Abtak Media Google News

વિસાવદર: દુષ્કર્મ ગુજારનાર વિધર્મી શખ્સોને ફાંસીની સજા આપવા ગ્રામજનોની માંગ

ફરિયાદ નોંધાતાં પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓની કરી ધરપકડ

વિડિયો કોલ કરી તેનું રેકોર્ડીંગ કરી વાયરલ કરવાની ધમકી આપી બંને શખ્સોએ સગીરાને હવસનો શિકાર બનાવ્યો

જૂનાગઢના વિસાવદર તાલુકાના એક ગામમાં રહેતી સગીર વિદ્યાર્થિનીને ફસાવી એક નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે સગીરાની સાથે અભ્યાસ કરતા કાયદાથી સંઘર્ષિત કિશોર અને તેના મિત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિધર્મી યુવકે વીડિયો કોલ કરી પીડિતાને કપડા કાઢવાનું કહ્યું હતું. પીડિતાએ યુવકની વાત માનતા નરાધમે રેકોર્ડીંગ કરી લીધું હતું અને બાદમાં આ રેકોર્ડીંગ વાઈરલ કરવાની ધમકી આપી સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો સામે આવતા પોલીસે બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.જ્યારે ઘટનાના પગલે સ્થાનિક લોકો વિસાવદર હોસ્પિટલ પર પહોંચ્યા હતા અને આરોપીને કડકમાં કડક સજા આપવા માગ કરી હતી.

વિગતો મુજબ ભોગ બનનાર સગીરાની તેની સાથે અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થીએ આરોપી અલ્તાફ હોથી સાથે મિત્રતા કરાવી હતી. આરોપી અલ્તાફ હોથી અને સગીરા સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના સંપર્કમાં રહેતા હતા. અલ્તાફ હોથીએ સગીરાના ભોળપણનો લાભ ઉઠાવી વીડિયો કોલ કરી કપડા કાઢવાનું કહ્યું હતું. સગીરાએ પણ અલ્તાફના કહ્યા મુજબ કરતા અલ્તાફે વીડિયો રેકોર્ડીંગ કરી લીધું હતું. સગીરાની સાથે અભ્યાસ કરતો કાયદાથી સંઘર્ષિક કિશોર અને અલ્તાફ હોથી ગત શનિવારે સગીરાના ઘર પર પહોંચ્યા હતા. સગીરાને ઘરની બહાર બોલાવી નજીકના વાડામાં લઈ ગયા હતા. જ્યાં સગીરાનો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી અલ્તાફ હોથીએ દુષ્કર્મ આચર્યું હતું.

દુષ્કર્મની ઘટના બાદ ભોગ બનનાર સગીરા પોતાના ઘરેથી નીકળી ગઈ હતી માટે નીકળી ગઈ હતી. બાદ તેના માતા પિતાએ તેની શોધખોળ કરતા તે જંગલ વિસ્તારમાં મળી આવી હતી.અને તેને સાંત્વના આપતા સગીરાએ પોતાની આપવીતી જણાવી હતી. ત્યારબાદ પરિવારજનો પીડિતાને વિસાવદર હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલ દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.બનાવની જાણ થતાં જ પોલીસ સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને તેની ફરિયાદ પરથી એક કિશોર અને અલ્તાફ હોથી સામે ગુનો નોંધી રાઉન્ડઅપ કરવામાં આવ્યા હતા. વિધર્મીઓ દ્વારા સગીરા પર દુષ્કર્મ થયાની જાણ થતા વિસાવદરની વિવિધ સંસ્થાના આગેવાનો વિસાવદર પોલીસને રજૂઆત કરવા પહોંચ્યા હતા. આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માગ કરવામાં આવી હતી.

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિસાવદર સરદાર ચોકથી રેલી કાઢી આરોપીઓને ફાંસીની સજાના સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસ અધિકારીને મળી આરોપીઓને કડક સજા થાય અને આવા બનાવો ન બને તે માટે કડક કાયદો બનાવવા રજૂઆત કરવામાં આવી હતી. આ રેલીમાં વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ હરેશભાઈ સાવલિયા, તાલુકા અધ્યક્ષ કૃણાલ વિકમા, શહેર પ્રમુખ ધનરાજ ગઢવી, પ્રેમપરાના સરપંચ રામભાઈ સોજીત્રા, તાલુકા પંચાયત સદસ્ય જયરાજભાઈ વિકમા, વિસાવદર નગરપાલિકાના માજી પ્રમુખ રાજ રિબડિયા, ભમતાળા ખોડિયાર માતાજી આશ્રમના મહંત બાપુ તથા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

બદનામીના ડરે સગીરા આત્મહત્યા કરવા નીકળી ગઈ હતી

દુષ્કર્મની ઘટના બાદ ભોગ બનનાર સગીરા પોતાના ઘરેથી મરવા માટે નીકળી ગઈ હતી. સવારે સગીરાના માતા-પિતાને દીકરી ઘરે નહીં હોવાની જાણ થતા જ શોધખોળ શરૂ કરી હતી. ત્યારે પીડિતા જંગલ વિસ્તારમાંથી મળી આવી હતી. પરિવારજનોએ સાંત્વના આપતા સગીરાએ પોતાની આપવીતી જણાવી હતી. ત્યારબાદ પરિવારજનો પીડિતાને વિસાવદર હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલ દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા બે વિધર્મી શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.