Abtak Media Google News

ફેસબુકની માલિકીની ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પર ગેરકાયદે અને ઉશ્કેરણીજનક મેસેજ મોકલનારા મૂળ સોર્સને ઓળખવાનું દબાણ છે. એવામાં ગુરુવારે વોટ્સેપ તરફથી કહેવામાં આવ્યું છે કે, તેમણે 15 મેથી 15 જૂન 2021 સુધીમાં ભારતમાં 20 લાખથી વધુ યૂઝર્સ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમની ’હાનિકારક વર્તણૂંક’ને જોતા આ નિર્ણય લેવાયો હતો. વોટ્સએપ પર આવતાં ફેક અને વાયરલ મેસેજોના કારણે લિંચિંગ અને અન્ય ગુના બન્યા હોવાનો આરોપ સરકાર ઘણી વખત મૂકી છે, તેમ છતાં કંપની ગેરકાયદે મેસેજોનો પ્રથમ સોર્સ કોણ હતો તેની માહિતી ન આપવાના નિર્ણય પર અડગ છે.

20 લાખથી વધુ યૂઝર્સને પ્રતિબંધિત કરવા અંગે કંપનીએ કહ્યું કે, ટેક્નોલોજીકલ ટૂલ્સ અને યૂઝર ફીડબેકની મદદથી માહિતી એકઠી કરીને તેમણે આ પગલું ભર્યું હતું.ભારતમાં વોટ્સએપે મૂકેલો આ પ્રતિબંધ નોંધપાત્ર કહી શકાય કારણકે વિશ્વભરમાં હાનિકારક વર્તણૂંકના કારણે એક મહિનામાં કંપની જે રોક મૂકે છે, તેના એક ચતુર્થાંશ જેટલો છે. વોટ્સએપનો આ ખુલાસો નવા આઈટી રૂલ અંતર્ગતના મેન્ડેટનો ભાગ છે.

જોકે, કંપનીએ ટ્રેસેબિલિટી પ્રોવિઝનને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યું છે.આ મહિનાની શરૂઆતમાં અહેવાલ હતા કે ફેસબુકે સમાન સમયગાળા દરમિયાન 3.2 કરોડ યૂઝર્સની પોસ્ટને હટાવી હતી. સ્પેમથી લઈને એડલ્ટ ન્યૂડિટી, ધાક-ધમકીથી ડરાવવા અને પજવણી તેમજ હિંસક અને ગ્રાફિક ક્ધટેન્ટ જેવી પોસ્ટને દૂર કરવામાં આવી હતી. જોકે, બંને રિપોર્ટમાં સરકારી આદેશો અથવા રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવેલી વિનંતીને સેન્સર કરી કે કેમ તેની કોઈ માહિતી આપવામાં નથી આવી.વોટ્સએપના કહેવા અનુસાર, પોતાના પ્લેટફોર્મ પર ’હાનિકારક વર્તણૂંકને રોકવા’ માટે ટૂલ્સ અને રિસોર્સિસની ગોઠવણ કરી છે.

“અમે નિવારણ પર ધ્યાન કેંદ્રિત કરી રહ્યા છે કારણકે અમારું માનવું છે કે, હાનિકારક પ્રવૃત્તિ પહેલીવાર થાય ત્યારથી જ તેને અટકાવી જોઈએ નહીં કે નુકસાન થયા પછી પગલાં ભરવા જોઈએ. એક અકાઉન્ટની લાઈફસ્ટાઈલના ત્રણ તબક્કા- રજિસ્ટ્રેશન, મેસેજિંગ દરમિયાન અને નેગેટિવ ફિડબેકને કેવો રિસપોન્સ આપે છે તેના આધારે દુરુપયોગને ઓળખીએ છીએ. આ માહિતી અમને યૂઝર રિપોર્ટ્સ અને બ્લોકના સ્વરૂપે મળે છે.

“કંપનીએ કહ્યું કે, સમય જતાં અસરકારકતા વધારવા અને છેવાડાના કેસોનું મૂલ્યાંકન કરવા માટે ’વિશ્લેષકોની ટીમ આ સિસ્ટમોને વધારશે.’ જોકે, કંપનીએ આગ્રહપૂર્વક કહ્યું કે, પ્લેટફોર્મ પર પર્સન-ટુ-પર્સન (વ્યક્તિથી વ્યક્તિ) વાતચીત એન્ક્રિપ્ટેડ છે અને માટે જ પ્રાઈવેટ રહેશે.વોટ્સએપે કહ્યું, તેઓ ’યૂઝર ફીડબેકને ઝીણવટપૂર્વક’ જોવે છે, સાથે જ ખોટી માહિતીને ફેલાતી રોકવા, સાયબર સિક્યુરિટીને પ્રોત્સાહન આપવા અને ચૂંટણીની અખંડિતા જળવાઈ રહે તે માટે નિષ્ણાતોની પણ મદદ લે છે.

વોટ્સએપે કહ્યું, “એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સર્વિસમાં દુરુપયોગ નિવારણ અને તેની સામે લડવા અમે ઈન્ડસ્ટ્રી લીડર પૈકીના એક છીએ. ઉપરાંત અમારા સેફ્ટી ફીચર્સ અને કંટ્રોલ માટે અમે એન્જિનિયરો, ડેટા સાયન્ટિસ્ટ્સ, એનાલિસ્ટ, રિસર્ચરોની એક ટીમની નિમણૂક કરીએ છીએ. સાથે જ કાયદાના પાલન, ઓનલાઈન સેફ્ટી અને ટેક્નોલોજીકલ ડેવલપમેન્ટ બરાબર થાય છે કે નહીં તે જોવા નિષ્ણાતો રોકીએ છીએ.

વાંધાજનક ક્ધટેન્ટ અને કોન્ટેક્ટ એપની અંદરથી જ બ્લોક થઈ જાય તેવી સુવિધા અમે યૂઝર્સને આપી છે.” વોટ્સએપના કહેવા અનુસાર, આ પ્રતિબંધો ઉપરાંત કંપનીના ભારતમાં રહેલા ગ્રિવન્સ ઓફિસરને 345 યૂઝર્સ દ્વારા ફરિયાદ મળી છે. જેમાં અકાઉન્ટ અને પ્રોડક્ટ સપોર્ટ, સેફ્ટી અને પ્રતિબંધની અપીલનો પણ સમાવેશ થાય છે. 63 અપીલને કંપનીએ પલટાવી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.