Abtak Media Google News
  • જામનગરનો એક સંતાનના પિતા અને અમદાવાદી પરિણીતાને સમાજ સંબંધ નહી સ્વીકારે તેવા ભયથી ઝંપલાવ્યું: યુવતીનો બચાવ

મોરબીમાં પ્રેમમાં પાગલ બનેલા જામનગરનોયુવક અને અમદાવાદની યુવતીએ સંતાનો હોવા છતાં પણ ઘર છોડી દઈ મોરબીમા સાથે રહી મજૂરી કામ કરતા હોવાની જાણ થતા યુવકના પિતા બન્નેને શોધવા આવતા સમાજ એક નહિ થવા દે તેવી બીકે પ્રેમી યુગલે લખધીરપુર રોડ ઉપર કેનાલમાં ઝંપલાવી દેતા યુવકના પિતાએ પણ બન્ને બચાવવા કેનાલના ઝંપલાવતા પિતા પુત્રના મૃત્યુ નિપજયુ હતું. જ્યારે પરિણીત યુવતી બચી જતા હાલમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાઇ છે.

ફિલ્મી પ્રેમ કહાની જેવા કિસ્સામાં જામનગરના ગુલાબનગરમા રહેતા એક સંતાનના પિતા કિશન ભરતભાઇ લકુમ ઉ.22 નામના યુવકને અમદાવાદ રહેતી નેહા વિક્રમભાઈ નામની એક સંતાનની માતા સાથે પ્રેમ સંબંધ બંધાઈ જતા બન્ને પરિણીત પ્રેમી યુગલે ઘર છોડી દઈ મોરબીના લખધીરપુર રોડ ઉપર કારખાનામાં સાથે રહી મજૂરી કરી રહેતા હતા.

બીજી તરફ યુવકના પિતા સહિતના પરિવારજનોને પ્રેમીયુગલ મોરબી નજીક હોવાની જાણ થતા તેઓ પુત્રને શોધવા મોરબી આવ્યા હતા અને બન્નેને શોધી કાઢી સાથે લઈને જતા હતા ત્યારે પ્રેમીયુગલે સમાજ એક નહિ થવા દે તેવા ડરથી લખધીરપુર રોડ ઉપર એન્ટિક સિરામિક સિરામિક સામે કેનાલમાં ઝંપલાવતા કિશનના પિતા ભરતભાઇ જેસિંગભાઈ લકુમે પણ પુત્ર અને યુવતીને બચાવવા ગઈકાલે સાંજે કેનાલમાં કૂદી પડતા અન્ય લોકોએ નેહા વિક્રમભાઈ નામની યુવતીને બચાવી લીધી હતી જ્યારે કિશન અને તેના પિતા ભરતભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હાલમાં મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.