Abtak Media Google News

બીબીસીના પક્ષપાતી રિપોર્ટિંગની ટીકા કરીએ છીએ: યુકે પીએમ

કેન્દ્ર સરકારે ગુજરાત રમખાણો પરની બીબીસી ડોક્યુમેન્ટરીને ‘પ્રોપેગેંડાનો ભાગ’ ગણાવી છે અને કહ્યું છે કે, તે આવી ફિલ્મને ‘ખોટો દુષ્પ્રચાર’ કરી શકે નહીં. સરકાર વતી એવું કહેવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન પર બનેલી બીબીસી ડોક્યુમેન્ટ્રી દુષ્પ્રચાર, પક્ષપાતી અને સંસ્થાનવાદી માનસિકતા દર્શાવે છે. આપણે નથી જાણતા કે આની પાછળનો એજન્ડા શું છે? તો, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે પણ પીએમ મોદી પર બનેલી બીબીસી ડોક્યુમેન્ટ્રી પર વાંધો ઉઠાવ્યો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે (૧૯ જાન્યુઆરી, ૨૦૨૩) જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર તાજેતરમાં પ્રસારિત થયેલી બીબીસી ડોક્યુમેન્ટ્રી પ્રોપેગેંડાનો એક ભાગ છે, જે ૨૦૦૨ના ગુજરાત રમખાણો દરમિયાન તેમના નેતૃત્વ પર સવાલ ઉઠાવે છે. જેમાં હજારો લોકો માર્યા ગયા હતા.

અરિંદમ બાગચીએ કહ્યું કે, અમને લાગે છે કે આ એક પ્રોપેગેંડાનો ભાગ છે. તેની કોઈ નિરપેક્ષતા નથી, આ પક્ષપાતી છે. તમને જણાવી દઈએ કે, આને ભારતમાં પ્રદર્શિત કરવામાં આવી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બીબીસી ડોક્યુમેન્ટ્રીનો પ્રથમ એપિસોડ મંગળવારે પ્રસારિત કરવામાં આવ્યો હતો, જ્યારે શ્રેણીનો બીજો ભાગ આવતા અઠવાડિયે ૨૪ જાન્યુઆરીએ પ્રસારિત કરવામાં આવશે.

બીબીસીએ ‘ઇન્ડિયા : ધ મોદી ક્વેશચન’ નામની બે ભાગમાં એક ડોક્યુમેન્ટ્રી બહાર પાડી છે. આ ડોક્યુમેન્ટરી પણ કથિત રીતે યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવી હતી, પરંતુ વિવાદોને કારણે તેને યુ-ટ્યુબ પરથી હટાવી દેવામાં આવી છે. સિરીઝના ડિસ્ક્રિપ્શનમાં કહેવામાં આવ્યું છે કે, “ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના મુસ્લિમ લઘુમતી વચ્ચેના તણાવ પર એક નજર, ૨૦૦૨ના રમખાણોમાં તેમની ભૂમિકા વિશેના દાવાઓની તપાસ, જેમાં હજારો લોકો માર્યા ગયા હતા.”

તો, યુકેના પીએમ ઋષિ સુનકે ગુજરાત ૨૦૦૨ના કોમી રમખાણો પર બીબીસી ડોક્યુમેન્ટ્રીમાં પીએમ મોદીનો બચાવ કર્યો છે. યુકે હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય લોર્ડ રામી રેન્જરે પણ બીબીસી ડોક્યુમેન્ટરીને પક્ષપાતી ગણાવી છે. તેમણે એક ટ્વિટમાં કહ્યું, ‘બીબીસી તમે ભારતના લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા વડાપ્રધાન, ભારતીય પોલીસ અને ભારતીય ન્યાયતંત્રને ઠેસ પહોંચાડી છે અને કરોડો ભારતીયોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. અમે રમખાણો અને તેમાં જે જાનહાનિ થઈ તેની ​​ટીકા કરીએ છીએ અને અમે તમારા પક્ષપાતી રિપોર્ટિંગની પણ ટીકા કરીએ છીએ.

તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે ૨૦૦૨ના ગુજરાત રમખાણોને લઈને એક સમિતિની પણ રચના કરી હતી. સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે, રમખાણોમાં નરેન્દ્ર મોદીનો કોઈ હાથ નહોતો. આ કેસમાં રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે પીએમ મોદીને ક્લીનચીટ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.