં વ્યક્તિને સધિયારો આપવા માટે પરિવારનાં સભ્યો ખડેપગે હોય છે, પરંતુ આવી ટેકનોલોજી હવે માતાનું સ્થાન છીનવી લેશે અને વ્યક્તિને પોતાનો ગુલામ બનાવી દેશે. પર-સ્વાધીનતા એટલી હદ્દે વધી જશે કે આપણે સારા-નરસાનું ભાન ભૂલી જઈશું. માણસ મશીનોનાં સહારે નાચતું પૂતળું બનીને રહી જશે! કલ્પના કરો કે, તમારું હ્રદય કોઈ ટેકનોલોજીનાં નિયંત્રણમાં છે. ફક્ત તે જાણે છે કે તમે કઈ વાતે ખુશ થાઓ છો અને કઈ વાતે ગુસ્સે અથવા દુ:ખી! આ ટેકનોલોજીનાં સહારે કોઈકનાં દિલોદિમાગ પર નિયંત્રણ મેળવવું કેટલુ સરળ થઈ જશે એ વિચારો! ચૂંટણી સમયે આખા સમુદાયને પોતાનાં પક્ષમાં ઉભો રાખી ઇલેક્શન જીતવું એ ચપટીનો ખેલ ગણાશે!

(3) વ્યક્તિગત ભેદભાવ અને આંતરિક વિખવાદ: ભૂતકાળમાં હિટલર જેવા શાસકોએ યહૂદી પ્રજા પરત્વે દાખવેલા ભેદભાવને લીધે આખેઆખી કમ્યુનિટીએ સજા ભોગવી હતી. વીસમી સદીમાં જ્યારે આફ્રિકામાં રંગભેદનો મુદ્દો ઉઠ્યો ત્યારે લોકોએ સાથે મળીને તેનો સામનો કર્યો અને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી. પરંતુ આગામી સમયમાં વ્યક્તિ સામૂહિક નહી પરંતુ વ્યક્તિગત ભેદભાવનો સામનો કરવા જઈ રહ્યો છે! માની લો કે ફેસબુક અથવા અન્ય કોઈ કંપની દ્વારા અલ્ગોરિધમ અથવા આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ સિસ્ટમને રિક્રુટમેન્ટ (ભરતી) ઓફિસર તરીકે નોકરી અપાઈ તો તે તમારો જોબ-પ્રોફાઈલ ઉપરાંત ડીએનએ (ડિઓક્સિરીબો ન્યુક્લિઈક એસિડ) પણ ચકાસી લેશે! અગર તેને કંઈ પણ ખૂટતું લાગ્યું તો ગમ્મે એટલી ઉંચી એજ્યુકેશનલ ડિગ્રી હોવા છતાં તમે જોબ માટે રિજેક્ટ થઈ જશો! તમારા સમલિંગી હોવા પર કે યહૂદી

(5) ભૂતકાળપ્રેમી રાજકારણીઓ: પોલિટિકલ પાર્ટી અને તેમનાં નેતાઓ આજે પણ વીસમી સદીમાં અટવાઈને બેઠા છે. આવનારા પચાસ વર્ષોનું ભવિષ્ય તૈયાર કરવાને બદલે તેઓ ભૂતકાળની ફેન્ટસી-સ્ટોરીને ઉલેચવામાં લાગ્યા છે. રીતસરની હોડ જામેલી છે! ટ્રમ્પ 1950ની સાલનાં દાખલાઓ આપી રહ્યો છે, પુટિન ક્ઝારિસ્ટ સામ્રાજ્યનો ભૂતકાળ જોવામાં લાગ્યો છે! દરેક વ્યક્તિ 2500 વર્ષ પહેલા લખાયેલી બાઈબલ બાબતે યુધ્ધમાં ઉતર્યા છે, જેથી પોતાની સુપિરિયારિટી પુરવાર કરી શકે. ફ્યુચર-ગોલ નક્કી કરવાને બદલે તેઓ ભૂતકાળમાં વધુ ને વધુ ઉંડે ઉતરી રહ્યા છે!

(6) હવે કંઈ પણ થઈ શકે છે!: અત્યારે આપણે જે ક્ષણમાં જીવી રહ્યા છીએ તે અનિશ્ચિતતાથી ભરપૂર છે. સારી અને ખરાબ બાબતોનું ભાન ભૂલાવીને મન ફાવે તેમ આપણે પ્રકૃતિ સાથે છેડછાડ કરી રહ્યા છીએ. અહીંથી આગળ કયા મુકામ પર પહોંચીશું એ પણ ખ્યાલ નથી! એક બાબત ગાંઠ બાંધવી જોઈએ કે નવી ટેકનોલોજીને પૂરેપૂરી સમજ્યા બાદ જ ઉપયોગમાં લઈશું. ખાટલે મોટી ખોટ એ છે કે વિવિધ કોર્પોરેશન, એન્જીનિયર તથા સાયન્ટિસ્ટનું ધ્યાન ફક્ત લેબોરેટરીમાં થતાં અવનવા પ્રયોગો પર છે. તેઓ માનવજાતને ફાયદારૂપ બનનારી ટેકનોલોજી વિકસાવવામાં પડ્યા છે પરંતુ ઇતિહાસકારો, તત્વચિંતકો અને સમાજવિજ્ઞાનીઓ આ ફેઝને બહુ મોટો ખતરો ગણાવી રહ્યા છે.

(7) નૈતિકતાને પુન:વ્યાખ્યાયિત કરવી જરૂરી બની ગઈ છે: સારી વર્તણૂક દાખવવા માટે ફક્ત ઉચ્ચ સૈધ્ધાંતિક મૂલ્યો હોવા જ આવશ્યક નથી! એ માટે આપણાં કર્મનું એક્શન-રિએક્શન જાણવું પણ જરૂરી છે. આજનાં સમયમાં ચોરી કરવી એ તો જાણે ચણા-મમરા ખાવા જેવી બાબત બની ગઈ છે. બાઈબલ, કુરાન કે ગીતાનાં સમયમાં નજર ફેંકીએ તો સમજાય કે દરેક ગુનેગાર પોતાનાં કર્મોને લીધે ભોગવવા પડતાં ફળથી વાકેફ હતો! પોતે આચરેલા ગુનાને લીધે કેટલા માણસોને હાનિ પહોંચવાની સંભાવના છે એ વિશે તે બરાબર વિચારતો. જ્યારે આજે કાયદાની ઐસી-તૈસી કરનારા માણસો ખૂલ્લેઆમ કોલર ઉંચા કરીને ફરી રહ્યા છે. તેમને લીધે કેટલા બધા લોકો  મહામારીનો સામનો કરી રહ્યા છે તેની જાણે કોઈને ફિકર જ નથી!  યુવલ નોઆહ હેરારીની આખી વાતનું તાત્પર્ય એ છે કે અગર માણસજાત સમયસર ન જાગી તો આગામી વર્ષોમાં વિશ્વમાં સર્જાવા જઈ ઉથલપાથલથી આપણને કોઈ નહી બચાવી શકે! હાલ આપણે ઝૂલતા પાટિયાની બરાબર વચ્ચે ઉભા છીએ જેની એક બાજુ ઉંડી કાંટાળી ખાઈ છે જ્યારે બીજી બાજુ સમથળ-સપાટ હરિયાળી જમીન! કઈ બાજુ ઝુકાવ રાખવો એનો નિર્ણય પૂર્ણપણે આપણા હાથોમાં છે. જરૂર છે તો બસ થોડી સમજદારીની..!!

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.