Abtak Media Google News

રાજકોટના કુવાડવા ગામની ચાર દિવસથી લાપતા મહિલાની ગુંદા ગામની સીમમાંથી કોહવાયેલી લાશ મળી આવતા તેમને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. જેમાં રિપોર્ટમાં મહિલાને પથ્થરના ઘા ઝીકી ઢીમ ઢાળી દીધાનું જાણવા મળ્યું હતું. પોલીસે દૃઢ શંકાના આધારે પતિની પૂછપરછ હાથધરી છે.

Advertisement

ઘર કંકાસમાં પતિએ જ મહિલાની હત્યા કરી હોવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના કુવાડવા ગામમાં રહેતા અને ખેતમજૂરી કરતા મૂળ પંચમહાલના મંજુબેન ભરતભાઇ વસાવા નામની 50 વર્ષની મહિલા ચાર દિવસ પહેલા ઘરેથી નિકળ્યા બાદ લાપતા થઈ જતા પરિવારજનોએ શોધખોળ બાદ કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.

તે દરમિયાન ગઈ કાલે સવારે ગુંદા ગામની સીમમાં આવેલા જાગનાથ ક્રિકેટ ગ્રાઉન્ડ તરફ એક અજાણી મહિલાની કોહવાયેલી લાશ પડી હોવાની જાણ સરપંચ સંજયભાઈ પીપળીયાને થતા તુરંત પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેથી પીઆઇ એન.એન.ચુડાસમા સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયા હતા.

પોલીસે મહિલાની ઓળખ કરાવ્યા બાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં મંજુબેનની પથ્થરના ઘા ઝીકી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે પોલીસે શંકાના દાયરામાં રહેલા મૃતક મંજુબેનના પતિ ભરત વસાવાની અટકાયત કરી તેની પૂછપરછ હાથધરી છે. ચાર દિવસથી લાપતા મહિલાની હત્યા થયા બાદ કુવાડવા પોલીસ સ્ટાફે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રાથમીક તપાસમાં ઘર કંકાસના કારણે પતિએ જ પત્નીનું ઢીમ ઢાળી દીધાની દૃઢ શંકા સેવાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.