Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, કહ્યું અમે કૃષિ જગતના હિતમાં ઉમદા આશયથી આ કાયદા લાવ્યા પરંતુ અમે તે ખેડૂતોને સંપૂર્ણ રીતે સમજાવી ન શક્યા

ગુરુનાનક જયંતીના પાવન અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનો સળગતો પ્રશ્ન ઉકેલ્યો છે. અંતે એક વર્ષ બાદ તેઓએ નવા ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચવાની સતાવર જાહેરાત કરી છે. તેઓએ આ જાહેરાત રાષ્ટ્રજોગ સંબોધનમાં કરી છે. જેમાં તેઓએ કહ્યું કે અમે કૃષિ જગતના હિતમાં ઉમદા આશયથી આ કાયદા લાવ્યા પરંતુ અમે તે ખેડૂતોને સંપૂર્ણ રીતે સમજાવી ન શક્યા.

Advertisement

પ્રકાશના પર્વની શુભકામનાઓ સાથે શરૂઆત કરી મોદીએ સંબોધન કરતાં કહ્યું, મારા વ્હાલા દેશવાસીઓ, આજે દેવ દિવાળીનો પવિત્ર તહેવાર છે. આજે ગુરુ નાનક જયંતિનો પવિત્ર તહેવાર પણ છે. હું વિશ્વના તમામ લોકોને અને તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું.

દોઢ વર્ષ બાદ કરતારપુર સાહિબ કોરિડોર ફરી ખુલ્યો તે પણ ખૂબ જ આનંદદાયક છે. ગુરુનાનકદેવજી એ કહ્યું છે કે સંસારમાં સેવાનો મર અપનાવવાથી જ જીવન સફળ થાય છે.અમારી સરકાર આ જ સેવા ભાવનાઓ સાથે દેશવાસીઓના જીવનને સરળ બનાવવા માટે કાર્યરત છે. ન જાણે કેટલી પેઢીઓ સપના સાકાર થતા જોવા માંગતી હતી. ભારત તેને સાકાર કરવા પ્રયાસ કરી રહ્યું છે. તેઓએ કહ્યું કે મેં ખેડૂતોના પડકારોને બારીકાઈથી જોયા છે.

આંદોલન હજુ પાછું નહીં ખેંચાય…. વાંચો શું કહી રહ્યા છે ખેડૂત નેતા

નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમે ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપી છે. આવું કહીને મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી હતી. છેલ્લા એક વર્ષથી ત્રણેય નવા કૃષિ કાયદા સામે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આ આંદોલને હિંસક સ્વરૂપો પણ ધારણ કર્યા હતા. હવે કેન્દ્ર સરકારે આ ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચી લીધા છે. મોદીએ આ અંગે કહ્યું કે સરકાર સારા ઈરાદા સાથે ત્રણેય કૃષિ કાયદા લાવી હતી. પરંતુ આ વાત અમે ખેડૂતોને સમજાવી શક્યા નહીં. જેથી હવે આ કાયદાઓ પરત ખેંચવામાં આવે છે.

પીએમ મોદીએ કહ્યું, ખેતીને સુધારવા માટે ત્રણ કાયદા લાવવામાં આવ્યા હતા. જેથી નાના ખેડૂતોને વધુ પાવર મળે. વર્ષોથી આ માંગ દેશના ખેડૂતો અને નિષ્ણાંતો,  અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહી હતી.

જ્યારે આ કાયદાઓ લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. દેશના ખેડૂતો અને સંગઠનોએ તેનું સ્વાગત કર્યું, સમર્થન કર્યું. હું બધાનો ખૂબ જ આભારી છું. અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે. આ માટે દેશના કૃષિ જગતના હિતમાં, ગામડાના, ગરીબોના હિતમાં, સંપૂર્ણ સહયોગ સાથે, ઉમદા આશયથી આ કાયદો લાવવામાં આવ્યો હતો. પરંતુ અમે ખેડૂતોના હિત માટેની વાત કેટલાક ખેડૂતોને સંપૂર્ણ રીતે સમજાવી શક્યા નથી.

તેમ છતાં ખેડૂતોનો એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો હતો. અમે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો.આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો. પીએમ મોદીએ કહ્યું, અમે કૃષિ કાયદાને પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. તેમજ પીએમ મોદીએ ખેડૂતોને અપીલ કરી હતી કે, તમે તમારા ઘરે, ખેતરમાં પાછા ફરો પરિવાર વચ્ચે પરત ફરો અને એક નવી શરૂઆત કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.