Abtak Media Google News

ચોમાસાની સીઝનમાં પણ જ્યારે ધોધમાર વરસાદ પડતો હોય અને જળાશયોમાં પાણીની અનરાધાર આવક ચાલુ હોય ત્યારે રાજકોટવાસીઓ એકબીજાને એક જ સવાલ કરતા નજરે પડતા હતા કે આજી ડેમ છલકાયો કે કેમ ? હવે આ વાત જાણે ભૂતકાળ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યના પાણીદાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની દીર્ધદ્રષ્ટિના કારણે આજીડેમ હવે ગમે ત્યારે નર્મદાના નીરથી ઓવરફલો થવા સક્ષમ બની ગયો છે. આજીમાં કાળઝાળ ઉનાળામાં ભરપુર જળવૈભવ જોવા મળશે તેવી સ્વપ્ને પણ કલ્પના ન કરનાર રાજકોટવાસીઓ આજે આજીનો વિશાળ જળવૈભવ જોઈ રીતસર રાજી…રાજી… થઈ રહ્યાં છે. સૌની યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા માત્ર 25 દિવસમાં આજી ડેમમાં 575 એમસીએફટી પાણી ઠાલવી દેવામાં આવ્યું છે. રાજકોટને 15મી જુલાઈ અર્થાત ચોમાસા સુધી પાણીની હાડમારી વેઠવી ન પડે તેટલો જળ જથ્થો હાલ આજીમાં ઉપલબ્ધ છે. હાલ 29 ફૂટે ઓવરફલો થતાં આજી ડેમમાં હાલ 27 ફૂટ પાણી હિલોળા લઈ રહ્યું છે અને પવનની એક સામાન્ય લહેરખીએ પણ આજીના પાળા પરથી પાણી છલકાઈ બહાર નીકળી રહ્યું છે. આ દ્રશ્ય ખરેખર આંખોને ખુબજ ટાઢક આપે છે.  એક સમય હતો જ્યારે ઉનાળાના આરંભે જ આજી ડેમ ક્રિકેટના મેદાનમાં ફેરવાઈ જતું હતું. પરંતુ હવે માં નર્મદાની કૃપા અને મુખ્યમંત્રીની દીર્ધદ્રષ્ટિના કારણે આજી ડેમ ઉનાળામાં પણ છલોછલ ભરેલો રહે છે. (‘અબતક’ ડ્રોન તસવીર)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.