Abtak Media Google News

ટેક્સટાઇલ, ફાઇનાન્સ, બેન્કિંગ અને ડાયમંડ જેવા વિવિધ બિઝનેસ સેક્ટરનું પ્રતિનિધીઓ જોડાશે : ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપની ત્રીજી બેઠક જુલાઇ 10-12 દરમિયાન કેવડિયા ખાતે યોજાશે

જૂલાઇ મહિનામાં ગુજરાતમાં બી20 (બિઝનેસ 20) અને જી-20 વર્કિંગ ગ્રૂપની બેઠક તેમજ મંત્રી સ્તરની બેઠકો આયોજિત કરવામાં આવી છે. 1 જૂલાઇના રોજ સુરતમાં જી20 બેઠક યોજાશે જ્યારે, ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપની ત્રીજી બેઠક 10 થી 12 જૂલાઇ, 2023 દરમિયાન એકતાનગર, કેવડિયા ખાતે યોજાશે.

ટેક્સટાઇલ, ફાઇનાન્સ, બેન્કિંગ અને ડાયમંડ જેવા વિવિધ બિઝનેસ સેક્ટરનું પ્રતિનિધિત્વ કરતા જી20 દેશોના લગભગ 200 પ્રતિનિધિઓ 1 જૂલાઈના રોજ સુરત ખાતે યોજાનારી બી20 બેઠકમાં હાજરી આપશે.  બી20 એક પ્રતિષ્ઠિત મંચ છે, જ્યાં પ્રભાવશાળી બિઝનેસ લીડર્સ, પોલિસી મેકર્સ અને વિશ્વભરના નિષ્ણાંતો સામેલ થાય છે.

આ બેઠકના માધ્યમથી વ્યાપારના પ્રતિનિધિઓને વિવિધ આર્થિક અને વ્યાપાર સંબંધિત વિષયો પર તેમનો પરિપ્રેક્ષ્ય, આંતરદૃષ્ટિ અને નીતિ અંગેના સૂચનો રજૂ કરવાની તક મળશે. વૈશ્વિક આર્થિક એજન્ડા અને નીતિઓને આકાર આપવામાં, તેમના સૂચનો ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

વૈશ્વિક વ્યવસાયો માટે નક્કી કરવામાં આવેલી પ્રાથમિકતાઓ પર ચર્ચા સાથે આ બી20 મીટિંગ શરૂ થશે. આ કાર્યક્રમના વક્તાઓમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી સર્બાનંદ સોનોવાલ- કેન્દ્રીય કેબિનેટ મંત્રી- બંદરો, શિપિંગ અને જળમાર્ગ તેમજ આયુષ મંત્રાલય, ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે ગુજરાત સરકારના માનનીય રાજ્ય ગૃહ, ઉદ્યોગ, વાહનવ્યવહાર, યુવા, રમતગમત (સ્વતંત્ર પ્રભાર) મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. અન્ય મહાનુભાવોમાં સીઆઇઆઈ ગુજરાતના ચેરમેન શ્રી દર્શન શાહ, ગુજરાત સીઆઇઆઈના પાસ્ટ ચેરમેન અને અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર આનંદ દેસાઇ, ટાટા પાવર લિમિટેડના સીઇઓ અને મેનેજિંગ ડાયરેક્ટર ડો. પ્રવીણા સિંહા, રામકૃષ્ણ એક્સપોર્ટ્સના સીઇઓ શ્રેયાંસ ઢોલકિયા, જી7 અને જી20 રિસર્ચ ગ્રુપ્સના ડાયરેક્ટ ઓફ અકાઉન્ટેબિલિટી ડો. એલા કોકોત્સિસ, એચઆરએચ દાતુ ગ્રાન્ડ પ્રિન્સ ઑફ ઓરિએન્ટ્સ, સ્વિસ કેપિટલ ગ્રુપના ચેરમેન ડો. ગેરી સમ અને પ્રિન્સ રોયલ હ્યુમેનિટી બેંકના એસસીજીનો સમાવેશ થાય છે.

બી20 મીટિંગના પ્રથમ પ્લેનરી સેશનમાં ‘ગ્લોબલ વેલ્યુ ચેઇન માટે ડાયમંડ, ટેક્સટાઇલ અને કેમિકલ પ્લેનરી સેશન પછી ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ,  એસ.જે. હૈદર દ્વારા વિશેષ સંબોધન કરવામાં આવશે. ટાટા કેમિકલ્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઝરીર લંગરાનાની અધ્યક્ષતામાં પેનલ ચર્ચા પણ થશે. પેનલના સભ્યોમાં ડો. વેંકટચલમ અંબુમોઝી, ડિરેક્ટર ઓફ રિસર્ચ સ્ટ્રેટેજી એન્ડ ઇનોવેશન, ઇકોનોમિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર આસિયાન એન્ડ ઇસ્ટ એશિયા, રાજેન ઉદેશી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પોલિએસ્ટર ચેઇનના પ્રમુખ, નરેશ પટેલ, વાઇસ ચેરમેન, સીઆઇઆઈ સધર્ન ગુજરાત ઝોનલ કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ ચેરમેન અને એમડી, અમી ઓર્ગેનિક્સ લિ., વિપુલ શાહ, ચેરમેન, ધ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અને કુલીન લાલભાઇ, વાઇસ ચેરમેન -સીઆઇઆઈ ગુજરાત સ્ટેટ કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, અરવિંદ લિ.નો સમાવેશ થાય છે.

બી20 મીટિંગનું બીજું પ્લેનરી સેશન ’વધુ સમાવિષ્ટ ભવિષ્યનું નિર્માણ: આર્થિક સશક્તિકરણ માટે નાણાકીય સમાવેશને આગળ વધારવો’ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ સત્રની અધ્યક્ષતા એડલવાઈસ ફાયનાન્સિયલ સર્વિસીસ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અને ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગના વડા ગોપાલ અગ્રવાલ દ્વારા કરવામાં આવશે. આ પેનલના સભ્યોમાં મોના ખંધાર, અગ્ર સચિવ, પંચાયત, ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર;  સંદીપ સિક્કા, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ, નિપ્પોન લાઈફ ઈન્ડિયા એસેટ મેનેજમેન્ટ લિમિટેડ, વી.પી. નંદકુમાર, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ, મણપ્પુરમ ફાઈનાન્સ લિ.,  આશિષ ચૌહાણ, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ, નેશનલ સ્ટોક એક્સચેન્જ, સ મેઘા જૈન, વરિષ્ઠ સલાહકાર, ખાનગી ક્ષેત્ર, બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન, અને  નીરજ ચોક્સી, સહ-સ્થાપક અને જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર, એનજે ગ્રુપ ઓફ કંપનીઝ સામેલ થશે. આ બી20 મીટ દરમિયાન સન્માનનીય મહેમાનો માટે ડ્રીમ સિટી અને ડાયમંડ મેન્યુફેક્ચરિંગ યુનિટની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે.

10 થી 12 જૂલાઈ, 2023 દરમિયાન એકતાનગર, કેવડિયા ખાતે યોજાનારી 3જી ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપ મીટિંગ માટે વિવિધ જી20 દેશોના 120થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ એકત્રિત થવાની અપેક્ષા છે.

આ મીટિંગની શરૂઆતમાં ‘ટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ પરના સેમિનારમાં પ્રતિનિધિઓ ભાગ લેશે.  આ ઉપરાંત, અન્ય બે પેનલ ડિસ્કશન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વર્લ્ડ બેંક અને યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ જેવી સંસ્થાઓના મુખ્ય મહાનુભાવો હિસ્સો લેશે.

આ જી20 ઇવેન્ટમાં હિસ્સો લેનારા પ્રતિનિધિઓ ગુજરાતના કેટલાક પ્રખ્યાત પ્રવાસન આકર્ષણોની મુલાકાત લેશે. તેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ થાય છે, જે એકતા અને રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક તરીકે ઊભેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.

તેઓ સરદાર સરોવર ડેમની પણ મુલાકાત લેશે, જે માણસોના એન્જિનિયરિંગ અને રિસોર્સ મેનેજમેન્ટનું એક ઉત્તમ ઉદાહરણ છે. તેઓ ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને સ્થાપત્યકીય અજાયબીઓને પ્રદર્શિત કરતા સુઆયોજિત શહેર એકતાનગરની પણ મુલાકાત લેશે. આ સ્થળોની મુલાકાતોથી વિશ્વભરમાંથી આવેલા પ્રતિનિધિઓને ગુજરાતના ઇતિહાસ, પ્રગતિ અને કુદરતી અજાયબીઓના એક અનન્ય સમન્વયની ઝલક મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.