Abtak Media Google News

બીસીએનો અભ્યાસ પૂર્ણ કરી પણ નોકરી ન મળતા કર્યો આપઘાતનો પ્રયાસ

શહેરમાં રૈયા રોડ પર આવેલા તિરૂપતિનગરમાં રહેતા યુવાને બીસીએનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પણ નોકરી નહીં મળતા બેરોજગારીથી કંટાળી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયા રોડ પર હનુમાન મઢી પાસે આવેલા તિરૂપતિનગરમાં રહેતા મૌલિક મુકેશભાઈ ગોંડલીયા નામનો 27 વર્ષનો યુવાન સાંજના પાંચેક વાગ્યાના અરસામાં સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલા શૌચાલય સામે હતો ત્યારે ફિનાઈલ પી લીધું હતું.જેથી યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પ્રનગર પોલીસને જાણ કરતા પ્રનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

આ અંગે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ફિનાઈલ પી લેનાર મૌલિક ગોંડલીયાએ જુનાગઢમાં બીસીએનો અભ્યાસ કર્યો હતો અને અભ્યાસ પૂર્ણ થયા બાદ પણ નોકરી નહીં મળતા બેરોજગારીથી કંટાળી ફીનાઇલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પ્રનગર પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.