Abtak Media Google News

રાજ્યમાં કાર્ગો પરિવહનના મહત્વપૂર્ણ બંદર એવા નવલખી બંદર ખાતે 485 મીટરની લંબાઈની નવી જેટી 192 કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ પામશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ આ નવી જેટીના નિર્માણ માટે કરવામાં આવેલી 192 કરોડ રૂપિયાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. નવલખી સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું અને મીઠા, કોલસા તથા સિરામીક, મશીનરી ઉદ્યોગોના માલ-સામાન પરિવહન માટેનું અગત્યનું બંદર છે.

આ બંદરની વર્તમાન માલ-પરિવહન ક્ષમતા 8 મીલિયન મેટ્રીક ટન પ્રતિ વર્ષની છે. તેને ભવિષ્યમાં વધારીને 20 મિલિયન મેટ્રીક ટન પ્રતિવર્ષ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. ભારત સરકાર દ્વારા આ હેતુસર નવેમ્બર-20માં પર્યાવરણ અને CRZ મંજૂરીઓ પણ રાજ્ય સરકારને મળી ગઇ હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નવલખી બંદર પર 485 મીટરની જેટી નિર્માણના અંદાજિત 192 કરોડના કામોની જે મંજૂરી આપી છે, તેમાં 100 મીટર લંબાઇ જેટીના કોસ્ટલ કાર્ગો માટે ઉપયોગમાં લેવા મીકેનાઇઝ્ડ સિસ્ટમ સાથેના અંદાજિત 108 કરોડના ખર્ચે કામો હાથ ધરવામાં આવશે. આ સૂચિત 485 મીટરની લંબાઇની જેટીના કામો પૂર્ણ થતાં, નવલખી બંદરની માલ પરિવહન ક્ષમતા લગભગ 16 મીલીયન મેટ્રિક ટન પ્રતિવર્ષ થવા પામશે.

આ બંદરની વાર્ષિક માલ પરિવહન ક્ષમતામાં 8 મિલિયન મેટ્રિક ટનનો વધારો નોંધાશે. તદઅનુસાર 2.5 મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષ મીઠાનો વધુ કાર્ગો, 4.5 મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષ કોલસાનો વધારાનો કાર્ગો અને 1.0 મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષ સિરામીક, ચિનાઇ માટી તથા મશીનરી ઉદ્યોગો જેવા અન્ય વધારાના કાર્ગોના માલ પરિવહનનો અંદાજિત વધારો થશે.

આ માલ પરિવહન ક્ષમતામાં થનારા સંભવિત વધારાને પરિણામે રાજ્ય સરકારને પ્રતિવર્ષ લગભગ 50 કરોડની વધુ આવક થશે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ભારત સરકારની સાગરમાલા યોજના અન્વયે આ જેટીના કામો માટે 41.30 કરોડની સહાય મંજૂર કરવામાં આવેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.