Abtak Media Google News

સાત માસ પૂર્વે ફાયરીંગ કરી થયેલી હત્યાનો મામલો

ઝડપાયેલા શખ્સના રિમાન્ડ દરમિયાન ખુલી વિગતો

પવનચકકીની સાઇટ પર માલ પહોચાડવાના કોન્ટ્રાકટ બાબતે મનદુ:ખમાં ધ્રોલના ક્ષત્રિય યુવકની ફાયરીંગ કરી હત્યા કરવામાં આવી હોવાનું એક આરોપીના રિમાન્ડ દરમ્યાન પુછપરછમાં ખુલ્યું છે.

ધ્રોલ તાલુકા મથકે ગત તા. ૬/૩/૨૦૨૦ના રોજ ત્રિકોણ બાગ વિસ્તારમાં એટીએમમાંથી પોતાની કાર તરફ જતા દિવ્યરાજસિંહ જાડેજા પર પાછળથી આવેલ બે સખ્સોએ ધડાધડ ફાયરીંગ કરી હત્યા નીપજાવી હતી. આ બનાવ બાદ નાસી ગયેલા બે આરોપીઓને મોરબી પોલીસે પકડી પાડ્યા હતા. જે તે સમયે કારમાં નાસી ગયેલ અનિરૂદ્ધસિંહ સોઢા, મુસ્તાક પઠાણને પકડી પાડી મોરબી પોલીસે જામનગર પોલીસ હવાલે કર્યા હતા. જેમાં અનિરૂદ્ધસિંહ સાથે મૃતક દિવ્યરાજને પડધરી ટોલનાકે વાહન ચલાવવા બાબતે થયેલ માથાકૂટ અને આરોપી મુસ્તાક પઠાણ સાથે મળી હત્યા કરવાનો લાંબા સમયથી પ્લાન કરી રહ્યા હતા પણ બે છેડા ભેગા થતા ન હતા. અંતે સોઢાની મુલાકાત હાડાટોડા ગામના ઓમદેવસિંહ અને નરેન્દ્રસિંહ ઉર્ફે કાના સાથે થઇ છે. આ બંને સખ્સોને પણ દીવુભા સાથે જમીનના સોદાને લઈને મનદુ:ખ ચાલતું હતું. ત્યારબાદ ચારેય સખ્સોએ ભેગા થઇ અહી મજુરી કામ કરતા અજીત વિરપાલસિંગ ઠાકુર અને અખિલેશ ઉર્ફે બબલુ ઠાકુર નામના બંને સખ્સોને એક-એક કાર લઇ દેવાની લાલચ આપી, વતનથી દેશી પિસ્તોલ મંગાવી લીધી હતી. બંને પરપ્રાંતીય શખ્સ અને આરોપીઓએ અનેક વખત દીવુભાની રેકી પણ કરી હતી. અંતે તા. ૩/૬/૨૦૨૦નો દિવસ દિવ્યરાજમાટે ઘાતક સાબિત થયો હતો. પોલીસે અગાઉ પરપ્રાંતીય શખ્સો સહીત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી જયારે મુખ્ય એવા આરોપી ઓમદેવસિંહ અને નરેન્દ્રસિંહને તાજેતરમાં પકડી પાડી બે દિવસના રિમાન્ડ લઇ જેલ હવાલે કરાયા છે. રિમાન્ડ દરમિયાન હત્યા અંગેનું વધુ એક નવું કારણ બહાર આવ્યું છે. મૃતક દિવ્યરાજસિંહ અને ઓમદેવસિંહ વચ્ચે પવનચક્કીની સાઈટ પર જરૂરી માલ સામાન પહોચતો કરવા માટેના કોન્ટ્રાક્ટને લઈને મનદુ:ખ થયું હતું. દિવ્યરાજસિંહ કોઈ પણ શરતે આ કામ કરવા માંગો હોવાથી કામ વચ્ચે આવી ગયેલ દિવ્યરાજને હટાવવા માટે હત્યાનો પ્લાન કર્યો હતો.  આ કેસમાં અનિરુદ્ધસિંહ સોઢા, મુસ્તાક પઠાણ, અજીતભાઈ વીરપાલસિંહ ઠાકુર, અખિલેશ ઉર્ફે બબલુ શ્રીરામઉદાર ઠાકુર, ઓમદેવસિંહ અને નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો નામના છ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ પ્રકરણમાં લાંબા સમયથી ફરાર રહેલ શાર્પ શુટરના સગડ મળી જતા પેરોલ ફર્લો અને એલસીબીની એક ટીમ તાત્કાલિક ઉતરપ્રદેશ તરફ રવાના કરવામાં આવી હતી જેમાં યુપીના ગોંડા જીલ્લાના કોતવાલી નેવારી ગામના રોહિતસિંહ ઉર્ફે સોનું રામપ્રસાદસીઘ ઠાકુર નામના શખ્સને નેપાળ બોર્ડર પરથી દબોચી લીધો હતો. ગઈ કાલે જ સ્પેશ્યલ ટીમ આરોપીને સાથે રાખી મોડી રાત્રે જામનગર આવી પહોચી હતી અને જામનગરમાં આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી પાંચ દિવસના રિમાન્ડ પર લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.