Abtak Media Google News

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પરના પડાણા પાટિયા પાસે ગઈકાલે બપોરે કાર આડે કૂતરું ઉતરતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે સગાભાઈઓના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બંને મૃતકો પડાણા સરપંચના ભત્રીજા હોવાનું જાણવા મળ્યું છે.

જામનગર – ખંભાળિયા ધોરી માર્ગ પર આવેલ પડાણા પાટિયા નજીક આવેલ હોટેલ આશાપુરા સામે ગઈકાલે બપોરે પસાર થઈ રહેલા એક કાર આડે કૂતરું એકાએક આવી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં કાર બે ત્રણ વખત પલટી મારી ગઈ હતી. જેમાં કારમાં સવાર પાંચ વ્યક્તિઓ પૈકી રાજદીપસિંહ ભરતસિંહ ઝાલા અને પૃથ્વીસિંહ ભરતસિંહ ઝાલા નામના બે સગાભાઈઓના મોત નિપજ્યા હતા.

જ્યારે અન્ય ત્રણ વ્યકિતઓને સામાન્ય ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ માં ખસેડવામા આવ્યા છે. મૃતક ભાઈઓ પડાણા ગામના સરપંચ પ્રવીણસિંહ ઝાલાના ભત્રીજા થતા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવના પગલે ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર લોકોના એકત્ર થઈ ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બનાવની જાણ થતાં મેઘપર પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

મૃતક રાજદીપસિંહના ઘરે આઠ દિ’પહેલા જ પુત્રનો જન્મ થયો હતો

ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલ રાજદીપસિંહ ઝાલાના ઘરે આઠ દિવસ પહેલા જ પુત્રનો જન્મ થયો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પૃથ્વીરાજસિંહ અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે.પરિવારમાં રાજદીપસિંહ અને પૃથ્વીરાજસિંહ સહિત કુલ ત્રણ ભાઈઓ હતા. જેમાં બે ભાઈઓના મોત નિપજતા ઝાલા પરિવારમાં આક્રંદ છવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.