Abtak Media Google News

મૃત્યુ પછી પણ અમર રહેવા અંગદાન કરવું જરૂરી

બ્રેઇન ડેડ વ્યક્તિના બાકીના અવયવો જેવા કે આંખો, હૃદ્યના વાલ્વ, હાડકા, ચામડી, બ્રેઇન ડેડ, લીવર, હાથ અને નાનુ આંતરડું આટલા અંગો અન્ય વ્યક્તિને જીંદગી બક્ષવા કામ લાગી શકે છે

બ્રેઇન ડેડ વ્યક્તિના અંગદાનથી 8 વ્યક્તિઓને નવજીવન આપી શકાય છે. કારણ કે બ્રેઇન ડેડ વ્યક્તિના બાકીના અવયવો જેવા કે આંખો, હૃદ્યના વાલ્વ, હાડકા, ચામડી, બ્રેઇન ડેડ, લીવર , પેન્ક્રીયાસ, કિડની, ફેફ્સા, હૃદ્ય, હાથ અને નાનુ આંતરડુ આટલા અંગો અન્ય વ્યક્તિને જીંદગી બક્ષવા કામ લાગી શકે છે. જે અંગેની વિસ્તૃત માહિતી આપવા અને આ બાબતે જન જાગૃતિ લાવવા અને તેનો પ્રચાર-પ્રસાર વધુ થાય તેવા હેતુથી સરકીટ હાઉસ ખાતે યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં ડો.દિવ્યેશ વિરોજા, ડો.સંકલ્પ વણઝારા, ડો.તેજસ કરમટા,  ડો.મિતલ ખેતાણી, નિતીન ઘાટલીયા, વિક્રમભાઇ જૈન, ભાવનાબેન મંડલિ ખાસ ઉપસ્થિત રહી વિસ્તૃત માહિતી આપી હતી.

તા.13મી ઓગષ્ટએ ડીસીઝડ ઓર્ગન ડોનેશન Deceased Organ Donation અથવા તો ડીસીઝડ ઓર્ગન હાર્વેસ્ટીંગ Deceased Organ Donation દિવસ છે. આ આખું સપ્તાહ પણ તે માટે હોય છે. આ અંગ્રેજીનુ સાદુ-સીધું ગુજરાતી કરીએ તો બ્રેઇન ડેડ વ્યક્તિના હૃદ્ય, ફેફ્સાં, કિડની, લીવર, પેન્ક્રીયાસ, નાનુ આંતરડુ જેવા અંગો, આ જ અંગોના સંપૂર્ણ નિષ્ફળ જવાથી જે દર્દીઓ મરણમુખ છે તેવા દર્દીઓના શરીરમાં રોપવા માટે થતું અંગોનું દાન. આ પ્રક્રિયાને તબીબી વિજ્ઞાન Deceased Organ Donation એટલે કે બ્રેઇન ડેડનાં અંગોનું પ્રત્યારોપણ એ નામે ઓળખાય છે. બ્રેઇડ ડેડ વ્યક્તિનાં અંગોનું દાન, કિડની, લીવર, હૃદ્ય, પેન્ક્રીયાસ, ફેફ્સાં એ બધાં અંગો માનવીને કુદરતે આપેલી અદ્ભૂત ભેટ છે. માનવીનું તંદુરસ્ત જીવન આ બધા અવયવો સાબૂત હોય અને સ્વસ્થતાથી પોતાનું કામ કરતા હોય તેના પર આધારિત છે.

માર્ગ અકસ્માત, બ્રેઇન હેમરેજ કે અન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિના મગજને ગંભીર ઇજાઓ પહોંચે ત્યારે ઘણા બધાં સંજોગોમાં વ્યક્તિનું મગજ નકામું થઇ જાય છે. તબીબી ભાષામાં એ વ્યક્તિ Brain Dead (બ્રેઇન ડેડ) ગણાય છે. આવી વ્યક્તિના કિડની, લીવર, હૃદ્ય, પેન્ક્રીયાસ, ફેફ્સાં જેવા અંગો તદ્ન સાબૂત અને જીવંત હોય છે. જો એ અંગો કાઢીને જેના આવા અંગો નિષ્ક્રિય થઇ ગયા છે તેમને અપાય તો તેમની જીંદગી બચી શકે છે. આ સમજ સમગ્ર સમાજમાં જેટલી વધુ ફેલાવી શકાય, તેટલાં વધુ અંગદાન થાય તો વધુને વધુ લોકોની જીંદગી બચી શકે.

ભારતમાં બ્રેઇન ડેડ અંગદાન ખૂબ જ ઓછા થાય છે. વિશ્ર્વમાં અંગદાનમાં સૌથી મોખરે ટચૂકડો દેશ ક્રોશિયા છે. જ્યાં દર દસ લાખે 36.5 અંગદાન થાય છે. સ્પેનમાં દર દસ લાખે 35 અંગદાન થાય છે. તામિલનાડુ સરકાર અને મોહન ફાઉન્ડેશન જેવા એનજીઓએ જબરજસ્ત કામ કર્યું છે.

અંગદાનને વિગતે સમજીએ તે પહેલાં માનવ શરીરનાં કેટલાં અંગોનું દાન થઇ શકે છે તે જોઇએ, મૃત માણસનાં આંખો, હૃદ્યના વાલ્વ, બોન (હાડકા), ચામડી અને બ્રેઇડ ડેડ લીવર, પેન્ક્રીયાસ, કિડની, ફેફ્સાં, હદ્ય, હાથ અને નાનું આંતરડુ આટલાં અંગો અન્ય માણસને જીંદગી બક્ષવા કામ લાગી શકે છે. મતલબ કે માનવ શરીરના આટલાં અંગોનું દાન થઇ શકે છે. એક વ્યક્તિના અંગદાનથી સાત થી આઠ જેટલા મરણાસન્ન દર્દીને જીવતદાન આપી શકાય છે.

એક બુઝાઇ રહેલા દીપકથી 7 થી 8  જલાવી જળાંહળાં કરી શકાય છે. એટલે આ એક દૈવીક્રિયા ગણાય. અહીં હવે અંગદાન સંદર્ભે વ્યક્તિના મૃત્યુનો પ્રકાર અતિ મહત્વનો બને છે. જેનો વિસ્તારથી ઉલ્લેખ થયો તે વાહન અકસ્માતથી, પડવાથી, માથા પર કોઇ વસ્તુનો ઘા કે ટક્કર થવાથી, બ્રેઇન હેમરેજ થવાથી કે અન્ય કોઇપણ રીતે મગજ કાર્ય કરતું બંધ થઇ જાય, મગજને કોઇપણ તબીબી ઇલાજથી પુન:કાર્યરત કરવું અસંભવ બની જાય ત્યારે તબીબી ભાષામાં એને

Brain Dead (બ્રેઇન ડેડ) સ્થિતિ કહેવાય છે. આ રીતે મગજ મૃત બનેલી વ્યક્તિનાં જીવંત થવાની શક્યતાઓ શૂન્ય હોય છે. પણ તેના શરીરની હાલત જીવંત હોય છે. તેના શ્વાસોશ્વાસ વેન્ટિલેટર મશીનથી ચાલુ હોય છે. શરીરના બીજા અંગો (મગજ સિવાય) સંપૂર્ણપણે સક્રિય અને સાબૂત હોય છે. વ્યક્તિ વેન્ટીલેટર અમૂક દિવસો સુધી યથાવત હાલતમાં રાખી શકાય છે. પણ એ મૃત અવસ્થા જ છે. આ હાલતમાં એ બ્રેઇન ડેડ વ્યક્તિના અંગો હૃદ્ય, ફેફ્સાં, પેન્ક્રીયાસ, લીવર, કિડની અને નાનું આંતરડું એકદમ જીવંત હોય છે. મગજ મૃત વ્યક્તિ માટે આ અંગો નકામાં છે. એ સમયસર નિર્ણય ન લેવાય તો કાં રાખ થાય કે કબરમાં માટી થાય. પણ એ જ અંગો જે કોઇ દર્દીનાં એ અંગ કે અંગો સંપૂર્ણ નકામાં થઇ ગયાં છે અને અપાય તો એ મૃતપાય બનેલા દર્દીને નવજીવન મળે છે.

કાલે સાંજે 4:00 થી 7:00 વાગ્યા વચ્ચે રાજકોટ શહેરના હેમુ ગઢવી હોલમાં અંગદાન જાગૃતિ અંગેનો મોટો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. આ કાર્યક્રમમાં રાજકોટ, જામનગરથી થયેલા અંગદાતાના સગાનું સન્માન કરવામાં આવશે અને રાજકોટ શહેરના જ આ ક્ષેત્રના નિષ્ણાંત ડોક્ટર્સ પાસેથી અંગદાન જાગૃતિના આ સૌ પ્રથમ કાર્યક્રમમાં દિલીપભાઇ દેશમુખ ખાસ વ્યક્તવ્ય આપવાના છે. આ અભિયાનમાં રાજકોટના ડેપ્યૂટી પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજા, યુવા અગ્રણી હર્ષિત પ્રહ્લાદભાઇ કાવર, ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને બોલબાલા ટ્રસ્ટે સંપૂર્ણ સહકાર આપ્યો છે.

આવતીકાલે હેમુ ગઢવી હોલ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં રાજકોટ અને સૌરાષ્ટ્રના જાહેર જીવનના વિવિધ શ્રેષ્ઠીઓ, કાર્યકર્તાઓ, ડોક્ટર્સ, મિત્રો વિશાળ સંખ્યામાં ઉ5સ્થિત રહેનાર છે. રસ ધરાવતા સૌને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. આ પત્રકાર પરિષદમાં અંગદાન અંગેની તેમજ આ કાર્યક્રમ અંગેની વિસ્તૃત માહિતી અપાઇ હતી.

પત્રકાર પરિષદનું સંચાલન મિતલ ખેતાણીએ કર્યું હતું. આ કાર્યક્રમની સફળતા માટે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, બોલબાલા ટ્રસ્ટના સંપૂર્ણ સહકારથી અને યુવા અગ્રણી હર્ષિત પ્રહ્લાદભાઇ કાવરના સથવારે તેમજ રાજકોટના ડેપ્યૂટી પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજાના સતત સહકારથી કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યાં છે. વધુ માહિતી માટે તથા અંગદાન કરવા માટે કે અંગદાનનો સંકલ્પ કરવા માટે 9427776665, 9825256578, 9824459695, 9824221999 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.

જન જાગૃતિ અભિયાન

આવતીકાલે હેમુ ગઢવી હોલ ખાતે સાંજે 4 થી 7 અંગદાન મહાદાન બનશે એક જન અભિયાન જન જાગૃતિ પ્રસાર-પ્રસારને વેગ આપવા યોજાનાર કાર્યક્રમમાં ઉમટી પડવા હાકલ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.