Abtak Media Google News
  • 1130 મદરેસામાં ભણતરને લઈ ગેરરીતિની ફરિયાદો આવતા તંત્ર હરકતમાં
  • શું મદરેસામાં શિક્ષણના નામે લોલમલોલ?
  • મદરેસામાં જતા બાળકો સામાન્ય સ્કૂલોમાં અભ્યાસ કરતા ન હોવાની ફરિયાદો મળતા સર્વે કરવા શિક્ષણ વિભાગનો આદેશ: ડીઈઓ અને ડીપીઈઓ દ્વારા ટીમ બનાવી મદરેસામાં કરાશે ચકાસણી, મદરેસામાં અભ્યાસ કરતા બિન મુસ્લિમ બાળકોની વિગતો મેળવાશે

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ સમક્ષ મદરેસામાં અભ્યાસ કરતા બાળકોને લઈને ફરિયાદ મળ્યા બાદ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 1130 જેટલા મદરેસાઓનો સર્વે કરવા આદેશ કરાયો છે. મદરેસામાં ભણતા બાળકો સામાન્ય સ્કૂલોમાં અભ્યાસ કરતા ન હોવાથી સર્વેમાં વિગતો એકત્ર કરાશે. આ ઉપરાંત રાજ્યના મદરેસામાં અભ્યાસ કરતા બિન મુસ્લિમ બાળકોની વિગતો પણ મેળવવા માટે જણાવાયું છે. આ માટે ડીઈઓ અને ડીપીઈઓ  દ્વારા ટીમ બનાવી મદરેસામાં ભૌતિક ચકાસણી કરવામાં આવશે. સંભવત એક જ દિવસમાં મદરેસાઓનો સર્વે પૂર્ણ કરી તે અંગેનો અહેવાલ સુપરત કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નવી દિલ્હી ખાતેના રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ સમક્ષ રાજ્યના મદરેસાઓને લઈને ફરિયાદ મળી હતી. જેમાં રાજ્યના મદરેસાઓમાં ભણતા બાળકો સ્કૂલનો અભ્યાસ મેળવતા ન હોવાની ફરિયાદના પગલે રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખી મદરેસાઓનો સર્વે કરવા માટે આદેશ અપાયો હતો. જેના પગલે રાજ્યમાં આવેલા 1130 જેટલા મદરેસાઓની યાદી મોકલી તેમાં સર્વે કરવા માટે સૂચના આપવામાં આવી છે, ઉપરાંત જે મદરેસાઓ યાદીમાં નથી અને અસ્તિત્વ ધરાવે છે તેમને ત્યાં પણ તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા 7 મેના રોજ મુખ્ય સચિવને સંબોધીને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં રાજ્યમાં આવેલી સરકારી અનુદાનિત-માન્યતા પ્રાપ્ત મદરેસામાં ભણતા બિન-મુસ્લિમ બાળકો અંગે ભૌતિક ચકાસણી કરવા તેમજ અનમેપ્ડ મદરેસાઓના મેપિંગ કરવા બાબતે સૂચના આપવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં કાર્યરત મદરેસાઓની યાદી મેળવેલી છે. જેથી આ યાદી મુજબના મદરેસાઓનો સર્વે કરવા માટે રાજ્યના તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીને આદેશ આપવામાં આવ્યો છે.

આ મદરેસાઓમાં ભણતાં બાળકો સામાન્ય શાળાઓમાં શિક્ષણ મેળવે એ જરૂરી હોવાથી દરેક જિલ્લા શિક્ષણ અધિકારી અને દરેક પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ટીમ બનાવીને મદરેસાઓનો સર્વે કરવાનો રહેશે. સર્વે દરમિયાન મદરેસાઓની વિવિધ વિગતો એકત્ર કરીને ગુગલ શીટમાં અપલોડ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આ બાબતે તમામ કાર્યવાહી તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે પણ જણાવાયું છે. મોટાભાગે એક જ દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવા માટે આદેશ અપાયો હોવાનું જાણવા મળે છે. રાજ્યમાં આવેલા તમામ મદરેસાઓમાં એક સાથે સર્વે કરવામાં આવશે.

રાજકોટ જિલ્લામાં 4 મદરેસા, પાટણમાં સૌથી વધુ 180

રાજ્યમાં 1130 જેટલા મદરેસાની યાદી શિક્ષણ વિભાગને સુપરત કરવામાં આવી છે, જેનો સર્વે કરવામાં આવનાર છે. જોકે, આ સિવાય યાદીમાં ન હોય તેવા મદરેસાની પણ તપાસ કરવા માટે સૂચના અપાઈ છે, પરંતુ હાલમાં જે યાદી મોકલવામાં આવી છે, તેમાં સૌથી વધુ મદરેસા પાટણ જિલ્લામાં 180 જેટલા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ 175 જેટલા મદરેસા આવેલા છે અને અમદાવાદ ગ્રામ્યમાં 30 જેટલા મદરેસા છે. આમ, અમદાવાદ શહેર અને ગ્રામ્યના મળીને કુલ 205 જેટલા મદરેસા થાય છે. જ્યારે રાજકોટ જિલ્લામાં 4 મદરેસા છે. જેમાં એક શહેરમાં છે જ્યારે ત્રણ ગ્રામ્ય વિસ્તારોમાં છે. આ તમામ મદરેસામાં તપાસ કરી તે અંગેનો અહેવાલ સુપરત કરવામાં આવશે.

સર્વે દરમિયાન શું શું ચકાસણી કરાશે ?

મદરેસાનું સંચાલન કરનારનું નામ.

મદરેસાનું સંચાલન કરનાર સંસ્થાનું નામ.

મદરેસાને સરકારી એજન્સી દ્વારા માન્યતા મળેલી છે કેમ ?

મદરેસાના મકાનમાં ઓરડાની સંખ્યા, બીયુ, ફાયર એનઓસી.

મદરેસામાં અભ્યાસ માટેનો સમય.

મદરેસામાં અભ્યાસ કરાવતા શિક્ષકોની સંખ્યા અને તેમને ચૂકવાતો પગાર.

પગાર ચૂકવવાનો નાણાંનો સ્ત્રોત, દાન- વિદ્યાર્થી ફીની વિગત.

અભ્યાસ કરતા 6થી 14 વર્ષના બાળકોની સંખ્યા.

બાળકો અન્ય શાળામાં નિયમિત અભ્યાસ કરતા હોય તેની વિગત.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.