Abtak Media Google News

સમરસ હોસ્ટેલની માત્ર વિદ્યા ધામ તરીકે નહીં, પરંતુ આરોગ્યધામ તરીકે આગવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની અધ્યક્ષતામાં કોરોના સમયે સમરસ કોવીડ કેર અને ડેડીકેટેડ હેલ્થ સેન્ટરમાં અનેક દર્દીઓને સેવા સુશ્રુષા તેમજ સિવિલ ખાતે મ્યુકોર માયકોસીસના દર્દીઓની સર્જરી બાદની પોસ્ટ સારવાર અર્થે સમરસ ખાતે દર્દીઓને ખસેડવામાં આવે છે.

સમરસ ખાતે અત્યાર સુધીમાં મ્યુકોર માયકોસીસના 606 દર્દીઓ સારવાર લઈ ચુક્યા છે. જે પૈકી 265 દર્દીઓ સાજા થઈ ડિસ્ચાર્જ થયાનું અને હાલ 204 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું નોડલ ઓફિસર ડો.મેહુલ પરમારે જણાવ્યું છે. હાલ સમરસ ખાતે 44 ડોક્ટર્સની ટીમ દર્દીઓની સારસંભાળ લઈ રહી છે. દર્દીઓને જરૂરી સારવારમાં 34 નર્સિંગ સ્ટાફ તેમજ 44 નર્સિંગ વિદ્યાર્થીઓ મદદરૂપ બની રહ્યાનું ડો.પરમારે મેડિકલ ટીમ અંગે માહિતી આપતા જણાવ્યું છે.

1454સમરસ ખાતે મ્યુકર માયકોસીસની 28 દિવસની સારવાર બાદ સ્વસ્થ થઈ ઘરે પરત ફરતા 60 વર્ષીય રાજેન્દ્રભાઈ પાટડીયા તેનો જાત અનુભવ કહે છે. ખાનગી હોસ્પિટલમાં સારવારને બદલે સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવવા બદલ તેઓને ભાગ્યશાળી ગણાવતા કહે છે કે, ‘મને એપ્રિલ માસમાં કોરોના થયા બાદ આંખમાં સતત દુખાવો રહેતો હતો. ચેકઅપ કરાવ્યા બાદ ખબર પડી કે મને પણ ફંગસની અસર થઈ છે. પરિવારજનોએ ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરાવવાના બદલે સિવિલ ખાતે સારવાર લેવા જણાવ્યું. મને 19 મે ના રોજ સિવિલમાં ભરતી કરાયા બાદ તુર્તજ સારવાર શરુ કરી દેવામાં આવી હતી. આશરે 10 દિવસ બાદ સર્જરી કરવામાં આવી હતી. ત્યારબાદ મને વધારાની તમામ સારવાર સિવિલ તેમજ સમરસ ખાતે મળી છે.’

તેમના પુત્ર યતિનભાઈ જણાવે છે કે, ‘સમરસ અને સિવિલ ખાતે ડોક્ટર્સ તરફથી અમને સંપૂર્ણ સહકાર મળ્યો છે. ફંગસની ખર્ચાળ સારવાર સામે અમને સિવિલમાં સમયસરની ઉત્કૃષ્ઠ સારવાર આપવા બદલ તેમણે સમગ્ર આરોગ્ય વિભાગનો આભાર માન્યો છે.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.