Abtak Media Google News

ગોઇંદવાલ સાહેબ જેલમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ : ગેંગસ્ટર કેશવ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ

પંજાબના તરનતારન સ્થિત ગોઇંદવાલ સાહેબ જેલમાં ગેંગવૉર દરમિયાન ૨નાં મોત નીપજ્યા હતા. આ જેલમાં ૨ ગેંગના બદમાશો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી કે જેમાં મનદીપ સિંહ તૂફાન અને મનમોહન સિંહનું મોત નીપજ્યું હતું, તેઓની હત્યા કરવામાં આવી છે. બઠિંડાનો રહેવાસી ત્રીજો ગેંગસ્ટર કેશવ ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને અમૃતસરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં રાઈના રહેવાસી દુરાન મનદીપ સિંહ તૂફાનની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ગેંગસ્ટર મણિ રઈયા સાથે મનદીપ તૂફાનની ધરપકડ કરી હતી. આ તૂફાનની તરનતારનમાં વેરોવાલ પોલીસ સ્ટેશનના એક ગામથી ધરપકડ કરવામાં આવી હતી. ગેંગસ્ટર મનદીપ તૂફાન, જગ્ગુ ભગવાનપુરિયા ગેંગનો શાર્પ શૂટર હતો. જગ્ગુ ભગવાનપુરિયાની પૂછપરછ કર્યા પછી તેનું નામ મૂસેવાલા હત્યાના કેસમાં બહાર આવ્યું હતું. ડીએસપી જસપાલસિંહ ઢિલ્લોંએ કહ્યું કે બઠિંડાનો રહેવાસી કેશવ અને બાદલાદાનો રહેવાસી મનમોહન સિંહ મોહનાને સિવિલ હોસ્પિટલ તરનતારનમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ગેંગસ્ટર મનમોહનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ગત વર્ષે ૨૦૨૨માં મે મહિનામાં જાણીતા પંજાબી સિંગર અને રેપર સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. સિદ્ધુ મૂસેવાલા અને તેમના ૨ સાથીઓ પર ઘણાં રાઉન્ડ ફાયરિંગ થયું હતું. ત્રણેયને હોસ્પિટલમાં એડમિટ કરાવાયા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. મૂસેવાલાને ગેંગસ્ટરો તરફથી ધમકીઓ મળી હતી. તેમ છતાં પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે કાયદો-વ્યવસ્થાની વાત કરી એક દિવસ પહેલા મૂસેવાલા સહિત ૪૨૪ વીઆઈપીની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી.

મૂસેવાલાએ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર આમ આદમી પાર્ટીના વિજય સિંગલા સામે ચૂંટણી પણ લડી હતી. વિજય સિંગલાએ મૂસેવાલાને મનસા સીટ પરથી ૬૩,૩૨૩ વોટથી હરાવ્યા હતા. મૂસેવાલાની વિવાદાસ્પદ પંજાબી ગાયકોમાં ગણતરી થાય છે, જે ખુલ્લેઆમ ગન કલ્ચરને પ્રોત્સાહન આપતા હતા. તેઓ ઉશ્કેરણીજનક ગીતોમાં ગેંગસ્ટરોના વખાણ કરતા હતા. ૨૦૨૦ માં બરનાલા ગામમાં ફાયરિંગ કરતો એક વિડીયો ક્લિપ વાયરલ થયા બાદ સિદ્ધુ મૂસેવાલા સામે આર્મ્સ એક્ટ અંતર્ગત કેસ નોંધાયો હતો. જોકે, બાદમાં કોર્ટે તેમને જામીન આપી દેવાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.