Abtak Media Google News

કોરોના સંક્રમણથી બચવા માટે સતર્કતાનો અતિરેક ક્યારેક ક્યારેક મુશ્કેલીનું કારણ બની જાય છે. રોગચાળાથી બચવા અને સંક્રમણ ન થાય તે માટે બિનજરૂરી ભયનું માનસીક બોજની સાથે સાથે હવે આડેધડ કટાઈમની દવાઓ અને વધુ પડતી સારવારની સાથે સાથે ઈંજેકશન અને બિનજરૂરી દવાઓના કારણે કોરોનાની આ મહામારીમાં ઉલમાંથી ચુલમાં જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે અને કોરોનાના ડરથી કરવામાં આવેલી ઉતાવળ અને આડેધડ દવાઓની સજાના રૂપમાં કોરોના તો મારતા મારશે પણ મ્યુકરમાઈકોસીસનો રોગ માનવ જાત માટે બાયોપ્રોડકટ તરીકે મળી છે. આ નવી બીમારીમાં હાલ કોરોના કરતા પણ વધુ ઘાતકપણુ હોવાનું સાબીત થઈ રહ્યું છે. કોરોનાની ભયજનક પરિસ્થિતિથી વધુ ભયપ્રદ બનીને વિના કારણે અને કટાઈમની દવાઓ બિનજરૂરી સારવાર અને ઈંજેકશનોના વધુ પડતા ડોઝના કારણે મ્યુકરમાઈકોસીસની સજારૂપ આ નવી બીમારીથી હવે સામનો કરવાનો વારો આવ્યો હોય તેવી દહેશત ઉભી થઈ છે.

કોરોનાથી બચવા માટે ડોકટરની સલાહ વગર આપમેળે દવાઓ અને ખાસ કરીને સ્ટીરોઈડના વધુ પડતા ઉપયોગથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ પર ભયંકર ઘાતક અસર ઉભી થઈ છે. આ પરિસ્થિતિમાં મ્યુકરમાઈકોસીસ નામનો નવો રોગની દેણગી થઈ છે. કોરોનાની પ્રથમ લહેરથી જ આ બિમારી અંગે પોતાની મેળે કરવામાં આવતી સારવાર અને ઈલાજથી શરીરમાં ઘણી મોટી મુશ્કેલીઓ ઉભી થવાના દાખલા છે. હવે બિનજરૂરી દવાઓ, કટાઈમની સારવાર, દવા અને સ્ટીરોઈડના વધુ પડતા સેવનથી મ્યુકરમાઈકોસીસનો રોગ ઘર કરી જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાથી બચવા માટે પોત-પોતાની મેળે બિનજરૂરી રીતે પેનીકમાં આવીને ડોકટરે લખી ન હોય તેવી દવાઓ ખાવાનો જે માહોલ ઉભો થયો છે તેનાથી માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિ ક્ષીણ થતી જાય છે. દવાના વેપલા અને વૈદ્યવટામાં ભારે કમાણી ઉભી કરવા માટે ક્યારેક-ક્યારેક કોરોનાના રૂપની વધુ ઘાતક તસ્વીરોનો માહોલ ઉભો કરવામાં આવતો હોય તેમ લોકોને જરૂરથી વધારે ભયભીત કરીને દવાઓના રવાડે ચડાવી દેવાની જે હરિફાય થઈ છે તેની સજા હવે લોકોને મળવા લાગી છે. કોરોના શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેને વધુ ઘાતક અસર કરે છે. હવે વધારે પડતી દવા અને બિનજરૂરી સ્ટીરોઈડની આડઅસરો દેખાવા લાગી છે. મ્યુકરમાઈકોસીસનો જાહેર થયેલો આ રોગચાળો કોરોનાથી પણ વધુ ઘાતક પુરવાર થાય તેમ માનવામાં આવી રહ્યું છે. સંક્રમણની ઝડપથી લઈને જીવલેણ અસરોમાં મ્યુકરમાઈકોસીસ કોરોનાને કંઈક જોજનો દૂર મુકી દે તેમ છે. કાળી ફુગજન્ય મ્યુકરમાઈકોસીસ રોગ જેને લાગુ પડે તેના શરીરની અંદર કોઈપણ જગ્યાએ કાળી ફૂગનો ચેપ લાગે છે અને જ્યાં આ ચેપ લાગ્યો હોય તે શરીરનો અંગની શસ્ત્રક્રિયા કરીને બેકટેરીયાને બહાર કાઢવા પડે છે. વળી મ્યુકરમાઈકોસીસનો ચેપ લાગ્યા બાદ એકવાર સર્જરી કર્યાથી આ રોગ કાબુમાં આવતો નથી. એકથી વધુ ઓપરેશનો પણ કરવા પડે. વધુ પડતી કોરોનાની દવા અને સ્ટીરોઈડની સાથે સાથે ઈંજેકશનોની આડઅસરની સજાથી બચવા માટે સાવચેતી એ જ ઉપાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.