Abtak Media Google News

પુરુષો અને મહિલાઓની આત્મહત્યાની સરેરાશ લગભગ 2:1 હોય છે

સામુહિક આત્મહત્યા હમેશા સામજિક દબાણને કારણે સર્જાતી હોય છે: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના ડેટા બેઇઝ સર્વેમાં વિવિધ તારણો સામે આવ્યા

આત્મહત્યા ન તો પાપ છે ના કોઈ અપરાધ. જયારે સમાજમાં કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે છે ત્યારે તેની સાથે સંકળાયેલી ઘણી જિંદગી છિન્નભિન્ન થાય જાય છે. ખરેખર આત્મહત્યાએ એક એવી માનસિક બીમારી છે જેનાથી ગ્રસીત વ્યક્તિ વિધવંસક પગલુ ભરી પોતાની જાતનો જ ભોગ લે છે. આત્મહત્યામાં વ્યક્તિ ખુદજ ભક્ષક હોય છે જેનાથી તેને પોતાની જાતની જ઼ રક્ષા કરવાની હોય છે. આત્મમહત્ય કરનાર વ્યક્તિ એકલી નથી જતી તે પોતાની સાથે જોડાયેલા ઘણા લોકો ની લાગણીઓ, અપેક્ષાઓ લઈ ને જાય છે. સૌરાષ્ટ્ર ભરમાં આત્મહત્યા અંગે વિવિધ અખબારી નોંધ પરથી  મનોવિજ્ઞાન ભવનના ડીપ્લોમાના વિદ્યાર્થીઓ દ્વારા  ડો. યોગેશ જોગસણ અને ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમા એક ડેટા બેઇઝ સર્વે હાથ ધર્યો હતો. આ સર્વે માટે વિવિધ સમાચાર પાત્રો નો અભ્યાસ કરવામાં આવેલો હતો.

રાજકોટ આપઘાતની બાબતમાં કેન્દ્ર સ્થાને છે તેની પાછળના કારણો મનોવિજ્ઞાન ભવનના ડીપ્લોમાના વિદ્યાર્થીઓએ શોધ્યા. *18% આપઘાતની પાછળનું કારણ જીવનશૈલી અને મહત્વકાંક્ષા

હોય છે, 17.10% આપઘાત આર્થિક ખેંચ અને દેવાળું ફૂકાવવાને કારણે હોય છે, 16.20% પારિવારિક સ્થિતિ અને પ્રેમ સબંધને કારણે, 9% લોકો એકલતા અને બીમારીથી કંટાળીને આપઘાત કરે છે, 11% લોકો સામાજિક આબરૂ ખોવાના ડરને કારણે આત્મહત્યા કરે છે, 27% લોકો ડિપ્રેશન અને ચિંતા જેવી સ્થિતિને કારણે આત્મહત્યા કરે છે, 1.7% માનસિક બીમારીને કારણે આત્મહત્યા કરતા હોય છે.*

આપણે સૌ જાણીએ છીએ તેમ આજના સમયે બાળકો થી લઈને વૃદ્ધોમાં પણ આત્મહત્યા નું પ્રમાણ વધ્યું છે. લોકોમાં ધીરજ નો અભાવ હોય તેવું જોવા મળે છે અને પોતાની ઈચ્છા મુજબ કંઈ ન થાય તો તેનો સરળ માર્ગ અપનાવી આત્મહત્યા તરફ દોરાય છે. જેમ દરેક વ્યક્તિ અલગ અલગ છે તેમ તેમના વિચારો, પરિસ્થિતિ અને સહનશકિત પણ અલગ હોય છે.

 

છેલ્લા 1 મહિનામાં 138 આત્મહત્યાના બનાવો બન્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સમાચાર પત્રોના માધ્યમથી માહિતી એકત્રિત કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે 7 જુલાઈ 2022 થી 7 ઓગસ્ટ 2022 ના એક મહિના દરમિયાન કુલ 138 આત્મહત્યાના કિસ્સાઓ વર્તમાન પત્રમાં નોંધાયેલા હતા. જેમાં 59 સ્ત્રીઓ (42.75%) અને 79 પુરુષોએ (57.25%) આપઘાત કરેલ હતા. જેમાં ઉમર અને જાતિ પ્રમાણે જોઈએ તો 14 થી 18 વર્ષના કુલ 9 લોકોએ આત્મહત્યા કરી જેમાં 4 યુવતી (2.90%) અને 5 યુવક (3.62%) હતા. 19 થી 40 વર્ષના કુલ 101 લોકોએ આત્મહત્યા કરી જેમાં 47 મહિલાઓ (34.06%) અને 54 પુરુષો (39.13%) દ્વારા આત્મહત્યા કરવામાં આવી. 40 વર્ષથી ઉપરના કુલ 28 લોકોએ આત્મહત્યા કરી જેમાં 8 મહિલાઓ (5.80%) અને 20 પુરુષો (14.49%)* દ્વારા આત્મહત્યા કરવામાં આવી.

14 થી 18 વય જૂથના કિસ્સાઓમાં મુખ્ય કારણો

અભ્યાસનું વધારે પડતું દબાણ, વધારે પડતી અપેક્ષાઓ, જિદ્દી વર્તન, ઘાતક ગેમ્સ, અને પારિવારિક તેમજ સામાજિક બાબતો મુખ્યત્વે જોવા મળે છે. પૈસા ન આપતા, માનસિક બીમારીના કારણે વગેરે કારણોસર આત્મહત્યા કરી હતી. આ ઉપરાંત અમુક કિસ્સાઓમાં સામૂહિક આપઘાત ના કારણે બાળકોના મૃત્યુ થયેલા.

19 થી 40 વય જૂથના કિસ્સાઓમાં મુખ્ય કારણો

યુવાનો જ્યારે પોતાના લક્ષ્યને પ્રાપ્ત નથી કરી શકતા અથવા નિષ્ફળ જાય છે, પોતાની લાગણીઓ પર નિયંત્રણ નથી મેળવી શકતા ત્યારે તેઓ આત્મહત્યાનો માર્ગ અપનાવે છે. ઘણી વખત યુવાનો પોતાની કેટલીક ઈચ્છાઓ અને માંગણીઓ એ પ્રકારની રાખતા હોય છે કે જે મુશ્કેલ હોય છે અને તેમાં અસફળતા મળતા તેઓ આક્રમક થઈ જાય છે. ઘણી વખત તેઓ અસામાજિક કૃત્યો તરફ પણ વળે છે. આવું કાર્ય કર્યા બાદ પકડાવવાથી અથવા પશ્ચાતાપ ને કારણે ઘણી વખત આત્મહત્યા કરતા હોય છે.

40 થી વધુ ઉંમરનું વયજૂથ

ભારતીય માનસ પહેલા આટલું નબળું ક્યારેય નહોતું જે આજે જોવા મળે છે. ઓછી સુખ સુવિધાઓ વચ્ચે પણ પહેલા શાંતિ અને નિરાતનું જીવન જીવતા લોકો હતા જેનો આજે અભાવ જોવા મળે છે. પહેલા પ્રૌઢ લોકોમાં ધાર્મિક અને અધ્યાત્મની લાગણીઓ જોવા મળતી જેનો આજે ક્યાંક અભાવ છે જેના કારણે પણ આત્મહત્યા જોવા મળે છે. સામાજિક અને પારિવારિક રચનામાં ફેરફાર થતો જોવા મળ્યો છે જેને કારણે એકલતાનો અનુભવ પણ પ્રૌઢમાં જોવા મળી રહ્યો છે. માનસિક બીમારી, વ્યાજ કે દેવું, પુત્રવધૂ નો ત્રાસ, આર્થિક ભીંસ, ઉપરી અધિકારીના ત્રાસ ને કારણે, પતિ – પત્નિ ના ઝગડા, પત્નીના આડા સંબંધો વગેરે કારણોસર આ વયજૂથ માં આત્મહત્યાઓ થયેલી. જેમ ઉપરના કારણો અને વયજૂથમાં જોયું તેમ સૌથી વધુ આત્મહત્યા કરનાર વર્ગ 19 થી 40 વર્ષ વચ્ચે નો હતો. જેના વિવિધ કારણો હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.