Abtak Media Google News

સુરક્ષા દળો દ્વારા ઉપયોગમાં લેવાતા આ હેલિકોપ્ટરથી બે વખત દુર્ઘટના સર્જાયા બાદ લેવાયો નિર્ણય

ભારતીય સેનાના એએલએચ ધ્રુવ હેલિકોપ્ટરની દુર્ઘટનાઓ સર્જાઈ રહી હોય સુરક્ષાના ભાગ રૂપે હવે આ હેલિકોપ્ટરના સંચાલન ઉપર જ રોક લગાવી દેવામાં આવી છે.

આ હેલિકોપ્ટર 4 મેએ જમ્મુ-કાશ્મીર પાસે ક્રેશ થયું હતું. આ ઘટનાને ધ્યાનમાં લઈ સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે ધ્રુવ હેલિકોપ્ટરના સંચાલન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.  ભારતીય નૌ સેના અને ભારતીય તટરક્ષક બળના હેલિકોપ્ટરો સાથે જોડાયેલી બે દુર્ઘટના પછીથી આ હેલિકોપ્ટર મેદાનમાં જ રાખવામાં આવ્યા છે. આ હેલિકોપ્ટરોને ઉડાન ભરે આશરે એક મહિનાથી વધુનો સમય થઈ ગયો છે.

સેનાનું ધ્રુવ હેલિકોપ્ટર જમ્મુ ડિવિઝનના કિશ્તવાડના દૂરના વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેમાં ત્રણ લોકો હતા. જ્યારે ત્રણેયને ઇજા થઇ હતી. તેમને સારવાર માટે ઉધમપુરની મિલિટરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ મામલે સેના તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગુરુવારે સવારે લગભગ 11.15 વાગ્યે ઓપરેશનલ મિશન પર નીકળેલું ધ્રુવ હેલિકોપ્ટર કિશ્તવાડમાં મારુઆ નદીના કિનારે ઉતરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. મળતી માહિતી મુજબ, પાયલટોએ ટેકનિકલ ખામી અંગે એર ટ્રાફિક કંટ્રોલરને જાણ કરી હતી.

આ હેલિકોપ્ટર ભારતીય કોસ્ટ ગાર્ડની સાથે આર્મી, નેવી અને એરફોર્સ સહિત ત્રણેય સંરક્ષણ દળો દ્વારા સંચાલિત છે. અગાઉ મુંબઈમાં થયેલા અકસ્માત બાદ ભારતીય સેનાના એએલએચ ધ્રુવ હેલિકોપ્ટર દ્વારા તેના ઓપરેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ સાથે ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.