Abtak Media Google News

Table of Contents

‘એક ભારત -શ્રેષ્ઠ ભારત’ની ભાવના દેશને મજબૂત બનાવે છે : તમિલનાડુમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રીયન તમિલ લોકોને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સંબોધન

સોમનાથ ખાતે 17 એપ્રિલથી શરૂ  થવા જઈ રહેલા સૌરાષ્ટ્ર- તમિલ સંગમ કાર્યક્રમને લઈને મદુરાઈ સહિતના શહેરોમાં રોડ-શો સહિતની ઈવેન્ટ યોજાઇ

મંત્રી કનુભાઈ દેસાઈ, ઋષિકેશભાઇ પટેલ, કુંવરજીભાઈ બાવળિયા,  મુળુભાઈ બેરા, બળવંતસિંહ રાજપુત, પ્રફુલભાઈ પાનસેરીયા તેમજ રાજકોટ કલેકટર અરુણ મહેશ બાબુ સહિતનાએ તમિલના દિગજજોને પાઠવ્યા આમંત્રણ

‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’થી  સૌરાષ્ટ્ર અને તામિલનાડુના સંબંધો મજબૂત બનશે.” તેવો વિશ્વાસ આજ વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ તમિલનાડુમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રીયન તમિલ લોકો સમક્ષ વ્યક્ત કર્યો હતો.

Advertisement

‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમનો પ્રારંભ તા.17 એપ્રિલના સોમનાથ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરાવશે. તામિલનાડુના મદુરાઈ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્રીયન તમિલ લોકોને સંબોધતા કહ્યું હતું કે ’એક ભારત -શ્રેષ્ઠ ભારત’ની ભાવના દેશને મજબૂત બનાવે છે. એક પ્રદેશ બીજા પ્રદેશમાંથી ઘણું જાણે છે -શીખે છે, જે એકતાની ભાવનાને પ્રગાઢ બનાવે છે. રાષ્ટ્રીય એકતાના જુસ્સાને પ્રગાઢ કરતો સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ગુજરાતના વિવિધ શહેરોમાં એપ્રિલ માસમાં યોજાવાનો છે.

વડાપ્રધાનશ્રીએ સૌરાષ્ટ્ર અને તામિલનાના નાગરિકો વચ્ચેના તંતુ સંદર્ભે વધુમાં કહ્યું હતું કે, સદીઓ પહેલા સૌરાષ્ટ્રના લોકો તામિલનાડુના વિવિધ પ્રદેશો અને વિવિધ વિસ્તારોમાં જઈને વસ્યા હતા. આજે વર્ષો પછી પણ તામિલનાડુમાં વસેલા આ સૌરાષ્ટ્રના લોકોમાં સૌરાષ્ટ્રની કોઈને કોઈ ઝલક તેમની રહેણીકરણી- ખાનપાન વગેરેમાં જોવા મળતી હશે. આ લોકો પરત સૌરાષ્ટ્રમાં આવે તે માટે આ કાર્યક્રમો થઈ રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં આગામી 17 થી 30 એપ્રિલ સુધી યોજાનાર ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રીયન તમિલ લોકોને આમંત્રણ આપવા માટે તમિલનાડુના વિવિધ શહેરોમાં રોડ શો સહિતના રંગારંગ કાર્યક્રમોનું  આયોજન થયું છે.

આ કાર્યક્રમોમાં  ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, પ્રવાસન મંત્રી  મુળુભાઈ બેરા, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, રાજકોટ કલેકટર અરુણ મહેશ બાબુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

તામિલનાડુના ગવર્નરને મંત્રીઓએ પાઠવ્યું આમંત્રણ

Screenshot 5 38

સૌરાષ્ટ્ર- તામિલ સંગમ કાર્યક્રમને લઈને ગુજરાત રાજ્યના પ્રતિનિધિ મંડળ દ્વારા તામિલનાડુના ગવર્નર આર.એન. રવીને ખાસ નિમંત્રણ આપવામાં આવ્યું હતું. આ વેળાએ મંત્રી રુષિકેશ પટેલ અને કનુભાઈ દેસાઈએ ગવર્નરને આ કાર્યક્રમમાં પધારવા લાગણીસભર આમંત્રણ આપ્યું હતું.

વર્ષો પૂર્વે હિજરત કરનાર સૌરાષ્ટ્રીયનોને આશરો આપનાર તન્જાવરના રાજાને ખાસ નિમંત્રણ અપાયું

Screenshot 6 37

‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’માં ઉપસ્થિત રહેવા માટે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ તન્જાવર સ્ટેટના રાજા બાબાજી ભોંસલેને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વતી તન્જાવર પેલેસ ખાતે રૂબરૂ મળીને નિમંત્રણ પાઠવ્યું.

બાવળીયાજીએ બાબાજી ભોંસલેનો ખાસ આભાર માનતા જણાવ્યું હતું કે હજાર વર્ષ પહેલાં જ્યારે સૌરાષ્ટ્રના લોકો મદુરાઈ ખાતે આશરો શોધવા આવેલા ત્યારે મદુરાઈ સ્ટેટ એ આપેલા આશરો, પ્રેમ અને સહયોગના કારણે અહીં સૌરાષ્ટ્ર તમિલ સમાજ માત્ર વસ્યો નથી પણ દૂધમાં સાકરની જેમ ભળ્યો છે અને ઘણી પ્રગતિ કરી છે.

સાથે સાથે તમિલનાડુના વિકાસમાં આ સમાજનું પણ બહુ મોટું યોગદાન છે. આ આપના મીઠા આવકારથી સાર્થક થયું છે માટે ગુજરાત આપનું સન્માન કરવા ઈચ્છે છે, અમારા નિમંત્રણને માન આપી અવશ્ય પધારશોજી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.