Abtak Media Google News

ખેડૂતો, કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ‘સાત પગલા કૃષિ કલ્યાણ યોજના’નું લોન્ચીંગ કરતા મુખ્યમંત્રી

ત્રણ માસમાં ખેડૂતો પોતાના જ ગોડાઉનમાં ૨.૩૨ લાખ ટન અનાજ સંગ્રહ કરી શકશે: ખેડૂતો પોતાના વાહન દ્વારા ખેત ઉત્પાદન બજારમાં વેચવા જઇ શકશે

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટેની પ્રતિબદ્ધતા સાથે સાત પગલાં કૃષિ કલ્યાણના યોજનાનો ઇ શુભારંભ કરાવતાં સ્પષ્ટ નિર્ધાર વ્યકત કર્યો કે આ સાત પગલાંના પાયાથી સર્વગ્રાહી વિકાસની હરણફાળ ભરવી છે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, રાજ્યના સંતુલિત વિકાસ માટે એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી, સર્વિસ સેકટર સહિતના ગ્રોથમાં નવા સંશાધનો અને આધુનિક ખેતી પદ્ધતિ સાથે ગુજરાત વિકાસનું આગવું રોલ મોડેલ બન્યું છે.  મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઉપક્રમે રાજ્યભરના ૩૩ જિલ્લાના ૮૦ સ્થાનોએ આયોજિત સાત પગલાં કૃષિ કલ્યાણના યોજનાનું ઇ-લોન્ચીંગ ગાંધીનગરથી કર્યુ હતું.

આ યોજના અંતર્ગત કૃષિ-ખેતીવાડી અને ધરતીપુત્રોના આર્થિક ઉત્થાન સાથે નવિન પાક ઉત્પાદન, પાક સંગ્રહ, નાના-સિમાંત ખેડૂતોને અદ્યતન ઓજારો વિતરણ, ગાય આધારિત ખેતી, કિસાન પરિવહન યોજના અને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના એમ કિસાન હિતલક્ષી સાત પગલાંઓ આવરી લેવાયા છે.

મુખ્યમંત્રીએ આ પગલાંઓ પૈકીના મહત્વપૂર્ણ બે કદમ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન) યોજના તેમજ કિસાન પરિવહન યોજનાનો આજે પ્રારંભ કરાવ્યો હતો.  સમગ્ર રાજ્યમાં આ અન્વયે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનામાં ખેડૂતને આવા ગોડાઉન સ્ટ્રકચર માટે ત્રીસ હજાર રૂપિયાની મહત્તમ સહાય સરકાર આપે છે.  કિસાન પરિવહન યોજનામાં ખેડૂત પોતાના ઉત્પાદનો અન્ય બજારોમાં સરળતાએ પહોચાડી વધુ આવક રળી શકે તેવી નેમ રાખવામાં આવી છે. ખેડૂતને આ યોજનામાં વધુમાં વધુ રૂ. ૭પ હજારની સહાય સરકાર નાના વાહન ખરીદવા આપે છે.રાજ્યમાં ૧ લાખ ૧૬ હજાર કિસાનોને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનાનો તેમજ ૮૪૦૦ ખેડુતોને કિસાન પરિવહન યોજનાનો લાભ આપીને એક જ દિવસમાં રાજ્ય સરકારે ૧ લાખ રપ હજાર ધરતીપુત્રોને રૂ. ૪૦૦ કરોડની સહાય ચૂકવી છે. આ સહાયના પરિણામ સ્વરૂપે આગામી ત્રણ મહિનામાં રાજ્યના ખેડૂતના પોતાના ગોડાઉનમાં ર લાખ ૩ર હજાર ટન અનાજની સંગ્રહશકિત વધશે તેમજ પાક બગાડ અટકાવી શકાશે.

એટલું જ નહિ, કિસાન પરિવહન સહાય યોજના તહેત ખેડૂત પોતાના નાના વાહન દ્વારા ખેત ઉત્પાદનો બજારમાં વેચીને આર્થિક સમૃદ્ધિ તરફ વળી શકશે.  વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરમાં પ્રતિકરૂપે પાંચ લાભાર્થીઓને આવી સહાયના ચેક વિતરણ કર્યા હતા.તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, આ સરકાર ખેડૂત, ગામડું, ગરીબ, પીડિત, શોષિતના હિતોને વરેલી સરકાર છે. જે કહેવું તે કરવું એવી કાર્યસંસ્કૃતિ અમે વિકસાવીને હર મુશ્કેલ સમયે ખેડૂતોની પડખે ઊભા રહ્યા છીયે. અમે ખેડૂતોના નામે મગરના આંસુ સારનારા કે રાજકારણના આટાપાટા ખેલનારા નથી.

તેમણે ઉમેર્યુ કે, ભૂતકાળમાં કોંગ્રેસના શાસનોમાં ખેડૂતોને પાક વીમા માટે આંદોલનો કરવા પડતા અને ગોળીઓથી વિંધાવુ પડતું. એટલું જ નહિ, ૧૮ ટકા જેવા ઊંચા વ્યાજે ધિરાણ લઇ ખેડૂત દેવાના ખપ્પરમાં બરબાદ થઇ જતો. ટેકાના ભાવે ખરીદી પણ થતી નહિ અને ખેડૂત બાપડો-બિચારો હતો.

વીજ જોડાણો હોય કે યુરિયા ખાતર હોય ખેડૂતોએ ભૂતકાળમાં લાંબા સમય સુધી રાહ જોવી પડતી એવી સ્થિતીનું છેલ્લા બે દશકામાં ભારતીય જનતા પાર્ટીની સરકારોએ નિવારણ લાવી દીધું છે એમ તેમણે ગૌરવ સાથે ઉમેર્યુ હતું. હવે, ખેડૂતને સમયસર ખાતર અને ૮ થી ૧૦ કલાક વીજળી મળે છે-આવનારા દિવસોમાં દિનકર યોજનાથી દિવસે વીજળી આપવાની નેમ તેમણે દર્શાવી હતી. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, આ સરકારે ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે લોન આપી છે. ૧પ હજાર કરોડ રૂપિયાની ટેકાના ભાવે ખરીદી કરીને જગતના તાતના બાવડામાં બળ પૂર્યુ છે. હવે, સાત પગલાં કૃષિ કલ્યાણના યોજનાથી એ ખેડૂતને જગત આખાની ભૂખ ભાંગી શકવા સક્ષમ બનાવવો છે.

વિજયભાઇ રૂપાણીએ હર ખેત કો પાની હર હાથ કો કામની વિભાવના સાકાર કરતાં સૌરાષ્ટ્રના ૧૧પ જળાશયોમાં સૌની યોજના દ્વારા નર્મદા જળ અને ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના દ્વારા સૂકી ધરાને પાણ હરિયાળી બનાવી વિપૂલ પાક લઇ ખેડૂતને દાડમ-બટાકા જેવી ખેતીથી ડોલર રળતો કરવાની પણ મનસા વ્યકત કરી હતી. મુખ્યમંત્રીએ તાજેતરમાં થયેલા વરસાદને પરિણામે ખરીફ પાકને થયેલા નૂકશાન સામે રાજ્ય સરકાર ખેડૂતની પડખે ઊભી છે તેવો વિશ્વાસ આપતાં કહ્યું કે નૂકશાનીનો સર્વે સરકાર કરાવી રહી છે અને તેના આધારે ધરતીપુત્રોને નૂકશાની વળતર સહાય ત્વરાએ આપી દઇશું.

મુખ્યમંત્રીએ પાક સંગ્રહ યોજનામાં સહાય મેળવનારા ખેડૂતો હવે પોતાના ઉત્પાદનો યોગ્ય રીતે જાળવી-સંગ્રહીને તેના પોષણક્ષમ ભાવો મેળવી શકશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી.

કિસાન પરિવહન યોજનાના લાભાર્થીઓ પોતાના ખેત ઉત્પાદનો હવે જાતે જ અન્ય બજારોમાં લે-વેચ માટે લઇ જઇને આત્મનિર્ભર ભારત-આત્મનિર્ભર ગુજરાતને સાકાર કરશે એમ પણ તેમણે લાભાર્થીઓને શુભેચ્છાઓ આપતાં ઉમેર્યુ હતું.

કૃષિ રાજ્યમંત્રી  જયદ્રથસિંહ પરમારે સ્વાગત પ્રવચનમાં આ યોજનાની છણાવટ કરી મુખ્યમંત્રીની કિસાન હિતલક્ષી સંવેદનાની ભૂમિકા આપી હતી. કૃષિ સચિવ  મનિષ ભારદ્વાજ ગાંધીનગરથી આ ઇ-શુભારંભમાં જોડાયા હતા. રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, બોર્ડ નિગમોના અધ્યક્ષો, સાંસદો અને પદાધિકારીઓ ૩૩ જિલ્લા મથકોએ ૮૦ જેટલા સ્થળોએ આયોજિત સમારોહમાં સહભાગી થયા હતા.

546

રાજકોટ: ગાંધીનગરથી વીડિયો કોંફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ  જસદણ એ.પી.એમ.સી. ખાતે સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે અન્ન અને  નાગરિક પુરવઠા મંત્રી  જયેશભાઈ રાદડીયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ખેડૂતોને પાકને પિયત આપવા માટે રાત ઉજાગરા ન કરવા પડે  તે માટે રાજ્ય સરકાર દિનકર યોજનાનો શુભારંભ કરવામાં આવશે. આ યોજનાના અમલીકરણથી ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે. ઉપરાત  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે ખેડુતો  પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે જીવામૃત બનાવવાની સહાય યોજના અને ગૌ વંશના સંરક્ષણ  માટે માસિક રૂ.૯૦૦ની સહાયની યોજનાનો પ્રારંભ કરવામાં આવશે.

Dsc 0315

જામનગર: ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગત આજે બે પગલાં મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરી વિડીયો કોન્ફરન્સના માધ્યમ થી આ યોજનાનું લોકાર્પણ કર્યું હતું. જામનગર ખાતે યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ છ તાલુકાઓને ત્રણ તાલુકાઓના ક્લસ્ટરમાં બે તબક્કામાં યોજવામાં આવ્યો હતો. જેમાં સવારના સમયે કાલાવાડ એ.પી.એમ.સી અને બપોરના સમયે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિ,ગ્રામીણ વિકાસ અને માર્ગ પરિવહન મંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષ સ્થાને આ સંપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં કાલાવડ ખાતે જામજોધપુર, કાલાવડ અને લાલપુર તાલુકાના તેમજ હાપા ખાતે જામનગર, ધ્રોલ અને જોડિયા તાલુકાના ખેડૂતોને આ યોજના અંતર્ગત મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાના ૩૪ લાભાર્થીઓને સ્ટેજ પરથી મંજૂરીપત્રો અને મુખ્યમંત્રીના શુભેચ્છા સંદેશના પત્રો એનાયત કરાયા હતા. જામનગર જિલ્લાના કુલ ૨૦૦ ખેડૂતોને આ યોજના અંતર્ગત મંજૂરીપત્રો એનાયતા કરવામાં આવ્યા છે.

ખેડુતોના સર્વાંગી વિકાસ માટે સાત પગલા ખેડુત કલ્યાણના સૂત્રને સાચા અર્થમાં સાકાર કરવા રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે, આવી વાત આજે ગિર સોમનાથ જિલ્લાનાં પ્રાંચી અને ઉના ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્ય બીજ નિગમનાં ચેરમેન રાજશીભાઇ જોટવાની ઉપસ્થિતીમાં ખેડુતોને સાત પગલાં કૃષિ કલ્યાણના યોજનાની જાણકારી આપતી વેળાએ કૃષિ તજજ્ઞોએ કહ્યા હતા.

વેરાવળ: ગિર સોમનાથ જિલ્લામાં ઉના સહિત ત્રણ તાલુકાનાં ધરતીપુત્રોને ૭૧૩.૪૦ લાખનાં ખર્ચે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન) યોજનાનાં ૨૩૭૮ તેમજ ૧૦૫.૬૦ લાખની સહાય સાથે કિસાન પરિવહન યોજનાનાં ૧૭૬ મંજુરીપત્રો એનાયત કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત ધરતી પુત્રોને સંબોધતા બીજ નિગમનાં અધ્યક્ષ રાજશીભાઇ જોટવાએ જણાવ્યુ હતુ કે  રાજ્યના ખેડુતોના સર્વાંગી વિકાસ માટે “સાત પગલાં ખેડૂત કલ્યાણના.’ સૂત્રને સાચા અર્થમાં સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.