Abtak Media Google News

‘મારા મામાને શું ચડામણી કરે છે, તેણે મારો મોબાઇલ લઇ લીધો’ કહી કોયતાના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું

શાપરની સર્વોદય સોસાયટીમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીના કારણે આદિવાસી શ્રમજીવી યુવાનને મુસ્લિમ શખ્સે કોયતાના ઘા ઝીંકી કરપીણ હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા મુસ્લિમ શખ્સની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મહિસાગર જિલ્લાનાં સંતરામપુરનો વતની અને હાલ શાપરની સર્વોદય સોસાયટીમાં રહેતા વસંતભાઇ દિનેશભાઇ તલાસણ નામના ૧૮ વર્ષના આદિવાસી યુવાન ઘોર નિંદ્રામાં હતો ત્યારે તેનો મિત્ર સમીર સમા નામના શખ્સે ધારદાર કોયતા સાથે ઘસી આવ્યો હતો અને આડેધડ ઘા ઝીંકી દેતા ગંભીર રીતે ઘવાયેલા વસંતભાઇ તલસાણાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. શાપર પોલીસ મથકના પી.એસ.આઇ. કુલદીપસિંહ ગોહિલની તપાસ દરમિયાન મૃતક વસંતભાઇ તલસાણાએ સમીરના મામા સાથે કરેલી વાતચીતના કારણે સમીરના મામા ઈમ્તીયાઝભાઈ કાસમભાઈ સમાએ ભાણેજ સમીર પાસેથી તેનો મોબાઇલ લઇ લીધો હોવાથી તે ઉશ્કેરાયો હતો અને કોયતાના ઘા ઝીંકી હત્યા કર્યાનું બહાર આવ્યું છે. પોલીસે સમીર સમા સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વસંત તલસાણીયા તેના માતા-પિતા સાથે શાપર ખાતે રહી ઈમ્તીયાઝભાઈ કાસમભાઈ સમાના કારખાનામાં મજુરી કામ કરે છે અને માતા-પિતા કારખાનેદાર ઈમ્તીયાઝભાઈનાં ઘરે ગયા હતા ત્યારે  વસંત પોતાના ઘરે નિંદ્રામાં હતો ત્યારે સમીર સમાએ મોતને ઘાટ ઉતાર્યાનું અને ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. મૃતકને બે બહેન અને એક ભાઈમાં મોટો હોવાનું બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.