Abtak Media Google News
ગીર સોમનાથના તાલાલા સહિત ગીરના ધાવા અને આસપાસના ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા: ખૂંટીએ બાંધેલા અને વાડામાં રાખેલા પશુઓનું ભૂકંપના કારણે વર્તન બદલાયેલું જોવા મળ્યું હતું: કોઈ જાનહાની સમાચાર પ્રાપ્ત થયા નથી

આજે સવારે ફરી એકવાર ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ વખતે સૌરાષ્ટ્રના ગીર સોમનાથના ગામોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે. આજે સવારે 6:58 થી 7:44 સુધીમાં તાલાલામાં કુલ 3 આંચકા અનુભવાયા હતા.હજુ  સુધી ભૂકંપના કારણે જાન-માલનું નુકસાન થયાની વિગતો સામે આવી નથી. આ ભૂકંપની તિવ્રતા ઓછી હોવાથી મોટી કુદરતી હોનારત ટળી છે. આ મામલે સિસ્મોલોજી સેન્ટર દ્વારા વધારે તપાસ બાદ મહત્વની વિગતો સામે આવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. પ્રાણીઓમાં પણ ભૂકંપના આંચકાની અસર દેખાઈ હતી.

સવારે 6.58 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ તાલાલાથી ઉત્તરપૂર્વમાં 13 કિલોમીટર દૂર નોંધાયું હતું. ત્યારબાદ સવારે 7:04 કલાકે તાલાલાથી 9 કિમિ દૂર 3.2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. જેની ઉંડાઇ જમીનથી 7.6 કિમિની હતી. ત્યારબાદ સવારે 7:44 વાગ્યે તાલાલાથી 10 કિમિ દૂર 1.8ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઊંડાઈ જમીનથી 6.6 કિમિની નોંધાઈ હતી.

ગીર સોમનાથના તાલાલા સહિત ગીરના ધાવા અને આસપાસના ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વહેલી સવારે ભૂકંપના આંચકા આવતા લોકો સફાળા જાગી ગયા હતા. મહત્વનું છે કે જ્યાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા ત્યાંથી સાસણ ગીર અને સોમનાથ નજીકમાં આવેલા છે જોકે, અહીં સુધી ભૂકંપના આંચકાનો અનુભવ થયો નહોતો. સવારમાં ભૂકંપના આંચકા આવતા લોકો ઊંઘમાંથી સફાળા જાગી ગયા હતા અને ચક્કર આવતા હોય તેવી અનુભૂતિ થતા લોકો ઘરના બહાર દોડી આવ્યા હતા.

ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી ઊંચી ઈમારતો કે મકાનને કોઈ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું નથી. લોકોનો ઉઠવાનો સમય હતો ત્યારે ભૂકંપના આંચકા આવતા ઘણાં લોકોને ચક્કર આવતા હોય અને અશક્તિનો અનુભવ થતો હોય તેવું લાગ્યું હતું. જોકે, ભૂકંપની હોવાનું માલુમ પડતા લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. પશુઓમાં પણ ભૂકંપના આંચકાની અસર જોવા મળી હતી. ખૂંટીએ બાંધેલા અને વાડામાં રાખેલા પશુઓનું ભૂકંપના કારણે વર્તન બદલાયેલું જોવા મળ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.