Abtak Media Google News

વર્ષ 2030 સુધીમાં ભારતમાં 26 બિલિયનનું રોકાણ અને 20 લાખ નોકરીઓનું સર્જન થશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરના યુએસ પ્રવાસમાં ભારતમાં અબજો ડોલરના સોદા થયા છે, ત્યાં એક કંપની છે જેણે આ મુલાકાત દરમિયાન ભારતમાં લાખો નોકરીઓ પ્રદાન કરવાની ખાતરી આપી છે. દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોને ભારતમાં 4-5 લાખ નહીં પણ 20 લાખ નોકરીઓ આપવાની ખાતરી આપી છે. આ જાણકારી દેશના આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ટ્વીટ કરીને આપી છે.

આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે પોતાના ટ્વીટમાં લખ્યું કે એમેઝોન ઈન્ડિયા દ્વારા મોટા રોકાણ માટે પ્રતિબદ્ધતા આપવામાં આવી છે. આ અંતર્ગત વર્ષ 2030 સુધીમાં ભારતમાં 26 બિલિયનનું રોકાણ અને 20 લાખ નોકરીઓનું સર્જન થશે. આ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયા અને આત્મનિર્ભરતાના વિઝન સાથે યુએસ-ભારત ટેકની ભાગીદારીને વધુ મજબૂત કરવાની દિશામાં એક પગલું સાબિત થશે.

ઈ-કોમર્સ કંપની એમેઝોનના ટોચના અધિકારીએ જણાવ્યું છે કે કંપની ભારતમાં વધારાના 15 બિલિયનનું રોકાણ કરવાની યોજના ધરાવે છે, જેનાથી ભારતમાં કંપનીનું કુલ રોકાણ 26 બિલિયન થઈ જશે. યુએસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા પછી, એમેઝોનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એન્ડી જેસીએ કહ્યું કે કંપની ભારતમાં 11 અબજ ડોલરનું રોકાણ કરી ચૂકી છે.

ભારતના વિદેશ મંત્રાલયે પણ ટ્વીટ કર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમેઝોનના ચેરમેન અને સીઈઓ સાથે અર્થપૂર્ણ મુલાકાત કરી હતી. વિદેશ મંત્રાલયે ટ્વીટ કર્યું, “ભારતમાં લોજિસ્ટિક્સ ક્ષેત્રે અને ઈ-કોમર્સ ક્ષેત્રે એમેઝોન સાથે સહકાર વિસ્તરણની સંભાવના પર ચર્ચાઓ કેન્દ્રિત થઈ.” મોદીએ ભારતમાં એમએસએમઈના ડિજિટાઈઝેશનને પ્રોત્સાહન આપવા માટે એમેઝોનની પહેલને આવકારી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.