Abtak Media Google News

પડધરી તાલુકાના ન્યારા ગામે પેટીયું રળવા આવેલી પરપ્રાંતિય પરિણીતાએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. દાહોદ પોતાના વતન પર માનતા પૂરી કરીને આવ્યા બાદ પરિણીતાએ વખ ઘોળી જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે.

પડધરી: ન્યારા ગામે પરિણીતાએ ઝેર પી જીવન ટૂંકાવ્યું

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી તાલુકાના ન્યારા ગામે ખેત મજૂરી અર્થે આવેલી જ્યોતિબેન સુરેશભાઈ અમલીયાર નામની 23 વર્ષની પરિણીતાએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. તેણીને તાત્કાલિક ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં પરિણીતાનું રાજકોટ સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ અંગે ઘટનાની જાણ થતા પડધરી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ હોસ્પિટલ પહોંચી મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથધરી હતી. જેમાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક જ્યોતિબેન અને તેના પતિ દાહોદ પંથકમાં આવેલા પોતાના ગામે માનતા કરવા ગયા હતા. જ્યાંથી તેણી ન્યારા ગામે એકલી આવ્યા બાદ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.

 

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.