Abtak Media Google News

૨૫ લાખ અથવા તેનાથી ઓછી થાપણ અને વિલંબ થયાનાં ૬૦ દિવસથી ઓછા દિવસો હોય તો તે કરદાતાઓને પ્રોસીકયુશનમાં નહીં લેવામાં આવે

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ દ્વારા ટીડીએસ અને આઈ.ટી. રીટર્ન ફાઈલીંગમાં જે થાપણ જમા કરાવવા માટે વિલંબ કરવામાં આવ્યો હોય અને  જમા કરાવવાનાં ૬૦ દિવસથી ઓછા દિવસો હોય તો તે કરદાતાઓને પ્રોસીકયુશનમાં નહીં લેવામાં આવે તેવો સીબીડીટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. કરવેરા વળતરમાં આવકનું અંડર રીપોર્ટીંગ અથવા આઈ.ટી. રીટર્ન ભર્યા ન હોય તે માટે કરદાતાઓ સામે કાર્યવાહી કરવાથી સંબંધિત ઘણા ખરા ધોરણોને હળવા કરવામાં આવ્યા છે. સીબીડીટી દ્વારા જાહેર કરવામાં આવેલા પરીપત્રમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ટીડીએસ ન ભરનાર કરદાતાઓનાં સંદર્ભમાં કાર્યવાહી આગળ વધારવા માટે મર્યાદા અને સમયગાળો નકકી કરવામાં આવ્યો છે. પરીપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ટીડીએસની ચુકવણી ન થાય તેવા કેસો રૂા.૨૫ લાખ અથવા તેથી ઓછી હોય તેવા થાપણમાં વિલંબ થવાની તારીખથી ૬૦ દિવસથી ઓછી હોય તો સામાન્ય સંજોગોમાં આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે.

આવકવેરા વિભાગનાં બે વરીષ્ઠ અધિકારીઓની પેનલ દ્વારા આ અંગેનો નિર્ણય લેવામાં આવશે અને જો સામાન્ય સંજોગોમાં કરદાતા સીબીડીટી દ્વારા જાહેર કરેલા પરીપત્રને આધીન નહીં હોય તો તેનાં પર યોગ્ય કાર્યવાહી કરાશે ત્યારે એ વાત સ્પષ્ટ થાય છે કે, જેન્યુન કરદાતા માટે આવકવેરા વિભાગે મોટી રાહત આપી હોય તેવું લાગી રહ્યું છે. જેનું કારણ એ છે કે, આવકવેરા વિભાગ સાથે ચેડા કરતા ઘણા કરદાતાઓ છે પરંતુ તેનાં કારણોસર યોગ્ય રીતે તેનો કર ભરતા કરદાતાઓને ઘણી ખરી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કોઈક વાર ખરાઅર્થમાં કરદાતાઓની આર્થિક સ્થિતિ લથડી ગઈ હોવા છતાં આવકવેરા વિભાગ દ્વારા તેનાં પર ધોસ બોલાવવામાં આવતી હોય છે.  દેશનાં નાણામંત્રી નિર્મલા સીતારામને જેન્યુન કરદાતાઓને રાહત આપતા અધિકારીઓને તાકિદ કરી છે કે, કરદાતાઓ ઉપર બિનજરૂરી દબાવ નાખવામાં ન આવે જો કરદાતા યોગ્ય રીતે તેનો કર નહીં ભરે તો દેશની અર્થવ્યવસ્થાને માઠી અસર પહોંચશે કારણકે હાલ દેશ તરલતાનાં અભાવનો સામનો કરી રહ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારામને ગત માસમાં ટવીટ કરતા જણાવ્યું હતું કે, તેઓએ મહેસુલ સચિવને સુચના આપી છે કે, પ્રામાણિક કરદાતાઓને કોઈપણ  સંજોગોમાં હેરાન ન કરવામાં આવે. નાના અથવા કાર્યવાહીગત ઉલ્લંઘન કરતા કરદાતાઓને યોગ્ય પગલા લેવા જોઈએ તે પણ સુનિશ્ર્ચિત કર્યું છે.

બોમ્બે ચાર્ટડ એકાઉન્ટન્ટ સોસાયટીમાં કરવેરા સમિતિનાં અધ્યક્ષ અમિત પટેલે જણાવ્યું છે કે, સીબીડીટી દ્વારા ૧૯૮૦નાં અધિનિયમ મુજબ ટીડીએસ જમા કરવામાં વિલંબ થયો હોય અને તેનો સમયગાળો જો એક વર્ષ કરતા ઓછો હોય તો તે કેસોમાં કાર્યવાહી શરૂ ન કરવાની પણ સુચના આપવામાં આવી હતી. ઓગસ્ટ-૨૦૧૩માં આ મુદતને પાછી ખેચી લેવામાં આવી હતી અને હવે બે મહિનાની છુટ આપવામાં આવી છે જે યોગ્ય દિશામાં પગલું હોવાનું માનવામાં આવી રહ્યું છે. કરદાતા ઉપર કાર્યવાહી શરૂ કરવા માટે ૨૫ લાખ ઉપરની થ્રેસ હોલ્ડ કરવાથી ઘણા કરદાતાઓ ખાસ કરીને નાના અને મધ્યમ ઉધોગ સાથે સંકળાયેલા ઉધોગોને મદદ મળશે. દેશના અર્થતંત્રને બેઠું કરવા માટે હાલ દેશમાં તરલતાનો મુખ્ય મુદ્દો સામે આવી રહ્યો છે. જો તરલતા નહીં વધે તો દેશને ઘણી નુકસાનીનો સામનો કરવો પડશે ત્યારે ઇન્કમટેક્સ અને જીએસટીમાં કરદાતાઓ પાસેથી આવક અને કર વસૂલવા માટે જે રીતે ડાયરેક્ટ ટેક્સ અને ઇન્ડાયરેક્ટ ટેક્સ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે તેનાથી કરદાતાઓ ઘણાખરા અંશે નાસીપાસ થતા હોય તેવુ લાગે છે અને જે યોગ્ય કરની ભરપાઇ થવી જોઇએ તે થતી નથી ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સરકારી બાબુઓને પણ તાકીદ કરી છે અને જણાવ્યું છે કે જે જેન્યૂન કરદાતાઓ છે તેના પર કોઇપણ પ્રકારની જબરદસ્તી કરવામાં ન આવે. જેથી સરકાર દ્વારા જે ખરા અર્થમાં કરદાતા તેનો કર ભરે છે તેમના માટે રાહતનો પટારો ખોલવામાં આવ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.