Abtak Media Google News

વધારાની સુવિધાથી 24 કલાકમાં ઓક્સિજનના 100 અથવા વેન્ટિલેટરના 30  દર્દીને ઓક્સિજન મળશે 

આગામી 10 દિવસમાં 20 હજાર લિટરની ક્ષમતાની ઓક્સિજનની ટેંક રાજકોટમાં બનાવવાનુ રાજ્ય સરકારનું આયોજન: કુલ 62 હજાર લીટર ઓક્સિજનની ક્ષમતા ઊભી થશે 

કોરોનાના વધતા જતા દર્દીઓને બચાવવા માટે તાત્કાલિક ઉભી થયેલી જરૂરિયાતોને પહોંચી વળવા રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે કામગીરી આરંભી છે.

રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં વધારે દર્દીઓને સારવાર તેમજ દાખલ થયેલા દર્દીઓની વધતી જતી ઓક્સિજનની જરૂરિયાતોને પહોંચી વળવા માટે 3000 લિટર ક્ષમતાની વધુ એક ઓક્સિજનની ટેંક શરૂ કરી દેવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લામાં કોરાના દર્દીઓની સારવાર માટે વધતી જતી મેડિકલ સુવિધાઓ જરૂરિયાતોને પહોંચી વળવા માટે જિલ્લા તંત્રને તાત્કાલિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. જેના ભાગરૂપે એક ત્રણ હજાર લિટર ઓક્સિજનની ટેંક શરૂ થઈ ગઈ છે.

રાજકોટની પીડીયુ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય વ્યવસ્થાઓના નોડલ ડો. જે.કે નથવાણીએ કોવિડના દર્દીઓની સંભવિત આગામી જરૂરિયાતો, આગોતરા આયોજનના ભાગરૂપે રાજકોટમાં સિવિલ ખાતે  મોટી 20,000 લિટરની ઓક્સિજનની ટેન્કની રાજ્ય સરકારે મંજૂરી આપી છે તેમ જણાવ્યું હતુ. અત્યારે જે 3000 લિટર ક્ષમતાની ઓક્સિજનની ટેન્ક શરૂ કરવામાં આવી છે તેનાથી વધુ 100 દર્દીઓને 24 કલાક ઓક્સિજન આપી શકાય અથવા વેન્ટિલેટર પરના 30 દર્દીઓને ઓક્સિજન આપી શકાય તેવી વધારાની સુવિધાઓ ઊભી થઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા વહીવટીતંત્ર અને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ અગાઉ આયોજનના ભાગરૂપે ઊભી કરાયેલી ઓક્સિજનની વ્યવસ્થામાંથી હાલ કોરોનાના દર્દી વધતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો દૈનિક વપરાશ 28 થી 29 હજાર લિટરનો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અગાઉની વ્યવસ્થા પ્રમાણે 39 હજાર લિટરની ઓક્સિજનની કેપીસીટી હતી. 3,000 લીટરની નવી ટેન્ક્થી 42 હજાર લીટરની  કેપેસિટી અત્યારે થઈ છે, અને હવે ઊભી થનાર 20,000 લિટરની કેપીસીટિને લીધે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 62 હજાર લિટર ઓક્સિજનની ક્ષમતા ઉભી થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.