Abtak Media Google News

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પહિંદવિધિથી રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે: મેમનગર ગુરૂકુલથી અષાઢસુદ-2 બપોરે બે કલાકે રથયાત્રા થશે પ્રારંભ’

શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની નીચે સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર ખાતે છેલ્લા 15 વર્ષથી પશ્ચિમ વિસ્તારમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તેજ રીતે આ વરસે ગુરુકુલ અને પશ્ચિમ વિસ્તારની સહયોગી સંસ્થાઓના સહકાર સાથે મેમનગર ગુરુકુલથી રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુરુકુલના પ્રાંગણમાં ભગવાનના રથ તૈયાર કરવાની તડામાર તૈયારી ચાલી રહી છે. ગુરુકુળ પરિવારના સ્વયંસેવકો ઉપરાંત ઋષિકુમારો પણ તૈયારીમાં લાગી ગયા છે. ગોવિંદભાઇ બારસિયા અને લાલજીભાઈ પટેલ વગેરે સંચાલકો રથમાં ઓટોમેટિક સિસ્ટમ, પેઇન્ટિંગ, વગેરે વ્યવસ્થા સાંભળી રહ્યા છે.

ગુરુકુલના આદ્ય સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની 121 મી જન્મતીથિ હોવાથી રથયાત્રાના દિવસે સવારે 7 થી 9 દરમ્યાન મેમનગર ગુરુકુલમાં અખંડ ધૂન રાખવામાં આવેલ છે.બપોરે 12 કલાકે 108 બહેનો દ્વારા જગન્નાથ ભગવાન, સુભદ્રાજી અને બલરામ ભૈયાનું પંચોપચાર પૂજન કરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પહિંદ વિધિ કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે.

1 જુલાઇ શુક્રવારે બપોરે 2 કલાકે મેમનગર ગુરુકુલથી રથયાત્રા નીકળી પશ્રિમ વિસ્તારમાં દર્શન દેવા પધારશે. સતત 9 કિલોમીટરની યાત્રા બાદ ગુરુકુલમાં 7-30કલાકે સભાના રુપમાં ફેરવાશે.

સંપૂર્ણ પોલિસ બંદોબસ્ત સાથે આ રથયાત્રામાં એસજીવીપી ગુરુકુલના 1200 વિદ્યાર્થીઓ, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના સંતો સહિત 200 ઋષિકુમારો, મેમનગર ગુરુકુલના 400 વિદ્યાર્થીઓ તેમજ બાપુનગર યુવક મંડળ તેમજ મેમનગર, ગોતા થી બોપલ વિસ્તારના 2000 ઉપરાંત ગુરુકુલ પરિવારના યુવાનો તથા કળશધારી બહેનો જોડાશે.

સામાન્ય રીતે આવી વિશાલ નગરયાત્રા દરમ્યાન પ્લાસ્ટીકની થેલીઓ, પાઉચો, નાસ્તાના કાગળિયા, પ્રસાદના ખાલી પેકેટો વગેરે કચરો ઢગલાબંધ ઉભરાતો હોય છે. રથયાત્રા  પાછળ પડેલ તમામ કચરો ગુરુકુલના સંતો સાથે સ્વયં સેવકો એકઠો કરી, યોગ્ય નિકાલ કરશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.