Abtak Media Google News

બા વિહોણા જીવનની હું કલ્પના જ ન કરી શકુ: ગાંધીજી

કસ્તુરબાની પુણ્યતિથિ નિમિત્તે નવસારીમાં માતૃવંદના સ્વરાંજલી કાર્યક્રમ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય, દેશપ્રેમ અને ગાંધી ગીતોની રમઝટ બોલાવાશે

મહાત્મા ગાંધીનાં સહધર્મચારિણી, પ્રથમ મહિલા સત્યાગ્રહી અને કર્મયોગી પૂ. કસ્તૂરબાની પુણ્યતિથિ નિમિત્તે શુક્રવારે સાંજે ૪ કલાકે  નવસારી જિલ્લાના મરોલી સ્થિત ઐતિહાસિક કસ્તૂરબા સેવાશ્રમ ખાતે ‘માતૃવંદના સ્વરાંજલિ કાર્યક્રમ યોજાશે. શરૂઆતમાં કસ્તૂરબા વણાટશાળા તરીકે ઓળખાતી આ સંસ્થાનું ખાત-મુહૂર્ત ૧૯૩૦માં મહાત્મા ગાંધી હસ્તે થયું હતું. શિક્ષણ, આરોગ્ય અને રોજગારલક્ષી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં કાર્યરત આ સંસ્થાના સ્થાપક પ્રમુખ-ટ્રસ્ટી ભારતના લોહ પુરુષ સરદાર વલ્લ્ભભાઈ પટેલ હતા. આથી ૧૫૦મી વર્ષ અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, કસ્તૂરબા સેવાશ્રમ તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આયોજિત આ પ્રેરક કાર્યક્રમનું સવિશેષ મહત્વ છે.

મહાત્મા ગાંધી, કસ્તૂરબા, સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ મીઠુબેન પીટીટ (માઈજી), કલ્યાણજીભાઈ મહેતા અને મંગળદાસ પકવાસાને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય, દેશપ્રેમ અને ગાંધી ગીતો થકી સ્વરાંજલિ અર્પણ થશે. જમ્મુ-કાશ્મીરનાં પુલનામામાં થયેલ હુમલામાં માતૃભૂમિની રક્ષા કાજે પ્રાણની આહૂતિ આપનાર સીઆરપીએફના વીર શહીદ જવાનોને ખાસ ભાવાંજલિ અર્પણ થશે.

ગુજરાતના જાણીતા લોકગાયક અભેસિંહ રાઠોડ સાથે રાધાબેન વ્યાસ, માલાબેન ભટ્ટ અને પંકજ ભટ્ટ (સંગીતકાર) રમઝટ બોલાવશે. કસુંબીનો રંગ, રક્ત ટપકતી સો સો ઝોળી, હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, ઝંડા અજર અમર રેજે, તારા નામમાં ઓ સ્વતંત્રતા, છેલ્લો કટોરો ઝેરનો, શિવાજીનું હાલરડું, સૂના સમદરની પાળે, ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, ચારણ-ક્ન્યા જેવાં આજે પણ લોકહૈયે ગુંજતા અમર ગીતો રજૂ થશે.

કસ્તૂરબાનું મહાપ્રયાણ 

૨૨ ફેબ્રુઆરી ૧૯૪૪ : પૂનાની આગાખાન મહેલ જેલ. સવારે ગાંધીજીએ કસ્તૂરબાને પૂછ્યું : હું ફરવા જાઉં ? ત્યારે હમેંશા હા કહેનારા કસ્તૂરબાએ ના પાડી. ગાંધીજી એમની પાસે ખાટલા પર બેઠા. કસ્તૂરબા ગાંધીજીની છાતી પર પોતાનું માથું ઢાળીને આંખો બંધ કરીને શાંત-ચિત્તે પડ્યાં રહ્યાં. બન્નેનાં ચહેરા પર અપૂર્વ શાંતિ અને સંતોષ નજરે પડતાં હતાં. એ દિવ્ય દ્રશ્ય જોઈને બીજાં બધાં ત્યાંથી થોડા દૂર હઠી ગયા. જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ કસ્તૂરબાની છેલ્લી ઘડીઓ ગણાવવા લાગી. કસ્તૂરબાનું માથું હજી ગાંધીજીના ખોળામાં જ હતું. કસ્તૂરબાની સાથે ગાંધીજીની એ આખરી પળો અત્યંત પવિત્ર હતી. મોડી સાંજે સાત અને પાંત્રીસ વાગે ગાંધીજીના ખોળામાં કસ્તૂરબાએ અંતિમ શ્વાસ લીધાં. ત્યાં ઊભેલા એમના પુત્ર દેવદાસભાઈ ગાંધી પોકેપોકે રડવા લાગ્યા. ગાંધીજીની આંખમાંથી મોતી જેવાં આંસુ સરી પડ્યાં.

કસ્તૂરબાનાં મૃતદેહને નવડાવીને, ગાંધીજીએ હાથે કાંતેલાં સૂતરની બનેલી સાડીમાં લપેટ્યાં. સૂતરની બનેલી ચૂડીઓ અને તુલસીની માળા પણ પહેરાવી. માથા પર ચંદન અને કંકુનો લેપ કર્યો. કસ્તૂરબાનાં મુખ પર મંદ સ્મિત અને પરમ શાંતિ છવાયેલી હતી.

૨૩મીએ મહાદેવભાઈ દેસાઈની સમાધી પાસે જ કસ્તૂરબાનાં શરીરને ચિતા પર ગોઠવ્યા પછી ગાંધીજીએ સર્વધર્મની પ્રાર્થના કરાવી. દેવદાસભાઈએ અગ્નિદાહ આપ્યો. સાંજે ચાર વાગ્યા સુધી ગાંધીજી ચિતા પાસે જ બેસી રહ્યા. કહે : બાસઠ વર્ષનાં સાથીને આ ઘડીએ આવી રીતે છોડી શકું ખરો ? બા પણ એ માટે મને માફ ન કરે. રાત્રે ખાટલામાં સૂતા સૂતા ગાંધીજી કહેવા લાગ્યા : બા વિહોણા જીવનની હું કલ્પના જ નથી કરી શક્તો. હું ઈચ્છતો હતો ખરો કે બા મારા હાથમાં જ ચાલી જાય, જેથી મને ચિંતા ન રહે કે મારા પછી એનું શું થશે. પરંતુ એ મારા જીવનનું અવિભાજ્ય અંગ હતી. એના જવાથી મારા જીવનમાં જે ખાલીપણું પેદા થયું છે, તે કદી ભરાઈ શકવાનું નથી.

અગ્નિસંસ્કાર પછી ભસ્મ એકઠી કરવા ગયા, ત્યારે ચિતા સાથે બળવા છતાં અખંદિત રહેલી કસ્તૂરબાની પાંચ બંગડી મળી આવેલી. ગાંધીજી અને કસ્તૂરબાનો પ્રેમ સાચ્ચે જ અલૌકિક, અનન્ય અને અદભુત હતો.

મહાત્મા ગાંધીએ કસ્તૂરબા વિશે લાગણીસભર નોંધ્યું છે : ‘તેણે મારામાં લીન બનવાનું પસંદ કર્યું. પરિણામે તે મારું શુભતર અર્ધાંગ બની. તે બહુ જ આગ્રહી સ્વભાવની હતી. પણ આ સત્યાગ્રહી સ્વભાવે તેને તદ્દન અજાણતાં અહિંસક અસહકારની કળા અને અમલમાં મારી ગુરુ બનાવી. તેનામાં એક બહુ મોટો ગુણ હતો : ગમે કે ન ગમે અથવા જાણ્યે-અજાણ્યે પણ મારે પગલે ચાલવામાં એ ધન્યતા અનુભવતી. મારે જન્મોજન્મ સાથીની પસંદગી કરવી હોય તો હું કસ્તૂરબાને જ પસંદ કરું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.