Abtak Media Google News

Table of Contents

આજના યુગમાં સાદગીપૂર્ણ જીવન જીવી શકાય?

આજના યુગમાં સાદગીભર્યું જીવન જીવી શકાય? આજે દોડધામવાળી જીંદગીમાં બધા પાસે સમય નથી, પોતાના માટે પણ નહીં: સાદગીનો જન્મ જ વિશ્વની ગુંચવણોમાંથી મુક્ત થવા અને જાતને સરળ બનાવવા માટે જ થયો છે: વિશ્વના સૌથી સુખી લોકોમાંના કેટલાકનો અસંસ્કૃત વિસ્તારોમાં રહે છે

આપણાં જીવનને મુશ્કેલ બનાવતી વસ્તુને કાઢી નાખવાથી આપણને ઘણા લાભો થતાં હોય છે: તમને જે વસ્તુથી આનંદ મળે તેજ જીવનને સાદગીભર્યું જીવન કહેવાય: ટીવી-મોબાઇલ-કોમ્પ્યૂટર જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોએ આપણી શાંતિ છીનવી લીધી છે: ઇશ્વરે આપેલા સુંદર દિવસોને આનંદથી માણો

21મી સદીની ઇન્ફરમેશન ટેકનોલોજીએ આપણી જીવનશૈલી બદલી નાંખી છે. સાદગી કે સરળતાએ બહુ વિશાળ શબ્દ છે, એને માનવીના ચારિત્ર્ય, રીતભાત, સ્વભાવ, શૈલી જેવા ઘણા સાથે સંબંધ છે. આજના યુગમાં દરેક માનવીને સંતોષ ન હોવાથી, દરરોજ નવી ઇચ્છાઓ તેને સતાવતી રહે છે. સદ્ગુણોનું આચરણ અને ખોરાકની સાત્વિકતા જ ‘સાદગી’ ન ગણી શકાય. જીવન જીવવાની દરેક બાબતમાં શ્રેષ્ઠતા હાંસલ કરવીએ સરળતા છે, સાદગી છે. આજના દેખાદેખીના યુગમાં માનવી બીજાની વસ્તુઓ નિહાળી તેને હાંસલ કરવા દિવસ-રાત મહેનત કરે છે, પણ જીવન સુધાર માટે કે પોતાની નીતની સંભાળ માટે સમય નથી. સેલ્ફ કેર કે સેલ્ફ લવ અર્થાત પોતાનું જીવન ઉન્નત બનાવવું. ગઇકાલે વિશ્વના ઘણા દેશોમાં સાદગી દિવસ ઉજવાય હતો, પણ આ એક દિવસની ઉજવણી ન ચાલે, માનવીએ પોતાના જીવન બદલવા હમેંશા જાગૃત રહેવું પડે.

Advertisement

સાદગીનો જન્મ જ વિશ્વની ગુંચવણભરી જીંદગીમાંથી મુક્ત થવા માટે થયો છે. આજના માનવી પાસે બધુ હોવા છતાં એ દુ:ખી છે અને જેની પાસે કાંઇ નથી એ આનંદથી જીવન જીવે છે. આપણને હાલની ચિંતા સતત સતાવે છે. વિશ્વનાં સૌથી સુખી લોકોમાંના કેટલાક તો અસંસ્કૃત વિસ્તારોમાં રહે છે. આપણાં જીવનને મુશ્કેલ બનાવતી વસ્તુંઓને બાદ કરવાથી પણ જીવનમાં આનંદ વધે છે. તમને જે વસ્તુંથી આનંદ મળે તેને જીવન આનંદ કહેવાય છે. જીવનમાં ઘણીવાર થોડો બદલાવ કરવાથી પણ આપણને બહું મોટો ફાયદો થતો હોય છે. આજે મોટાભાગના લોકોને તેના જીવન પ્રત્યે અસંતોષ જોવા મળે છે. ઇશ્વરે આપેલા સુંદર જીવનને આનંદમય રીતે માણો એજ નિજાનંદ છે.

પોતાની જાત પ્રત્યેનો પ્રેમ સાથે પારિવારકિ ભાવના અને પરિવારનું લાલન-પાલન તમારા જીવનની સૌથી મહત્વની વાત હોવાથી તેમાં કચાશ ન રાખવી. આજના ઇન્ફરમેશન ટેકનોલોજીના યુગમાં ટીવી-મોબાઇલ-કોમ્પ્યૂટર જેવા વિવિધ ઉપકરણોએ આપણું જીવન અને સામાજીક વ્યવસ્થા ખોરવી નાંખી છે, ત્યારે કુદરતી વાતાવરણમાં ફરવા જવું, એક કપ સારી ચા પીવી કે સરસ પુસ્તકનું વાંચન આપણું જીવન અને મુડ બંને બદલી શકે છે. જીવનમાં સાદગીએ સુખી થવાની ચાવી છે. આજના યુગમાં કપડાંને તમારી લાઇફ સ્ટાઇલ ઉપરથી સફળતા જીવનનો આંક ખોટો છે. ઘણીવાર અબજોપતી માનવી પણે ‘ડાઉન ટુ અર્થ’ જેવું જીવન જીવતો હોય છે.

સાદું જીવન અને ઉચ્ચ વિચારોનું બધાના જીવનમાં મહત્વ છે. ઘણીવાર દેખાડો કરવા સાદગીવાળું જીવન જીવે તો એ સારી ‘સાદગી’ નથી. સાદું જીવનએ પૂર્ણતાનું સાધન છે, જ્યારે ઉચ્ચ વિચારોને અનુમોદન આપતું હોય ત્યારે જ એ જીવન પ્રમાણભૂત ગણાય છે. સાદું જીવન અને મામુલી જીવન વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે. આપણે કોઇને નડીએ નહીએ પણ એક પ્રકારની સુટેવ છે. આજના યુગમાં મોટાભાગના લોકો ગામને દેખાડવા આંટી-ઘુટીવાળું જીવન જીવીને પોતાની જાતને છે તરે છે. બધું જ હોવા છતાં વધુ પ્રાપ્તિની ઝંખના તેના મૃત્યું સુધી સમાપ્ત ન થતી હોવાથી તે આખી જિંદગી ઢસરડા કર્યે જ રાખે છે.

સાદગી સાથે ઉન્નતિ જોડાયેલી છે. સાચી સાદગી સાથે આહાર-વિહાર-ખોરાક-સુટેવો જેવી અનેક વસ્તુંઓ જોડાયેલી હોવાથી તેનો બધા સાથેનો વ્યવહાર સરળ હોય છે. સમાજને તે કેમ ઉપયોગી થાય તેવો વિચાર સતત તેને થતો હોય છે. આજથી પાંચ-છ દાયકા પહેલાનું માનવ જીવન ભૌતિક સુવિધાના અભાવ વચ્ચે પણ શ્રેષ્ઠ હતી. માનવ-માનવ વચ્ચેના સંબંધો પૂર્ણ કલાએ ખીલ્યા હોવાથી એકબીજાની મુશ્કેલીમાં બધા સાથે રહેતા હતા. આજના યુગમાં સાદું જીવન કે સાદો ખોરાક કોઇને ગમતો નથી, બધાને રાતો-રાત રૂપિયાવાળું થઇ જવું છે, એટલે જ દરેક પૃથ્વીવાસી તેનું જીવન નષ્ટ કરી રહ્યો છે.

સાદગીભર્યું જીવન જ એક ઉચ્ચ વિચાર હોવાથી જીવનમાં તેનું મહત્વ કેટલું છે, એ તમે વિચારી શકો છો. જીવનમાં જેટલી જરૂરિયાત ઓછી એટલું જીવનમાં મુશ્કેલી કે લાલસા ન જાગે જે છે તેમાં ચલાવી લેવાની આવડત જ સાચું જીવન ગણી શકાય છે. જેની જીંદગી સાદી હોય તેનાથી બરબાદી દૂર રહે છે. આજના સમયમાં સાદગી માત્ર નામની રહી છે. ખીસ્સામાં કાંઇ હોય નહીં પણ ભયકો એવો કરેકે સામેનો માણસ સંજાઇ જાય છે. બધા લોકો કરે છે તો હું કેમ નહીં માત્ર આટલી વાતથી માનવી પોતાનું જીવન બરબાદ કરે છે. આજે સાદુ જીવન, સાદો પોશાક કે સાદું ભોજન કોઇને ગમતું નથી, બધાને ભયકાવાળી લક્ઝરી લાઇફ જીવવી છે. આપણે આવું જીવન જીવવાનું નક્કી કરે ત્યાં કોઇકનું ભયકાવાળું જીવન જોઇએ એટલે એ વિચાર નીકળી જાય છે.

પરિવર્તનએ સંસારનો નિયમ છે. દરેક માનવીના જીવનમાં કોઇ એક સમયે પરિવર્તન કરવું જ પડતું હોય છે. આજના યુગમાં દરેકના જીવનમાં ખાન-પાન-રહન-સહનમાં પરિવર્તન આવ્યું જ છે. મોબાઇલ આવતા ટપાલ કે ટેલીફોન ગાયબ થઇ જ ગયાને. ગમે તે હજી નવું બદલાય પણ આજના માનવીને ક્યારેય સંતોષ થશે નહીં. આજે તો આવક કરતાં જાવકનો ખર્ચ વધે રાખે છે. લોનના હપ્તા ચુકવવા માટે જ જીવન જીવતાં હોય એવું લાગે છે. આજના સ્પર્ધાત્મક યુગમાં પણ જીવનની સાદગીનીુંં મહત્વ છે. જો માનવી ધારે તો અઢળક સંપતિ વચ્ચે પણ સાદુ જીવન જીવી શકે છે. સાવ સરળ ભાષામાં જીવનનું ગણિત સમજવું હોય તો ઘરનો આશરો અને બે ટંકનો રોટલો સાથે તન પર વસ્ત્રો ઢંકાયેલા રહે એ જ જીવન. ગમે તેવો વૈભવ હોય પણ અંતે તો 6 ફૂટની જગ્યા જ દરેકને જોઇએ છીએ પછી ભલે રાજા હોય કે રંક ત્યારે તો બધા સરખા જ.

સ્વાસ્થ્ય, સાતત્ય અને સાદગીને પકડી રાખો

આપણી જુની જીવનશૈલીના ઘણા ફાયદાઓ હતા, પણ તેમાં બદલાવ આવતા આજનો માનવી ઘણી મુશ્કેલી સાથે માનસિકતાણ અનુભવી રહ્યો છે. જીવનમાં સ્વાસ્થ્ય, સાતત્ય અને સાદગીને પકડી રાખવી જોઇએ. જીવનમાં ભલે ઉતાર-ચડાવ આવે પણ જો આ ત્રણ વસ્તુંને જીવનમંત્રની જેમ અનુસરતો તો જીવન સફર સારી રીતે પસાર કરી શકશો. ઉત્તમ માનવ દેહ મળ્યો છે, તેને શ્રેષ્ઠત્તમ બનાવવા હમેંશા પ્રયત્નશીલ રહેવું. વિકટ પરિસ્થિતિમાં વિચલિત થયા વગર હિંમત રાખીને તેનો સામનો કરવો જોઇએ. સાદુ જીવન જ લાંબુ આયુષ્ય આપી શકે છે. સૌર્દ્યનો આદર્શ સાદગી અને શાંતિ છે.

‘સાદુ જીવન, ઉચ્ચ વિચાર’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.