Abtak Media Google News

કેપ્ટન અમરિંદર સિંહનો પડકાર કહ્યું- સિદ્ધુ મારી સામે ચૂંટણી લડે તો ડિપોઝીટ પણ જપ્ત 

એક મૂર્ખને એવી ટેવ,પથ્થર દેખી પૂજે દેવ’ કહેવત ક્યાંક પંજાબના રાજકારણને લાગુ પડતી હોય તેવું લાગી રહ્યું છે. ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોતસિંહ સિધ્ધુ જાણે ક્યાંય ’સચવાતા’ જ ન હોય અને જ્યાં પથ્થર જુએ ત્યાં નમતા હોય તેવી રીતે રાજકીય વલખા મારી રહ્યા છે. સિદ્ધુને કદાચ ખ્યાલ જ નથી કે કયાં નમવું ? અને કોને દેવ બનાવવા ? તેના કારણે તેઓ ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક આમ આદમી પાર્ટી સાથે જોડાઈ જતા હોય છે. તેવા સમયે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંઘના નિવેદનથી પંજાબના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કેપ્ટને એક નિવેદન મારફત સિદ્ધુને પ્રશ્ન પૂછ્યો છે કે, હવે તેઓ કયા પક્ષ સાથે જોડાવા જઈ રહ્યા છે ? કેપ્ટને નવજોતસિંહ સિદ્ધુને એવો પડકાર પણ આપ્યો છે કે, તેઓ એકવાર કેપ્ટન સામે ચૂંટણી લડી જુએ, સિદ્ધુની ડિપોઝીટ પણ જપ્ત થઈ જશે. ત્યારે હવે આગામી દિવસોમાં પંજાબના રાજકારણ નવો વળાંક આવે અને અગાઉથી જ જૂથવાદના માર્ગ પર રહેલા કોંગ્રેસમાં વધુ વિખવાદ સર્જાય તેવા પણ અણસાર છે.

કેપ્ટનનો કટાક્ષ: હવે સિદ્ધુ ક્યાં પક્ષ સાથે જોડાશે? 

નવજોત સિંહ સિદ્ધુ અવારનવાર તેમના નિવેદનો અને પ્રતિક્રિયાઓને કારણે પણ ચર્ચામાં રહેતા હોય છે. સુવાડી સુક્ધયાને જે રીતે સનેપાત ઉપડતો હોય છે તેવી રીતે ક્યારેક સિદ્ધુને પણ સનેપાત ઉપડતો હોય તેમ તેઓ આડેધડ નિવેદનો આપી દેતા હોય છે. સાથોસાથ કોંગ્રેસમાં રહીને તેઓ અન્ય પક્ષના વખાણ કરતા પણ નજરે પડતા હોય છે જેના કારણે તેઓ રાજકારણમાં તેમની મહ્ત્વતા પણ ઊભી કરી શક્યા નથી. ઉપરાંત સનેપાત ઉપડતા તેઓ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાનો નિર્ણય કરી લેતા હોય છે અને પછી જ્યારે સનેપાત શાંત થાય તો અફસોસ પણ કરતા નજરે પડતા હોય છે.પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ અને ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે ખેંચતાણ ઉભી થઇ છે. સીએમ કેપ્ટન અમરિંદરસિંહે નવજોતસિંહ સિદ્ધુ પર હુમલો કર્યો છે.  કેપ્ટને સિદ્ધુને તેની સામે ચૂંટણી લડવા પડકાર આપ્યો છે.  તે જ સમયે અમરિંદરસિંહે કહ્યું કે, જો સિદ્ધુ તેમની સામે ચૂંટણી લડશે, તો તેમની જનરલ જે.જે.સિંહની જેવી હાલત થશે. તેમની ડિપોઝીટ પણ જપ્ત થઈ જશે. પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે મંગળવારે નવજોત સિંહ સિદ્ધુ પર કટાક્ષ કરતાં કહ્યું કે, હવે તેઓ કઇ પાર્ટીમાં જઇ રહ્યા છે? મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે, પંજાબ કોંગ્રેસમાં આજકાલ ’સબ સલામત’ નથી. જો કે, અગાઉ પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુ ઘણીવાર મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ પર હુમલો કરી ચુક્યા છે. આ પહેલીવાર છે જ્યારે કેપ્ટને નવજોત સિંહ સિદ્ધુને ખુલ્લેઆમ પડકાર્યો છે.  આ સિવાય તેઓ કઇ પાર્ટીમાં જવાના છે ? તેવી સવાલ પણ પૂછ્યો છે. કેપ્ટનનું નિવેદનથી સ્પષ્ટ થયું છે કે, પંજાબ કોંગ્રેસ ફરી એકવાર ખળભળાટ મચાવશે.

વર્ષ 2019માં પણ બંને વચ્ચે ઉભી થઇ હતી ભારે ખેંચતાણ

અગાઉ મે, 2019 માં કેપ્ટન અમરિન્દર સિંહ અને સિદ્ધુ વચ્ચે તણાવ ફાટી નીકળ્યો હતો. જ્યારે મુખ્ય પ્રધાને તેમને સ્થાનિક શાસન વિભાગની અયોગ્ય કામગીરી માટે જવાબદાર ઠેરવ્યો હતો અને દાવો કર્યો હતો કે, સિદ્ધુને કારણે લોકસભાની ચૂંટણીમાં શહેરી વિસ્તારોમાં કોંગ્રેસને નબળું પરિણામ મેળવવું પડ્યું હતું.

કેપ્ટનના વાર પછી પલટવાર કરતા સિદ્ધુ

નવજોત સિંહ સિદ્ધુ પર કેપ્ટન અમરિંદર સિંહના વાર પર પલટવાર કરતા સિદ્ધુએ  ટ્વીટ કર્યું કે, પંજાબની અંતરાત્માને પાટા પરથી ઉતારવાના પ્રયત્નો નિષ્ફળ જશે. મારી આત્મા પંજાબ છે અને પંજાબનો આત્મા ગુરુ ગ્રંથ સાહિબ જી છે. અમારી લડત ન્યાય માટે છે જે દોષીઓને સજા આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.