Abtak Media Google News

બે વાર સમાધાન કરવા છતાં સાસરિયાંઓ માર મારતા પતિ, સાસુ-સસરા સામે નોંધાતો ગુનો

શહેરમાં નિર્મળા રોડ રહેતી પરિણીતાને તેના પતિ અને સાસુ સસરા લગ્નના બીજા જ દિવસથી ત્રાસ આપતા હોવાથી તેને તેમના વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. વિગતો મુજબ નિર્મળા રોડ, અક્ષરવાડી-1માં રહેતી શિવાંગી નામની પરિણીતાએ પતિ સુમિત, સસરા લલિતભાઇ બગડાઇ અને સાસુ ગીતાબેન સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાની ફરિયાદ મુજબ, સુમિત સાથે સાત વર્ષ પહેલા લગ્ન થયા છે.

લગ્નજીવન દરમિયાન સંતાનમાં એક પુત્ર છે.લગ્નના બીજા જ દિવસથી પતિ, સાસુ-સસરાએ ઘરકામ સહિતના મુદ્દે મેણાં મારવાનું શરૂ કર્યું હતું. ઘરકામ કરવા છતાં પતિ સહિતનાઓ તને ઘરકામ માટે જ લાવ્યા છીએ તેમ કહી માનસિક ત્રાસ આપતા હતા. વિરોધ કરતા પતિ અને સાસુ માર પણ મારતા હતા.જેને કારણે અગાઉ બે વખત પોલીસમાં અરજી કરી હતી, પરંતુ સમાધાન કરાવી પરત સાસરે લઇ જતા હતા અને સાસરે થોડા દિવસ બાદ ફરી પતિ, સાસુ-સસરા પોતાને હેરાન કરવાનું ચાલુ કરી દેતા હતા.

રવિવારે પતિ, સાસુ-સસરાએ પોતાને માર માર્યો હોવાની ભાઇને જાણ થતા તેઓ પોતાને પિયર લઇ જવા આવ્યા હતા. આ સમયે પતિ, સસરાએ ભાઇ સાથે અભદ્ર વર્તન કરી માર માર્યો હતો.જેથી અંતે તેને કંટાળી પોલીસ ફરિયાદ કરતા તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.