Abtak Media Google News
  • નવા શૈક્ષણિક વર્ષ એટલે કે જૂન-2024થી ગુજરાત સહિત સમગ્ર દેશમાં 6 વર્ષ પૂર્ણ કરનારને જ પ્રવેશ આપવાના નિયમનો કડકાઈથી અમલ કરવામાં આવશે

ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને પત્ર લખી નવા શૈક્ષણિક વર્ષથી ધો.1માં પ્રવેશની વયમર્યાદા 6 વર્ષ કે તેના કરતા વધુ હોય તે સુનિશ્ચિત કરવા માટે આદેશ કર્યો છે. નેશનલ એજ્યુકેશન પોલીસી અને રાઈટ ટુ ચિલ્ડ્રન એક્ટની જોગવાઈ અનુસાર 6 વર્ષ કે તેના કરતા વધુ ઉંમર ધરાવતા વિદ્યાર્થીઓને જ ધો.1માં પ્રવેશ આપવાનું નક્કી કરાયું હોવાથી તેનો અમલ કરવા માટે તાકીદ કરવામાં આવી છે.

Advertisement

ગુજરાતમાં જૂન-2023થી શરૂ થતાં શૈક્ષણિક વર્ષથી આ નિયમનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો હતો અને 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને જ ધો.1માં પ્રવેશ ફાળવ્યો હતો. જોકે, નવા શૈક્ષણિક વર્ષ એટલે કે જૂન-2024થી ગુજરાત સહિત સમગ્ર દેશમાં 6 વર્ષ પૂર્ણ કરનારને જ પ્રવેશ આપવાના નિયમનો કડકાઈથી અમલ કરવામાં આવશે. સમગ્ર દેશમાં ધો.1માં પ્રવેશ માટેની વયમર્યાદા જુદાજુદા રાજ્યોમાં અલગ અલગ હતી. અગાઉ ગુજરાતમાં પણ 5 વર્ષ પૂર્ણ કરનારા બાળકોને ધો.1માં પ્રવેશ ફાળવવામાં આવતો હતો. આમ, સમગ્ર દેશમાં ધો.1ના પ્રવેશને લઈને એકસુત્રતા જળવાતી ન હતી. જેને લઈને ત્રણેક વર્ષ પહેલા ધો.1માં 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા વિદ્યાર્થીઓને જ 2023ના સત્રથી પ્રવેશ ફાળવવા માટે નક્કી કરાયું હતું.

નવી એજ્યુકેશન પોલીસીમાં પણ ધો.1માં પ્રવેશ માટેની વયમર્યાદા 6+ નક્કી કરવામાં આવેલી છે અને રાઈટ ટુ એજ્યુકેશન એક્ટની જોગવાઈમાં પણ 6થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આમ, જોગવાઈઓ અનુસાર ધો.1માં 6 વર્ષ પૂર્ણ કરનારને જ પ્રવેશ ફાળવવાનું નક્કી કરાયા બાદ સમગ્ર દેશમાં એકસુત્રતા માટે આ નિયમનો અમલ કરવા તાકીદ કરાઈ હતી. ગુજરાતમાં ત્રણેક વર્ષ પહેલા ધો.1માં પ્રવેશ માટે 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેમને જ પ્રવેશ ફાળવવાનું નક્કી કરતો પરિપત્ર કરાયો હતો અને તેઓ અમલ જૂન-2023થી કરવાનું નક્કી કરાયું હતું.

આમ, જૂન-2023ના સત્રથી રાજ્યમાં 6 વર્ષ પૂર્ણ કરનારા બાળકોને જ ધો.1માં પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. આ નિર્ણયથી 5 વર્ષ પૂર્ણ કર્યા હોય અને 6 વર્ષ પૂર્ણ ન થયા હોય તેવા અનેક બાળકો રખડી પડે તેમ હોવાથી સરકારે તેમના માટે બાલવાટિકા શરૂ કરવાનું નક્કી કર્યું હતું. આમ, રાજ્યમાં જૂન-2023થી જ 6 વર્ષ પૂર્ણ કરનારને પ્રવેશ ફાળવવાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જોકે, દેશના તમામ રાજ્યોમાં એકસુત્રતા માટે ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને પત્ર લખ્યો છે. જેમાં ધો.1માં પ્રવેશ માટેની વયમર્યાદા 6 વર્ષ પૂર્ણ કરવામાં આવી હોવાનું જણાવી આગામી દિવસોમાં નવા શૈક્ષણિક વર્ષ માટેની પ્રવેશ કાર્યવાહી શરૂ થવાની છે ત્યારે તમામ રાજ્યમાં 6+ ધરાવતા બાળકોને જ ધો.1માં પ્રવેશ ફાળવવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે આદેશ કરાયો છે. આમ, નવા સત્ર બાદ દેશની તમામ શાળાઓમાં ધો.1માં પ્રવેશ મેળવનારા બાળકો 6 વર્ષ કરતા મોટા હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.