Abtak Media Google News

રાજકોટના સંવેદનશીલ ગણાતા જંગલેશ્વર વિસ્તારને અડીને આવેલા નીલકંઠ પાર્કમાં અને આસપાસના રોડ પર બોયકોટ ઈઝરાયલના ઈંગ્લિશ લખાણવાળા કોઈ અસામાજિક તત્ત્વોએ પોસ્ટર લગાડ્યા હતા. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભક્તિનગર પોલીસ અને એસઓજીએ તાત્કાલિક તપાસ હાથધરી હતી અને વીડિયોમાં દેખાતા ઘટનાસ્થળે દોડી જઈ તપાસ કરતા આ પોસ્ટર જંગલેશ્વરમાં રહેતા ચાર મુસ્લિમ શખ્સોએ લગાડ્યાનું સ્પષ્ટ થતાં ચારેયની અટકાયત કરીને તેઓની આકરી પૂછપરછ કરવામાં આવી છે.જ્યારે તેને એવી કબૂલાત આપી હતી કે,ભારત સરકાર પેલેસ્ટાઇનના નાગિરકો માટે દવા સહિતની મદદ મોકલી રહી છે. આ સ્થિતિમાં વિદેશી કંપનીઓનો બહિષ્કાર કરવો જોઇએ.જેથી તેને બોયકોટ કરવા માટેના પોસ્ટરો લગાવ્યા હતા.

જંગલેશ્વર પાસે નીલકંઠ પાર્ક વિસ્તારમાં ઈંગ્લિશ લખાણવાળા પોસ્ટર લગડ્યા હોવાનો વિડિયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથધરી હતી

વિદેશી કંપનીઓનો બહિષ્કાર કરવા માટે પોસ્ટર લગાડયા હોવાની ચારેય શખ્સોએ આપી કબૂલાત

આ અંગે મળતી વિગતો મુજબ ઈઝરાયલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચે છેલ્લા 18 દિવસથી મહાકાય યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આ યુધ્ધને લઈને રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો દ્વારા કાકરીચારો કરવામાં આવ્યો હતો જેમાં જંગલેશ્વરને અડીને આવેલા વિસ્તારોમાં બોયકોટ ઈઝરાયલના ઈંગ્લિશ લખાણવાળા પોસ્ટર કેટલીક જગ્યાએ ચોંટાડવામાં આવ્યા હતા. આ પોસ્ટરનો કોઈ સાઇકલસવાર વ્યક્તિએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હતો. અને ટૂંક સમયમાં જ આ વીડિયો અંગેની જાણકારી ભક્તિનગરના પોલીસ ઈન્સ્પેક્ટર મયૂરધ્વજસિંહ સરવૈયા અને તેની ટીમને થતાં તાકીદે તેઓ નીલકંઠ પાર્ક અને તેની આજુબાજુના વિસ્તારમાં જઈને તપાસ કરતા ઈઝરાયલ બોયકોટ લખેલા પોસ્ટર દીવાલ પર ચોંટેલા જોવા મળ્યા હતા.

જેથી સૌ પ્રથમ આવા પોસ્ટરો હટાવી લેવામાં આવ્યા હતા. અને આવું હીન કૃત્ય કોના દ્વારા કરવામાં આવ્યું છે તેની યુદ્ધના ધોરણે તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે આ કૃત્ય જંગલેશ્વર વિસ્તારમાં રહેતા સમીર બ્લોચ, સુલતાન દલુ, શાહનવાઝ વેત્રણ અને સમીર અંસારી નામના શખ્સો આ ઘટનામાં સંડોવાયા હોવાની વિગતો પોલીસને પ્રાપ્ત થઈ હતી.જેથી ચારેયની અટકાયત કરીને પોલીસ મથકે લઇ જઇ પુછપરછ કરતા તેમણે કહ્યું હતું કે, આ બન્ને દેશ વચ્ચેના યુદ્ધમાં પેલેસ્ટાઈનના ઈજાગ્રસ્તોની સારવાર માટે ભારતે દવાનો જથ્થો મોકલીને પેલેસ્ટાઈનને મદદ કરી છે. ત્યારે પેલેસ્ટાઈન પર હુમલો કરનાર ઈઝારાયેલની મલ્ટિ નેશનલ કંપનીઓની પ્રોડક્ટ ખરીદીનો બહિષ્કાર કરવામાં આવે તેવી અપીલ કરતી કરવા પત્રિકા છાપી હતી.

જ્યારે આ પોસ્ટર લગાડવા પાછળ તેમનો અન્ય કોઈ ઈરાદો હતો કે કેમ, તેઓ કોઈ સંગઠન સાથે શું સંકળાયેલા છે કે કેમ, કોઈ સંગઠનના કહેવાથી પોસ્ટર લગાડ્યા છે કે કેમ, તેઓની ભૂતકાળમાં પ્રવૃત્તિઓ શું હતી, તેઓએ આ પોસ્ટર ક્યાં છપાવ્યા, કોના કહેવાથી છપાવ્યા, ક્યા સ્થળે છપાવ્યા અને આ પોસ્ટર લગાડવા માટેનો તેમનો હેતુ શું હતો. તે સહિતના મુદ્દે તપાસ શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.