Abtak Media Google News

નાવીન્યસભર શીખવાના અભિગમ દ્વારા વિદ્યાર્થીઓના સશક્તિકરણના ખ્યાલને ફળીભૂત કરવા

બાળકોની કાર્ય કુશળતા ક્ષમતા-જિજ્ઞાસાવૃત્તિની શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્તી માટે નવી પધ્ધતિ બનશે આશિર્વાદરૂપ

રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂશન્સ દ્વારા જીનિયસ સ્કૂલ ખાતે તાજેતરમાં પ્રિ-પ્રાયમરી વિભાગમાં ભુલકાઓ માટે મોન્ટેસરી બેઇઝડ કલાસરૂમ શરૂ કરવામાં આવ્યા છે. આ એક અનોખી શિક્ષણ પદ્ધતિ છે જે વિશ્ર્વના ઘણા દેશોમાં પ્રચલિત છે, જેમાં પૂર્વ પ્રાથમિકના બાળકોમાં સ્પર્શ અને અનુભવની વિભાવના એટલે કે સંવેદનાત્મક કુશળતા વિકસાવવામાં મદદ કરે છે.

જીનિયસ સ્કૂલ ખાતે શરૂ કરવામાં આવેલા મોન્ટેસરી ક્લાસરુમ પાછળના હેતુ વિશે વધુ માહિતી આપતા જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી.મહેતા જણાવે છે કે 20 મી સદીની શરૂઆતમાં ડો. મારિયા મોન્ટેસરી દ્વારા વિકસાવવામાં આવેલ મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ એ વિચાર પર આધારિત છે. જેનાથી બાળકોની કુશળતા અને જ્ઞાન મેળવવાની કુદરતી ઇચ્છાને ટેકો મળે છે અને તેની મદદથી તેઓ જે કઈ શીખે છે તે શ્રેષ્ઠ શીખે છે. શિક્ષકની ભૂમિકા એક નિરીક્ષકની છે, જે બાળકમાં છુપાયેલા ગુણોને પારખીને તેને યોગ્ય દિશા બતાવે છે.

જીનિયસ સ્કૂલ ખાતે મોન્ટેસરી ક્લાસરૂમમાં ભુલકાઓ માટે પ્રશિક્ષિત શિક્ષકો દ્વારા વિવિધ ઉપકરણો અને રમતો જેવી કે સેન્સરી વોલ, સાઉન્ડ સિલિન્ડર, કલર બાર, મ્યુઝિકલ વોલ, બિઝી વોલ, ગિયર વોલ, પ્રી-મેથ કોન્સેપ્ટ વગેરે જેવી રમતો શામેલ કરવામાં આવી છે. જેના દ્વારા વિધાર્થીઓમાં સંવેદનાત્મક, જીવન કૌશલ્ય, ફાઇન મોટર અને ગ્રોસ મોટર સ્કીલ અને વ્યાવહારિક જીવન કૌશલ્યો જેમાં દૈનિક નિયમિત કાર્ય શામેલ હોય તે અને આ ઉપરાંત સલામતી કોડ, અબેસકસ વગેરે જેવા વિવિધ કૌશલ્યોના વિકાસ ઉપર ધ્યાન આપવામાં આવે છે. જીનિયસ સ્કૂલ દ્વારા પ્રારંભ કરવામાં આવેલ મોન્ટેસરી ક્લાસરૂમ થકી બાળકોની અલગ-અલગ વય મુજબ વર્ગખંડો ડિઝાઈન કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત નાની વયના બાળકો તેનાથી મોટી વયના બાળકો પાસેથી કઈક નવું શીખી શકે તે પ્રકારે વ્યવસ્થા કરવમાં આવી છે જેના થકી તેઓમાં સમુદાય, સહકાર અને સામાજીક ભાવનાને પ્રોત્સાહન મળે છે. પ્રોજેક્ટ આધારીત કાર્ય થકી તેઓમાં ઉંડી સમજણનો વિકાસ થશે અને સમસ્યાનો ઉકેલ મેળવવાની કુશળતા પ્રાપ્ત થશે. આમ, આ શિક્ષણ પધ્ધતીના માધ્યમથી બાળકોની વ્યક્તિગત અભિરૂચી જાણી શકાશે, તેનામાં એકાગ્રતા, સમસ્યા હલ કરવાની કુશળતા અને સ્વ-શિસ્તના ગુણોનો વિકાસ થશે.

આ નવી શિક્ષણ પ્રણાલીના અમલ માટે સંસ્થાના ચેરમેન ડી. વી. મહેતાની પ્રેરણાથી અને સીઇઓ ડિમ્પલબેન મહેતા તથા જીનિયસ સ્કૂલના પ્રિ-પ્રાઇમરી વિભાગના એકેડમિક હેડ ભુમિ ગઢવીના માર્ગદર્શન માં શિક્ષકોની ટીમ દ્વારા હેમત ઉઠાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.