Abtak Media Google News

“તને ના પાડી છતાં કેમ શેરીમાંથી નીકળે છે?” તેમ કહી હત્યારાઓએ પીછો કરી યુવાનને છરીના ચાર ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું

રંગીલુ રાજકોટ ફરી એકવાર રક્તરંજિત થયું છે. જેમાં આંબેડકરનગરમાં યુવાનને જૂની અદાવતનો ખાર રાખી આઠ શખ્સોએ સરાજાહેર રહેસી નાખ્યો હતો. મૃતકના શેરીમાંથી નીકળવાની ના પાડી આઠ શખ્સોએ કાર અને સ્કુટરમાં પીછો કરી છરીના ચાર ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે ઘટનાના પગલે બે શકમંદોને ઉઠાવી પૂછપરછ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નવા થોરાળા મેઈન ૨ોડ પ૨ સ્વામી નારાયણ સ્કૂલ સામે રહેતો અને મનપાના ઢોરડબ્બામાં કોન્ટ્રાક્ટર સાથે કોન્ટ્રાક્ટ બેઈઝથી કામ કરતો સિદ્ધાર્થ ઉર્ફે ૨ઘો જીવણભાઈ મકવાણા (ઉ.વ.૨૨) આજે મોડી રાત્રે ૮૦ ફુટ રોડ નજીક આંબેડકરનગર વિસ્તારમાં શેરી નં.૧ નજીક હતો ત્યારે ગોપાલ કલા ગોહેલ, ભમો ઉર્ફે જીજ્ઞેશ પુંજા ગોહેલ, ધર્મેશ કનું ગોહેલ, હિતેશ કનુ ગોહેલ, આનંદ ઉર્ફે કાળુ રવિ મૂછડિયા, મયુર ઉર્ફે એમ.ડી. વિનુ દાફડા, નિતિન રવિ મુછડિયા અને મોહિત ઉર્ફે બન્ની સુરેશ પરમાર સહિતના શખ્સોએ તેના પર છરી વડે ઘાતક હુમલો કરતાં તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. ૧૦૮ને જાણ કરાતા સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. જેના તબીબે સિદ્ધાર્થને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટના અંગે જાણ થતાં થોરાળા પૉલીસ મથકના પી.આઈ. ડો.એલ.કે.જેઠવા સહિતનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતક સિદ્ધાર્થ ઉર્ફે રઘો મકવાણાના બનેવી સુનીલ નાથાભાઈ ચાવડાની ફરિયાદના આધારે પોલીસે આઠ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથઘરી બે શકમંદોને ઉઠાવી લઈ તેની પૂછરછ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

થોરાળા પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક સિદ્ધાર્થ ઉર્ફે રધો અને તેના મિત્ર નિખિલ ઉર્ફે નાથો પ્રવીણભાઈ સોલંકીને અગાઉ બે માસ પહેલા હત્યારાઓ સાથે માથાકૂટ થઈ હતી. જેનો ખાર રાખી ગઇ કાલે રાત્રીના આઠેય શખ્સોએ સિદ્ધાર્થ ઉર્ફે રઘા મકવાણાનો કાર અને સ્કૂટરમાં પીછો કર્યો હતો. અને તે દરમિયાન આરોપીઓએ “તને ના પાડી છતાં શેરીમાંથી કેમ નીકળે છે?, અને તારો મિત્ર નિખિલ ક્યાં છે?” તેમ કહી ગાળો ભાંડી હતી.

ત્યાર સિદ્ધાર્થ મકવાણાએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગોપાલ ગોહેલ, ભમો ઉર્ફે જીજ્ઞેશ ગોહેલ, ધર્મેશ ગોહેલ, હિતેશ ગોહેલ, આનંદ ઉર્ફે કાળુ મુછડિયા, મયુર ઉર્ફે એમ.ડી.દાફડા, નીતિન મુછડિયા અને મોહિત ઉર્ફે બન્ની મુછાડિયાએ પીછો કરી આંબેડકરનગર -૧માં અજય વે બ્રિજ પાસે આઠેય શખ્સોએ તેને ઘેરી લઈ માર મારી છરીના ઘા ઝીંકી દીધા હતા. પોલીસે હત્યાની ઘટનાની નોંધ કરી આરોપીની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.