Abtak Media Google News
અગાઉ ટોચ મર્યાદા ધારા હેઠળ બે ભાઈઓની 730 એકર જમીન સરકારશ્રી થઈ હતી, તેમ છતાં ચોટીલા મામલતદારે એક આસામીનું સાટાખત ગ્રાહ્ય રાખી ખાનગી ઠેરવી દીધી હતી
બામણબોર રાજકોટ જિલ્લામાં ભળ્યા બાદ કેસ શંકાસ્પદ લાગતા કલેક્ટરે રિવિઝનમાં લીધો હતો, લાંબી સુનાવણી બાદ કલેક્ટર અરૂણ મહેશ બાબુએ ચુકાદો જાહેર કર્યો

બામણબોરમાં 730 એકર 34 ગુંઠા સરકારી જમીન આજથી 4વર્ષ પહેલાં તત્કાલીન મામલતદારે કલમના એક જ ઝાટકે ખાનગી માલિકીની ઠરાવી દીધી હતી. આ વિસ્તાર સુરેન્દ્રનગર જિલ્લામાંથી રાજકોટ જિલ્લામાં ભળી ગયા બાદ આ શંકાસ્પદ કરતૂતનો ભાંડાફોડ થયો છે અને કલેકટરે મામલતદારનો એ હુકમ રિવિઝનમાં લીધો હતો. આજે જિલ્લા કલેક્ટરે આ તમામ જમીન શ્રી સરકાર કરવાનો ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો છે.

બામણબોરના સર્વે નંબર 47માં આવેલી ખેતીની જમીન પૈકી ખાતેદાર સાતાભાઈ ભાણાભાઈની 364 એકર 31 ગુંઠા તથા દાનાભાઈ ભાણાભાઈની 364 એકર 11 ગુંઠા જમીન ફાજલ ગણીને 1981માં જ સરકારી જમીન તરીકેની નોંધો ગામ દફતરે પાડી દેવામાં આવી હતી. ત્યાર થી કુલ 730 એકરથી વધુ આ જમીન સરકારી જ હતી તેમજ છેક મહેસુલ પંચ સુધી ચાલેલા કેસોમાં અરજદારોની અપીલો પણ નામંજૂર રહી હતી. ત્યારબાદ છેક વર્ષ 2016માં કોઈ ત્રાહિત મહિલા જમીન પોતાની હોવાના દાવા સાથે હાઈકોર્ટમાં ગયા પરંતુ અગાઉની કાર્યવાહીની જાણ કરવામાં ન આવી હોવાથી તેમને સાંભળવાનો હુકમ થયો. તેમને પક્ષકાર ગણવા સંબંધી સુનવણી થતી હતી એ જ તબક્કે ચોટીલા મામલતદાર કમ કૃષિપંચે એ મહિલાનાં ખાતે જમીન ચડાવી દેવા હુકમ કરી દીધો.

વર્ષ 2018નાં મે માસમાં આ વિસ્તાર રાજકોટ જિલ્લામાં ભળી ગયા પછી જમીન દફતર સુરેન્દ્રનગરથી રાજકોટ મોકલાયું, જેની ચકાસણી વખતે રાજકોટ તાલુકા મામલતદારને આ વ્યવહાર શંકાસ્પદ જણાતા તેમણે કલેકટરનું ધ્યાન દોર્યું હતું, જેને અનુલક્ષીને સુરેન્દ્રનગર મહેસુલ તંત્ર પાસેથી કેસની ફાઈલો મગાવાઈ હતી, પણ વિગતો મોડે-મોડે અને અપૂરતી મળી એમ રાજકોટના મહેસુલ તંત્રમાંનાં સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. જો કે, ચારે’ક મહિનાથી બંને કેસનો અભ્યાસ કર્યા બાદ અંતે 2017ના ચોટીલા મામલતદારના એ હુકમને રિવિઝનમાં લઈ લેવામાં આવ્યો હતો. એ હુકમો ચોટીલાના નાયબ મામલતદાર જી.આર.ધાડવીએ કર્યા હતાં, જે તે વખતે તાલુકા મામલતદાર તરીકે ચાર્જમાં હતા.

બામણબોર જીવાપરની અન્ય મહામૂલી જમીનના એક કેસમાં પણ તેની સંડોવણી ખૂલતાં એ.સી.બી. દ્વારા તેના વિરૂધ્ધ કાર્યવાહી થઈ ચૂકી છે. એ જમીનના ખરીદારો પૈકી અમૂક પરિવારજનો આ કેસમાં પણ ઝળકયાની તંત્રને આશંકા હતી. સરકારી જમીન 2017માં ખાનગી ઠરાવી દેવાયા બાદ અત્યાર સુધીમાં 17 આસામીને ઉતરોત્તર વેચાણ પણ થઈ ચુક્યું છે. પરંતુ રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ તે હુકમ રેકર્ડથી વિપરિત તથા ગેરકાયદે ગણીને રિવિઝનમાં લીધો તે સાથે જ 17 આસામીના નામે પડી ગયેલી નોંધો (નંબર 1864થી 1880) પણ રિવિઝનમાં લઈ રદ્ કરવા કારણદર્શક નોટિસ તથા મનાઈ હુકમ ઈશ્યુ કર્યા હતા. આ કેસમાં સુનાવણી હાથ ધરી હતી. લાંબી સુનાવણી ચાલ્યા બાદ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ તમામ જમીમ શ્રી સરકાર કરવાનો ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે ખરીદારો તરીકે કે પડદા પાછળ રાજકીય વગદાર સહિત કેટલાંક મોટાં માંથા પણ સામેલ હોવાનું ચર્ચાય છે. હાલ ત્યાં જમીનના એકર દીઠ બજારભાવ રૂા 50 લાખ ગણાય છે. નજીકમાં જ હીરાસ ઈન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનવા લાગ્યું હોવાથી આ જમીનનાં ભાવ વધી જતાં હાલ તેની અંદાજિત કિંમત રૂા 300 કરોડ જેવી આંકવામાં આવે છે.

11થી 17 ઓગસ્ટ હર ઘર તિરંગા અભિયાન ચલાવાશે
Screenshot 11 1
કેન્દ્ર સરકારે આ વખતનો સ્વતંત્રતા દિવસ કઈક ખાસ અંદાજમાં મનાવવાનો નિર્ણય કર્યો છે. આ વખતે કેન્દ્ર સરકાર 15 ઓગષ્ટ સંદર્ભે હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવાની છે, આ પહેલ દેશને સ્વતંત્ર થયાને 75 વર્ષ થયા અને આ વખતે સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહી છે, જે હેઠળ આ અભિયાનને ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત 11થી 17 ઓગસ્ટ દરમિયાન રાજકોટ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવનાર છે. આ દરમિયાન તમામ જિલ્લા વાસીઓને ઘરે તિરંગો લહેરાવવા જિલ્લા કલેક્ટરે અપીલ કરી છે.

પીપરડી જીઆઇડીસી માટે 25 હેકટર જમીનની ફાળવણી

સૌરાષ્ટ્રનું પાટનગર અને ઇન્ડસ્ટ્રીયલ હબ ગણાતા રાજકોટની ભાગોળે વધુ એક જીઆઇડીસી લોધિકાના પીપરડીમાં છે. રાજકોટ શહેરની મધ્યે અનેક નાની-મોટી ઔદ્યોગિક વસાહત છે. એ ઉપરાંત ભાગોળે મેટોડા, શાપર-વેરાવળ, આજી જીઆઇડીસી બાદ વધુ એક જીઆઇડીસી મળવાની છે. સ્થળ પસંદગી માટે લાંબી કવાયત કરાયા બાદ નવી જીઆઇડીસી માટે કલેક્ટર તંત્રએ 25 હેકટર જમીન ફાળવી છે. સર્વે નંબર 285માં 12 હેકટર અને સર્વે નંબર 288માં 13 હેકટર જમીન એમ કુલ 25 હેકટર જમીનનો કબજો જીઆઇડીસીને આપવામાં આવ્યો છે.

ધોરાજીમાં સ્ટેટ આઈબીની ઓફિસ માટે જગ્યા ફાળવાઈ

ધોરાજીમાં સ્ટેટ આઈબીની ઓફિસ બનવાની છે. આ માટે જિલ્લા કલેક્ટર સમક્ષ જગ્યા ફાળવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જે સંદર્ભે ઉપરી મંજુરી લઈને જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા ધોરાજીમાં 1000 ચો.મી. જમીન સ્ટેટ આઈબીની ઓફિસ બનાવવા માટે ફાળવી છે.

4 સબ સ્ટેશનો માટે પીજીવીસીએલને 16 હજાર ચો.મી. જગ્યા અપાઈ

પીજીવીસીએલ દ્વારા પડધરી, રાજકોટ, જસદણ અને લોધિકામાં 66 કેવીના સબ સ્ટેશનો બનાવવા માટે જગ્યા ફાળવવા જિલ્લા કલેક્ટરમેં દરખાસ્ત કરી હતી. આ સંદર્ભે જિલ્લા કલેક્ટરે ચારેય તાલુકાઓમાં 66 કેવીના સબ સ્ટેશનો બનાવવા માટે 16 હજાર ચો.મી. જગ્યા પીજીવીસીએલને ફાળવી છે.

ઇમિટેશન જવેલરી પાર્ક માટે 2 લાખ સ્કવેર મીટર જગ્યાની માંગણી

રાજકોટ ઇમિટેશન જવેલરીનું હબ હોય માટે અહીં ઇમિટેશન જવેલરી પાર્ક બને તો આ ઉદ્યોગનો વિકાસ ઝડપી થાય તેમ છે. માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાજકોટમાં ઇમિટેશન જવેલરી પાર્ક માટે 2 લાખ સ્કવેર મીટર જગ્યા ફાળવવાની માંગણી કરી છે. આ માંગણી જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ઉપરી કક્ષાએ મોકલવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ ઇમિટેશન જવેલરી પાર્કના 40 ટકા ભાગમાં હોટેલ, રેસ્ટોરન્ટ અને હોલ બનાવવાની ચેમ્બર ઓફ કોમર્સે ઈચ્છા વ્યક્ત કરી છે.

લોકમેળાના નામ માટે લોકો પાસેથી સૂચન મંગાવાયા

જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા બે વર્ષ બાદ રેસકોર્સના મેદાનમાં જન્માષ્ટમીના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ મેળાની તૈયારીઓ હાલ પુરજોશમાં ચલાવવામાં આવી રહી છે. વર્ષોની પ્રથા મુજબ લોકમેળાનું નામ લોકો જ નક્કી કરે છે. જે મુજબ આ વર્ષે પણ લોકો પાસેથી મેળાના નામના સજેશન મંગાવવામાં આવ્યા છે. આ સજેશનમાંથી સમિતિ દ્વારા કોઈ એક નામ પસંદ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.