Abtak Media Google News

જામનગરમાં ‘તૌકતે’ વાવાઝોડાની જિલ્લામાં થનારી સંભવિત અસરોને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક મોરચે તૈયારીઓ આરંભાઈ છે. જિલ્લામાં સંભવિત વાવાઝોડાની આગાહી સંદર્ભે માહિતી આપતા જિલ્લા કલેક્ટર રવિશંકરે જણાવ્યું હતું કે, આ વાવાઝોડું આગાહી અનુસાર તા.16થી ગુજરાતમાં પ્રવેશશે તથા તા.17અને તા.18 વચ્ચે જામનગર જિલ્લામાં પ્રવેશ કરશે ત્યારબાદ જામનગર થી કચ્છ તરફ ફંટાઈ જશે.જિલ્લા કલેકટર રવિશંકરે વાવાઝોડા દરમિયાન જિલ્લામાં જાનમાલની કોઈ નુકસાની ન થાય તેમજ લોકો સુરક્ષિત રહે તે માટે લોકોને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, લોકો તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા જે કંઈપણ સુચનાઓ આપવામાં આવે તેનું પાલન કરે, સાગરખેડુ મિત્રો હાલ દરિયામાં ન જાય તેમજ જે સાગરખેડુ ભાઈઓ દરિયામાં ગયા છે તેઓ સત્વરે પરત ફરે. વાવાઝોડા દરમિયાન વાયુનો તીવ્રથી અતિતીવ્ર વેગ રહેશે તેમજ સાથે-સાથે વરસાદ થવાની પણ શક્યતા રહેલી છે આથી ખેડુતો તથા જિલ્લાની તમામ એ.પી.એમ.સી. ખુલ્લામાં રહેલ પાક જણસ સુરક્ષિત સ્થળે રાખવાની વ્યવસ્થા કરે. સ્થાળંતરની શક્યતાઓ છે તેવા નીચાણવાળા વિસ્તારોના 22 ગામો તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. જેમાં વહીવટીતંત્ર તથા પોલીસની ટીમો તેમને જરૂર જણાયે સુરક્ષિત સ્થળે ખસેડશે. આ કાર્યવાહી દરમિયાન લોકો તંત્રને પોતાનો યોગ્ય સહયોગ આપે તે ઈચ્છનીય છે.

મીઠાના અગરમાં કામ કરતા લોકો સુરક્ષિત સ્થળે ખસી જાય, જે લોકોની આસપાસમા જર્જરિત મકાન અથવા હોર્ડિંગ હોય તો તે દૂર કરવા સ્થાનિક પ્રશાસનને જાણ કરે, લોકો મીણબત્તી, બાકસ, ટોર્ચ તથા જીવનનિર્વાહની પ્રાથમિક ચીજો તૈયાર રાખે, જે ઘરમાં નાના બાળકો, સગર્ભા બહેનો તથા વૃદ્ધો છે તેઓ સુરક્ષિત સ્થળે રહી ડોક્ટરના સંપર્કમાં રહે. લોકોને જાનમાલનું નુકસાન અટકાવવા તા.17થી વાવાઝોડાની અસર ઓછી ન થાય ત્યાં સુધી ઘરમાં જ રહેવા જિલ્લા કલેકટર એ અનુરોધ કર્યો હતો તેમજ મીડિયા મારફતે પ્રસારિત થતાં સમાચારો પર નજર રાખવા જણાવ્યું હતું. જામનગર મ્યુનિસિપલ કમિશનર સતિષ પટેલે જિલ્લા વહીવટીતંત્ર તથા જામનગર મહાનગરપાલિકા દ્વારા વાવાઝોડાની અસરને પહોચી વળવા કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવેલ છે તે અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા 24 કલાક કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવેલ છે, બચાવ અને રાહતની સાધનસામગ્રી સાથે વોર્ડવાઇઝ તાંત્રિક ટીમોનુ ગઠન કરવામાં આવેલ છે.  ફાયર ટીમોને એલર્ટ કરવામાં આવેલ છે. ભયજનક મકાનો ધરાવતા લોકોને સલામત સ્થળે ખસી જવા વ્યક્તિગત નોટિસ આપવામાં આવી છે. વરસાદ દરમિયાન વધુ પાણી ભરાવાની શક્યતા છે તેવા વિસ્તારના લોકો માટે શાળાઓ તથા આશ્રય સ્થાનોની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

દરેક તાલુકામાં કલાસ-1 અધિકારીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક

જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર તંત્ર દ્વારા દરેક તાલુકા કક્ષાએ કલાસ-1 અધિકારીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમજ જિલ્લા તથા તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરી તેમાં મહેસુલ તથા પંચાયતના કર્મીઓની ફાળવણી કરવામાં આવી છે. દરિયાથી 5 કી.મી. તથા 10 કી. મી.ની હદમાં આવેલ અનુક્રમે 22 તથા 39 ગ્રામ્ય વિસ્તારોમાં આશ્રયસ્થાનો નકી કરવામાં આવ્યા છે તેમજ સ્થાનિક પંચાયત તથા મહેસૂલના અધિકારીઓને જરૂર પડ્યે તેનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે.દરિયા કિનારાથી 3 કી. મી.ની અંદર આવેલ સી.સી.સી. સેન્ટરોને સલામત સ્થળે ખસેડવા જિલ્લા વિકાસ અધિકારી તથા આરોગ્ય અધિકારીને સૂચના અપાઈ છે. હાલ દરિયામાં રહેલી 222 જેટલી બોટ પૈકી 37 બોટ પરત આવી ગયેલ છે તેમજ અન્ય બોટોને પરત લાવવા તંત્ર દ્વારા મત્સ્યોદ્યોગ સંગઠનો મારફત સૂચના અપાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.