Abtak Media Google News

જામનગરનાં લાલપુરથી ૧૯ કિલોમીટર દુર કેન્દ્રબિંદુ નોંધાયું

જામનગર જિલ્લામાં સતત હળવા ભુકંપના આંચકા નોંધાઈ રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે ૨.૩ની તિવ્રતાનો ભુકંપનો આંચકો જામનગરના લાલપુર ખાતે નોંધાયો હતો. ભારે વરસાદનાં કારણે ભુકંપનાં આંચકાનો સીલસીલો યથાવત રહ્યો છે.

વારંવાર આવતા ભુકંપના આંચકાનાં પગલે લોકોમાં ભુકંપનો ભય સતાવી રહ્યો છે.

સીસમોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ આજે વહેલી સવારે ૬:૫૬ કલાકે લાલપુરથી ૧૯ કિલોમીટર દુર ૨.૩ની તિવ્રતાનો ભુકંપનો આંચકો ઈસ્ટ નોર્થ ઈસ્ટ ખાતે નોંધાયો હતો જોકે તિવ્રતા સામાન્ય હોય કોઈ જાનહાનીનાં સમાચાર પ્રાપ્ત થયા નથી.

ફકત જામનગરમાં જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાં અને કચ્છમાં છેલ્લા એક માસથી તમામ ભાગોમાં ભુકંપનાં આંચકા વારંવાર અનુભવાયા છે. ઘણા મહિનાઓથી લોકો કોરોના વાયરસ, વરસાદ અને સાથે આવી રહેલા ભુકંપથી ડરવા લાગ્યા છે.

આપણે જણાવી દઈએ કે ધરતીની અંદરની પ્લેટોની ટકકર થાય છે ત્યારે ભુકંપ આવી છે. ધરતીની અંદર ૭ પ્લેટો છે જે સતત ફરતી રહે છે જયારે આ પ્લેટો કોઈ જગ્યાએ તકરાઈ છે જેના કારણે ફોલ્ટ લાઈન ઝોન બની જાય છે અને સપાટીના ખૂણા વળી જાય છે.

સપાટીના વળાંકનાં લીધે ત્યાં દબાણ થાય છે અને પ્લેટો તુટવા લાગી છે જેના કારણે પૃથ્વી હલવા લાગે છે અને તેને ભુકંપ તરીકે માનવામાં આવે છે. જોકે જામનગર અને તાલાલા પંથકમાં આવતા સતત ભુકંપનાં આંચકાનું કારણ વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ કંઈક અલગ છે.

આ વખતે ગીર સોમનાથ, જામનગર અને દેવભુમિ દ્વારકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે જેના કારણે ભુસ્તરમાં પાણીની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે તેના દબાણને કારણે ભુકંપનાં આંચકા આવી રહ્યા છે અને વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ભુકંપનાં આંચકાથી લોકોએ ભયભીત થવાની જરૂર નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.