Abtak Media Google News

વોટર પાર્ક અને સ્વિમિંગ પુલ ૬૦ ટકા ક્ષમતા સાથે મંગળવારથી ખોલી શકાશે:પ્રાયવેટ અને પબ્લીક ટ્રાન્સપોર્ટમાં નોન એ.સી માં ૧૦૦ ટકા પેસેન્જર અને એ.સી.માં ૭પ ટકા પેસેન્જર કેપેસિટીમાં દોડાવી શકાશે

રાજ્યમાં કોરનાના કેસ સતત ઘટી રહ્યા છે.છતાં તકેદારીના ભાગરૂપે રાજકોટ સહિત રાજ્યની આઠ મહાપાલિકમાં રાત્રી કરફ્યુની આગામી ૨૦મીએ પૂર્ણ થતી હતી તે ૩૧મી સુધી લંબાવવામાં આવી છે.જો કે અન્ય કેટલીક છુટકાટો આપવામાં આવી છે.

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં  મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.રાજકોટ સહિત રાજ્યની ૮ મહાનગરોમાં રાત્રિ કરફયુની સમયમર્યાદા ૩૧ જુલાઇ સુધી લંબાવવામાં આવી છે.

ર૦મીથી પ્રાયવેટ અને પબ્લીક ટ્રાન્સપોર્ટમાં નોન એ.સી માં ૧૦૦ ટકા પેસેન્જર અને એ.સી.માં ૭પ ટકા પેસેન્જર કેપેસિટીમાં ચાલુ રહેશે.વોટર પાર્કસ માટે વીજ બિલમાં ફિકસ ચાર્જીસમાંથી મુક્તિ માત્ર ખરેખર થયેલ વીજ વપરાશનું બિલ આકારવામાં આવશે.

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોનાના દૈનિક કેસોની પ્રર્વતમાન સ્થિતીના થઇ રહેલા સતત ઘટાડાની સમીક્ષા કરીને વધુ કેટલાક નિયંત્રણો હળવા કરવાના નિર્ણયો લેવામાં આવ્યા છે.

નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં મળેલી આ કોર કમિટીમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યના જે ૮ મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જુનાગઢમાં હાલ રાત્રિ કરફયુ રાત્રે ૧૦ થી સવારે ૮ સુધી અમલમાં છે.આ રાત્રિ કરફયુની મુદત આગામી  મંગળવારે સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તેને હવે ૩૧ જુલાઇ  સુધી લંબાવવામાં આવી છે.

હવે રાજકોટ સહિત ૮ મહાનગરોમાં રાત્રિ કરફયુની સમયાવધિ હવે, તા.૧ ઓગસ્ટ સુધી સવારે ૬ કલાકે પૂરી થશે.કોર કમિટીમાં લેવાયેલા અન્ય નિર્ણયો મુજબ રાજ્યમાં વોટર પાર્કસ અને સ્વિમીંગ પૂલ તા.ર૦મીથી જુલાઇથી તેની ક્ષમતાના ૬૦ ટકા સાથે અને કોરોના ગાઇડલાઇનના નિયમોના પાલન સાથે નિયત એસ.ઓ.પી.ને આધિન શરૂ કરી શકાશે.

આવી સંસ્થાઓના માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓએ ૩૧મી જુલાઇ સુધીમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લેવાનો રહેશે અન્યથા આવા વોટર પાર્કસ કે પૂલ ચાલુ રાખી શકાશે નહિ.રાજ્યમાં પ્રાઈવેટ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓ માટે પણ ર૦ જુલાઇથી કેટલીક છૂટછાટો આપવાનો નિર્ણય કોર કમિટીમાં લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત પબ્લિક અને પ્રાયવેટ ટ્રાન્સપોર્ટમાં નોન એ.સી બસ સેવાઓ ૧૦૦ ટકા કેપેસિટી સાથે શરૂ કરી શકાશે પરંતુ આવી સેવાઓમાં મુસાફરોને ઊભા રહી પ્રવાસ કરવાની મંજૂરી અપાશે નહી. એ.સી સેવાઓ તેની ક્ષમતાના ૭પ ટકા પેસેન્જરો સાથે શરૂ કરી શકાશે.તમામ ડ્રાઇવર અને કંડકટરે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં હોટલ, રિસોર્ટસ-રેસ્ટોરન્સ અને વોટર પાર્કસને એક વર્ષ માટે વીજ બિલમાં ફિકસ ચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર થયેલ વીજ વપરાશનું બિલ આકારવા અગાઉ તા.૭મી જૂને નિર્ણય કરેલો છે.

આ મુજબ રાજ્યમાં વોટર પાર્કસ માટે પણ ખરેખર થયેલ વીજ વપરાશનું બિલ જ આકારવામાં આવશે પરંતુ ફિકસ ચાર્જ લેવાશે નહિ.મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ હાલ રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ નિયંત્રણના અન્ય નિયમો અને ગૃહ વિભાગ દ્વારા લાગુ કરાયેલા અન્ય નિયંત્રણો ૩૧મી જુલાઇ સુધી યથાવત રાખવાની પણ સૂચનાઓ આપી હતી.

કોર કમિટીની આ બેઠકમાં મુખ્ય સચિવ  અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કે. કેલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ  એમ. કે. દાસ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ  સહિત વરિષ્ઠ સચિવઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.