Abtak Media Google News
ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન, પોલેન્ડના પ્રમુખ એન્ડ્રેજ ડુડા અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ મિશેલ સાથે મોદીએ કર્યો ટેલિફોનિક સંવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન પર રશિયાના હુમલાને કારણે ઊભી થયેલી કટોકટી અંગે યુરોપના અનેક નેતાઓ સાથે ચર્ચા કરી હતી અને આ દરમિયાન તેમણે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ અને તેની બગડતી માનવતાવાદી સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી.  વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, મોદીએ આ નેતાઓ સાથે ફોન પર વાતચીત દરમિયાન યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા અને વાટાઘાટો અને રાજદ્વારી તરફ પાછા ફરવાની ભારતની અપીલને પુનરોચ્ચાર કર્યો હતો.  રશિયાના દળોએ યુક્રેન પર હુમલામાં વધારો કર્યા બાદ મોદીએ ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન, પોલેન્ડના પ્રમુખ એન્ડ્રેજ ડુડા અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાલ્ર્સ મિશેલ સાથે વાતચીત કરી હતી. મેક્રોન સાથેની ચર્ચા દરમિયાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત માને છે કે આંતરરાષ્ટ્રીય કાયદા, સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને તમામ દેશોની પ્રાદેશિક એકતા અને અખંડિતતાનું સન્માન સમકાલીન વિશ્વ વ્યવસ્થાને મજબૂત બનાવે છે.  વડા પ્રધાને રશિયા અને યુક્રેન વચ્ચેની વાટાઘાટોનું સ્વાગત કર્યું હતું અને મુક્ત અને અવરોધ વિના માનવતાવાદી પ્રવેશ સુનિશ્ચિત કરવા તેમજ લોકોની અવરજવરને સરળ બનાવવા પર ભાર મૂક્યો હતો. વાતચીત દરમિયાન, વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ મેક્રોનને યુદ્ધ પ્રભાવિત વિસ્તારમાંથી તેના નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા અને ત્યાં અસરગ્રસ્ત લોકો માટે દવાઓ સાથે જરૂરી રાહત સામગ્રી મોકલવાના ભારતના પ્રયાસો વિશે પણ

માહિતગાર કર્યા હતા.  પીએમઓના જણાવ્યા અનુસાર, વડા પ્રધાન મોદીએ પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેજ ડુડા સાથે પણ વાત કરી હતી અને યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરવા બદલ તેમનો આભાર માન્યો હતો.

ડુડા સાથેની ચર્ચા દરમિયાન વડા પ્રધાને યુક્રેનથી પોલેન્ડની સરહદમાં પ્રવેશવા માટે વિઝાની જરૂરિયાત હળવી કરવા બદલ તેમનો આભાર પણ માન્યો હતો.  પીએમઓ અનુસાર, વડા પ્રધાને ખાસ કરીને પોલેન્ડના નાગરિકોની આ મુશ્કેલ સમયમાં ભારતીય નાગરિકોને શક્ય તમામ મદદ પૂરી પાડવા બદલ પ્રશંસા કરી.

બંને દેશો વચ્ચેના પરંપરાગત મૈત્રીપૂર્ણ સંબંધોનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું હતું કે તેઓ હજુ પણ યાદ કરે છે કે 2001ના ગુજરાત ભૂકંપ દરમિયાન પોલેન્ડે કેવી રીતે મદદ કરી હતી.  પીએમઓના જણાવ્યા અનુસાર, આ દરમિયાન તેમણે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પોલેન્ડના ઘણા પરિવારો અને અનાથ બાળકોને બચાવવામાં જામનગરના મહારાજાની ભૂમિકાને પણ યાદ કરી.

મોદીએ ડુડાને જણાવ્યું હતું કે યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં ન આવે ત્યાં સુધી કેન્દ્રીય મંત્રી વીકે સિંહ પોલેન્ડમાં ઓપરેશનની દેખરેખ રાખશે.  વડા પ્રધાને યુદ્ધનો અંત લાવવા અને વાટાઘાટોમાં પાછા ફરવાની ભારતની અપીલનો પુનરોચ્ચાર કર્યો હતો, એમ પીએમઓએ જણાવ્યું હતું.  તેમણે દેશોની પ્રાદેશિક એકતા અને અખંડિતતાના આદર પર પણ ભાર મૂક્યો હતો.

યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ સાથેની વાતચીતમાં મોદીએ યુદ્ધનો અંત લાવવા અને મંત્રણામાં પાછા ફરવા પર ભાર મૂક્યો હતું “વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે સમકાલીન વિશ્વ વ્યવસ્થામાં આંતરરાષ્ટ્રીય કાયદો, યુએન ચાર્ટર અને તમામ દેશોની પ્રાદેશિક એકતા અને અખંડિતતાને મજબૂત કરવાની સિસ્ટમનો સમાવેશ થાય છે.”  તેઓએ રશિયા અને યુક્રેન વચ્ચેના સંવાદનું સ્વાગત કર્યું અને મુક્ત અને અવરોધ વિનાની માનવતાવાદી પહોંચની ખાતરી કરવા તેમજ લોકોની અવરજવરને સરળ બનાવવા પર ભાર મૂક્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.